________________
સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિના અંતમાની
વિસ્તૃત પ્રશસ્તિ
આ લેખમાં ભાવનગર–શ્રીસંઘના જૈન જ્ઞાનભંડારમાંની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિનો અને તેના અંતમાં લખાયેલી એક વિસ્તૃત પ્રશસ્તિનો પરિચય આપવામાં આવે છે. એ પ્રતિ અત્યારે ભાવનગર-શ્રી સંધના ભંડારમાં–સુરક્ષિત તે ન કહેવાય પણ,રક્ષિત છે. ભાવનગરમાં શ્રીસંઘનાં દરેક કાર્યો “શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢી”ના નામથી ચાલે છે. એટલે પ્રસ્તુત જ્ઞાનભંડાર એ પેઢીના આશ્રય નીચે હોઈ એની કાળજીભરી દેખરેખ પેઢીના પ્રાણ સમા વૃદ્ધ કાર્યકર્તા ધર્માત્મા વિદ્વાન શેઠ કુંવરજી આણંદજી રાખે છે. પ્રસ્તુત પ્રતિ નંબર ડા. ૨૩ નં. ૧૫ છે. એની પત્રસંખ્યા ૯૫ છે. લંબાઈ-પહોળાઈ ૧૪૪ ઈંચની છે. દરેક પાનામાં લીટીઓ કેટલી છે એ ગફલતથી નોંધવું રહી ગયું છે એટલે અત્યારે મને યાદ છે તે પ્રમાણે તેમાં સાત લીટીઓ હોવી જોઈએ. અને દરેક લીટીમાં અક્ષર ૨૮ થી ૩૪ સુધી છે. આખી પ્રતિ બે વિભાગમાં લખાયેલી છે એટલે બે વિભાગ પાડવા માટે વચમાં પણ વેલ છે અને દરેક પાનાની ચમેર પણ વેલ છે. એ વેલ કોઈ કળાના ખાસ નમૂનારૂપ નથી પરંતુ તદ્દન સાદી જ છે. પ્રતિની લિપિ સુંદર છે અને પ્રતિ દેખાવમાં તેમ જ અવસ્થામાં પણ બહુ જ સારી છે. પ્રતિમાં સુવર્ણમય અક્ષર લખવા માટે પાનાની જમીન (Background)લાલ, આસમાની અને જાંબલી એમ ત્રણ રંગથી રંગીન કરવામાં આવી છે, જ્યારે ચિત્ર નીચેની જમીન લાલ જ રાખવામાં આવી છે. ચિત્રોમાં રંગેનું વૈવિધ્ય ખાસ નથી; એમાં મુખ્યત્વે કરીને સોનેરી રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં ચિત્રો સુંદરતાથી જરાય વેગળાં કે વંચિત નથી. પ્રસ્તુત ચિત્રો કલ્પસૂત્રની હસ્તલિખિત પ્રતિઓમાં સામાન્ય રીતે જે જાતનાં ચિત્રો જોવામાં આવે છે તે જ જાતનાં છે.
પ્રતુન પ્રતિને અંગે આટલું જણાવ્યા પછી હવે આપણે એ પ્રતિના અંતમાંની વિસ્તૃત પ્રશસ્તિ જોઈએ.
- भुज्जो भुज्जो उवदंसेइ त्ति बेमि ॥ छ ॥ पजोसवणाकप्पो सम्मत्तो ॥ छ ॥ ग्रंथान १२१६ सर्वसंख्या ॥ छ । संवत् १५१७ वर्षे आखाढ सुदि अष्टमी सोमे श्रीअणहिल्लपुरपत्तने । श्री श्री खरतरगच्छे ॥ श्रीजिनचंद्रसरिराज्ये श्रीउपाध्या[य] सिद्धान्तरुचिउद्यमेन लिखितं वाछाकेन ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org