________________
સમ્યગ્દર્શનની રીત
જોવામાં આવે તો કર્મોની પાંચ/સાત પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયને સમ્યગ્દર્શન કહેવાય છે; પરંતુ છદ્મસ્થને કર્મોનું જ્ઞાન તો થતું નથી, માટે આપણે તો પ્રથમ કસોટીથી અર્થાત્ પુદ્ગલથી ભેદજ્ઞાન અને સ્વાનુભવરૂપ (આત્માનુભૂતિરૂપ) જ સમ્યગ્દર્શન સમજવું.
તેથી કરીને પ્રશ્ન થાય કે સમ્યગ્દર્શન કરવા માટે શું કરવું જરૂરી છે ?
ઉત્તર :- ભગવાને કહ્યું છે કે સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે, તો એ વાત સમજવી જરૂરી છે. શ્રી નિયમસારમાં કહ્યું છે કે :
ગાથા ૪૭ : અન્વયાર્થ :- “જેવા સિદ્ધ આત્માઓ છે તેવા ભવલીન (સંસારી) જીવો છે, જેથી (તે સંસારી જીવો સિદ્ધ આત્માઓની માફ્ટ) જન્મ-મરણથી રહિત અને આઠ ગુણોથી અલંકૃત છે.”આ વાત શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયની અપેક્ષાએ છે કે જે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજવા ઉપયોગી છે.
ગાથા ૪૮ અન્વયાર્થ :- “જેમ લોકાગ્રે સિદ્ધભગવંતો અશરીરી, અવિનાશી, અતિન્દ્રિય, નિર્મળ અને વિશુદ્ધાત્મા (વિશુદ્ધસ્વરૂપી) છે, તેમ સંસારમાં (સર્વ) આવો જાણવા.”
ગાથા ૧૫ : અન્વયાર્થ :- “મનુષ્ય, નારક, તિર્યંચ અને દેવરૂપ પર્યાયો તે વિભાવપર્યાયો કહેવામાં આવ્યા છે; કર્મોપાધિરહિત પર્યાયો તે સ્વભાવ પર્યાયો કહેવામાં આવ્યા છે.”
ગાથા ૪૯ : અન્વયાર્થ :- “આ (પૂર્વોકત) બધા ભાવો ખરેખર વ્યવહારનયનો આશ્રય કરીને (સંસારી જીવોમાં વિદ્યમાન) કહેવામાં આવ્યા છે; શુદ્ધ નયથી સંસારમાં રહેલા સર્વ જીવો સિદ્ધ સ્વભાવી છે.”
શ્લોક ૭૩ : લોકાર્થ :- ““શુદ્ધ નિશ્ચયનયથી મુક્તિમાં તેમ જ સંસારમાં તફાવત નથી’ આમ જ ખરેખર તત્ત્વ વિચારતાં (પરમાર્થ વસ્તુસ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં) શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે.”
ગાથા ૫૦ : અન્વયાર્થ :- “પૂર્વોકત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય - આત્મા ઉપાદેય છે.”
ગાથા ૧૦૬ : અન્વયાર્થ:- “આ રીતે જે સદા જીવ અને કર્મના ભેદનો અભ્યાસ કરે છે, તે સંયત નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે.”
ગાથા ૧૦ : અન્વયાર્થ:- “જીવ ઉપયોગમય છે. ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાનોપયોગ બે પ્રકારનો છે – સ્વભાવજ્ઞાન અને વિભાવજ્ઞાન.”
યોગસાર દોહા ૨૧ : અન્વયાર્થ :- “જે જિન છે તે આત્મા છે - એ સિદ્ધાંતનો સાર છે એમ તમે સમજો. એમ સમજીને હે યોગીઓ ! તમે માયાચારને છોડો.”
યોગસાર દોહા ૨૨ : અન્વયાર્થ :- “જે પરમાત્મા છે તે જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે, એમ જાણીને હે યોગી ! અન્ય વિકલ્પ ન કરો.”