________________ અહીં એક આ પણ વિજ્ઞાપના આપને કરવી યોગ્ય છે કે, મહાવીર કે કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી; પણ આત્મત્વ પામવા માટે જેનો બોધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત (!), દ્રષ્ટિરાગ, પ્રશસ્ત રાગ, કે માન્યતા છે; અને તેને આધારે વર્તના છે; તો આત્મત્વને બાધા કરતું એવું કોઈ પણ મારું કથન હોય, તો દર્શાવી ઉપકાર કરતા રહેશો. પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે. અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે; છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ જ્ઞાનીદ્રષ્ટાનુસાર મળ્યા કરશે ત્યાં સુધી પણ મારા ભાગ્યનો ઉદય જ છે. 2. નિર્ગથશાસન જ્ઞાનવૃદ્ધને સર્વોત્તમવૃદ્ધ ગણે છે. જાતિવૃદ્ધતા, પર્યાયવૃદ્ધતા એવા વૃદ્ધતાના અનેક ભેદ છે, પણ જ્ઞાનવૃદ્ધતા વિના એ સઘળી વૃદ્ધતા તે નામવૃદ્ધતા છે; કિંવા શૂન્યવૃદ્ધતા છે. . પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપમાત્ર દર્શાવું છું : (અ) મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે, જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ - જ્ઞાનયોગ - અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે; અને શંકા સહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. (આ) પુનર્જન્મ છે', આટલું પરોક્ષ-પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવગમ્ય થયો છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું. (1) “ચૈતન્ય’ અને ‘જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ ને ઓળખવાનો છે તે આ છે કે, “ચૈતન્યમાં ‘ઉપયોગ’ (કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને ‘જડ'માં તે નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવા ઇચ્છે કે, ‘જડ'માં ‘શબ્દ', ‘સ્પર્શ', ‘રૂપ’, ‘રસ’ અને ‘ગંધ’ એ શક્તિઓ રહી છે, અને ચૈતન્યમાં તે નથી, પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે, કારણ તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે; જેવા કે, નિરંજન, નિરાકાર, અરૂપી ઇ0 તે તે આત્માની સદ્રશ ગણી શકાય; કારણ ભિન્ન ધર્મ ન રહ્યા, પરંતુ ભિન્ન ધર્મ ‘ઉપયોગ’ નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે, અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે. (2) જીવનો મુખ્ય ગુણ ના લક્ષણ છે તે ‘ઉપયોગ’ (કોઈ પણ વસ્તુસંબંધી લાગણી, બોધ, જ્ઞાન), અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ - ‘વ્યવહારની અપેક્ષાએ' - આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા જ છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી (આત્મા) છદ્મસ્થ જીવ છે - પરમાત્મદશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મદશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિતજ્ઞાન(અજ્ઞાન)ને સમ્યકજ્ઞાન માની રહ્યો છે, અને સમ્યકજ્ઞાન વિના