________________ ગ્રહણ કરે ? આમ ગણીને જ તે તે ધર્મ તરફ દ્રષ્ટિ સરખી પણ ન કરી. અરે ! તું દ્રષ્ટિ શું કરી શકે ? તારા અનેક ભવના તપને લીધે તું રાજા થયો. તો હવે નરકમાં જતો કેમ અટકે? ‘તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી” આ કહેવત તને તે ધર્મ હાથ લાગવાથી ખોટી ઠરત, અને તું નરકે જતો અટકત. હે મૂઢાત્મા ! આ સઘળા વિચારો હવે તને રહી રહીને સૂઝે છે. પણ હવે એ સૂઝયું શું કામ આવે ? કંઈયે નહીં. પ્રથમથી જ સૂઝયું હોત તો આ દશા ક્યાંથી હોત ? થનારું થયું. પરંતુ હવે તારા અંતઃકરણમાં દ્રઢ કર કે એ જ ધર્મ ખરો છે. એ જ ધર્મ પવિત્ર છે. અને હવે એના બીજા સિદ્ધાંતો અવલોકન કર. 2. તપઃ - એ વિષય સંબંધી પણ એણે જે ઉપદેશ આપ્યો છે તે અનુપમ છે. અને તપના મહાન યોગથી હું માળવા દેશનું રાજ્ય પામ્યો છું એમ કહેવાય છે. તે પણ ખરું જ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ એ ત્રણ એણે તપનાં પેટાં પાડ્યાં છે. તે પણ ખરાં છે. આમ કરવાથી ઊપજતા સઘળા વિકારો શાંત થતા થતા કાળે કરીને લય થઈ જાય છે. તેથી કરીને બંધાતી કર્મચાળ અટકી પડે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે. અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જો ! એનો આ સિદ્ધાંત પણ કેવો ઉત્કૃષ્ટ છે ! 3. ભાવઃ - ભાવ વિષે એણે કેવો ઉપદેશ આપ્યો છે ! એ પણ ખરો જ છે. ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય ? ભાવ વિના ધર્મ હોય જ ક્યાંથી ? ભાવ એ તો ધર્મનું જીવન છે. જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી કઈ વસ્તુ ભલી લાગત તેમ હતું ? ભાવ વિના ધર્મ પાળી શકાતો નથી. ત્યારે ધર્મ પાળ્યા વિના મુક્તિ કયાંથી હોય ? એ સિદ્ધાંત પણ એનો ખરો અને અનુપમ છે. 4 બ્રહ્મચર્ય - અહો ! બ્રહ્મચર્ય સંબંધીનો એનો સિદ્ધાંત પણ ક્યાં ઓછો છે ? સઘળા મહા વિકારોમાં કામવિકાર એ અગ્રેસર છે. તેને દમન કરવો એ મહા દુર્ઘટ છે. એને દહન કરવાથી ફળ પણ મહા શાંતિકારક હોય, એમાં અતિશયોક્તિ શી ? કશીયે નહીં. દુઃસાધ્ય વિષયને સાધ્ય કરવો એ દુર્ધટ છે જ તો ! આ સિદ્ધાંત પણ એનો કેવો ઉપદેશજનક છે ! 5 સંસારત્યાગઃ - સાધુ થવાનો એનો ઉપદેશ કેટલાક વ્યર્થ ગણે છે. પરંતુ એ તેમની કેવળ મૂર્ખતા છે. તેઓ એવો મત દર્શાવે છે કે ત્યારે સ્ત્રીપુરુષનું જોડું ઉત્પન્ન થવાની શી અગત્ય હતી ? પરંતુ એ એમની ભ્રમણા છે. આખી સૃષ્ટિ કંઇ મોક્ષે જવાની નથી. આવું જૈનનું એક વચન મેં સાંભળ્યું હતું. તે પ્રમાણે થોડા જ મોક્ષવાસી થઈ શકે, એવું મારી ટૂંક નજરમાં આવે છે. ત્યારે સંસાર પણ થોડા જ ત્યાગી શકે છે. એ ક્યાં છાનું છે? સંસારત્યાગ કર્યા વિના મુક્તિ ક્યાંથી હોય ? સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થઈ જવાથી કેટલા બધા વિષયમાં લુબ્ધાઈ જવું પડે છે.