________________ ૩૩ર જિનતત્ત્વ માનવાવાળા તથા ત્યાગવૈરાગ્ય પર ભાર મૂકનાર ધર્મો એ બંને પ્રકારના ધર્મોને એકસરખા કેવી રીતે ગણી શકાય ? આત્માના અસ્તિત્વમાં માનનાર ધર્મો અને આત્માના અસ્તિત્વમાં જ ન માનનારા ધર્મોને પણ એકસરખા કેમ માની શકાય ? પોતાના ધર્મના પ્રચાર માટે બીજાને મારી નાખવામાં પાપ નથી, બલકે મારનારને સ્વર્ગ મળે છે એમ માનનાર ધર્મ અને ધર્મના પ્રચારાર્થે કે અન્ય કોઈ પણ નિમિત્તે બીજાને મારી નાખનાર ભારે પાપ કરે છે એમ માનનાર ધર્મ એ બંનેને સરખા કેમ કહી શકાય ? એટલે જગતના બધા ધર્મો સરખા છે એમ કહેવું તે સૈદ્ધાન્તિક દૃષ્ટિએ યોગ્ય નથી. પોતાનાથી અન્ય એવો ધર્મ પાળનારા લોકો પ્રત્યે સમભાવ રાખવો એ એક વાત છે અને બધા ધર્મોને સરખા માનવાનું યોગ્ય નથી એ બીજી વાત છે. વૈચારિક ભૂમિકાની દૃષ્ટિએ આ ભેદરેખા આપણા મનમાં સ્પષ્ટ હોવી જરૂરી છે. જ્ઞાની મહાત્માઓ બ્રહ્મા કે વિષ્ણુ, રામ કે રહેમાનને એક ગણીને નમસ્કાર કરતા હોય એથી બધા જ એમ કરવા લાગે તો ઘણો અનર્થ થઈ જાય. ભગવાન બધે એક છે એમ કહીને અન્ય ધર્મમાં ચાલ્યા ગયેલા કેટલાય બાળજીવો પછી ભ્રમિત થઈ ગયા છે, ક્યારેક પ્રગાઢ મિથ્યાત્વમાં સરકી પડ્યા છે. જ્યાં સુધી પોતાનામાં શુદ્ધ આત્મદષ્ટિનો સરખો ઉઘાડ ન થયો હોય ત્યાં સુધી જીવે સાચવવા જેવું છે. આમાં ઉતાવળ કરવાનું કોઈ પ્રયોજન નથી. અનેકાન્તવાદની ચર્ચા કરવી તે એક વાત છે અને જીવનને સાચા અર્થમાં અનેકાન્તમય બનાવવું તે બીજી વાત છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના તે શક્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org