________________
૭૨
સમ્યગ્દર્શનની રીત
છે તે ઉપલબ્ધ થશે), (બીજું) આવું કથન પણ પરીક્ષા કરવાથી સિદ્ધ નથી થઈ શકતું કે જે સમયે સુવર્ણ, પર્યાયથી શુદ્ધ છે તે સમયે જ તે શુદ્ધ છે (અર્થાત્ જે અશુદ્ધરૂપ પરિણમેલ સંસારી જીવોને એકાંતે અશુદ્ધ જ માને છે અને શુદ્ધોપયોગ માત્ર ૧૩માં ગુણસ્થાનકથી જ માને છે, તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ થવાની જ નથી અર્થાત્ તેવા જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી જ નથી અને બીજું, જેઓ પર્યાયને અશુદ્ધ માનીને પર્યાયને દૃષ્ટિના વિષયમાં સામેલ કરતાં નથી અને એકાંતે શુદ્ધવ શોધે છે, તેને પણ તેની પ્રાપ્તિ થવાની જ નથી અર્થાત્ તેવા જીવને પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી જ નથી). કારણ કે, (એકાંત) શુદ્ધ દ્રવ્યની પ્રાપ્તિ ન થતાં તેની પ્રાપ્તિના હેતુનું પણ અદર્શન સિદ્ધ થાય છે [અર્થાત્ જો ખાણમાંથી નીકળેલ અશુદ્ધ સુવર્ણનો અસ્વીકાર કરો તો તેમાં છુપાયેલ શુદ્ધ સુવર્ણની પ્રાપ્તિ પણ થઈ શકવાની નથી; તેવી જ રીતે અશુદ્ધ જીવમાં (પર્યાયમાં) જ શુદ્ધાત્મા છુપાયેલ છે તેમ જાણવું.]
(હવે શુદ્ધાત્માની પ્રાપ્તિની રીત બતાવે છે અર્થાત્ સમ્યગ્દર્શનની રીત બતાવે છે.) જે સમયે તે અશુદ્ધ સુવર્ણનાં રૂપોમાં કેવળ શુદ્ધ સુવર્ણ દૃષ્ટિ ગોચર કરવામાં આવે છે (અર્થાત્ અશુદ્ધ પર્યાયમાં દ્રવ્યદૃષ્ટિએ કેવળ શુદ્ધાત્મા = પરમ પારિણામિક ભાવ દષ્ટિગોચર કરવામાં આવે છે) તે સમયે પરદ્રવ્યની ઉપાધિ દૃષ્ટિગોચર થતી નથી (અર્થાત્ પર્યાયરૂપ પરિણમેલ દ્રવ્યની અશુદ્ધિ ગૌણ થતાં જ પૂર્ણ સાક્ષાત્ શુદ્ધાત્મા જ જણાય છે), પરંતુ પ્રત્યક્ષ પ્રમાણથી પોતાનું અભિષ્ટ એ કેવળ શુદ્ધ સુવર્ણ જ દૃષ્ટિગોચર થાય છે. [ તેથી જ બીજાને જે દ્રવ્ય પ્રમાણનું ભાસે છે, તે જ દ્રવ્યમાં અમને પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્માના દર્શન થાય છે; તેથી કહી શકાય કે, તેમાં બીજાનો દોષ માત્ર એ છે કે જ્યારે તેને (દ્રવ્યને) શુદ્ધ દ્રવ્યાર્થિક નયે ગ્રહણ કરવાનું છે ત્યારે પણ તેઓ તેને પ્રમાણદૃષ્ટિથી જ ગ્રહણ કરે છે, કારણ કે તેઓની ધારણામાં દ્રવ્ય બે ભાગવાળું છે કે જેમાંનો એક ભાગ શુદ્ધ અને બીજો અશુદ્ધ છે. બીજાની આવી માન્યતાની ભૂલ હોવાથી, અમે જ્યારે પૂર્ણદ્રવ્યની વાત કરીએ ત્યારે તેઓને તેમાં પ્રમાણના દ્રવ્યનાં જ દર્શન થાય છે અને જ્યારે અમે તે જ પ્રમાણના દ્રવ્યને શુદ્ધ દ્રવ્યાર્થિક નયે ગ્રહણ કરીને તેને શુદ્ધાત્મા પરમ પારિણામિક ભાવ કહીએ, ત્યારે તેઓ પર્યાયથી ભિન્ન, અપરિણામી = કુટસ્થ શોધે છે, કે જેનું અસ્તિત્વ જ નથી, જે કદી શુદ્ધ ભાગરૂપ અર્થાત્ એકાંત શુદ્ધરૂપ મળવાનો જ નથી.] એટલા માટે સિદ્ધ થાય છે કે, જેમ તે અશુદ્ધ સુવર્ણમાળામાં અન્ય ધાતુઓનો સંયોગ છતાં પણ વાસ્તવમાં પરસંયોગ વિનાનું ભિન્નરૂપથી શુદ્ધ સુવર્ણનું અસ્તિત્વ સિદ્ધ થાય છે તેવી જ રીતે જીવાદિક નવ પદાર્થોમાં શુદ્ધ જીવનું અસ્તિત્વ સિદ્ધ છે.’’ અન્યથા નહિ, અર્થાત્ તે અશુદ્ધ પર્યાયો સિવાય તે કાળે જીવત્વ અન્ય કાંઈ જ નથી તે પૂર્ણ જીવ જ તે રૂપે પરિણમેલ છે, માટે તેમાં જ શુદ્ધાત્મા છુપાયેલ છે. આ જ ભાવના અનુસંધાનરૂપ દૃષ્ટાંતો હવે પછીની ગાથાઓમાં આપેલ છે, તે ટૂંકમાં જણાવીએ છીએ :
ગાથા ૧૬૬ :- · આમાં કીચડ સહિત જળનું ઉદાહરણ છે. તે કીચડ સહિત જળમાં જ શુદ્ધ જળ છુપાયેલ છે.