________________
સમ્યગ્દર્શનની રીત
ભાવાર્થ : - “શંકાકારના કથનાનુસાર ગુણોને અને વસ્તુને (દ્રવ્યને) સર્વથા નિત્ય તથા ઉત્પાદવ્યયને સર્વથા અનિત્ય માનવા ઠીક નથી, કારણ કે, એ સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે જે સમુદ્ર અને કલ્લોલોનું દષ્ટાંત આપ્યું તે શંકાકારના ઉપર કહેલા પક્ષનું સાધક ન થતાં વિના કહ્યું જ ઉપરોક્ત પક્ષના (શંકાકારના પક્ષના) વિપક્ષનું એટલે – જૈન સિદ્ધાંતાનુસાર માનેલા કથંચિત્ અભેદાત્મક પક્ષનું સાધક છે, આગળ એ જ અર્થનો ખુલાસો કરે છે –
અથવા કોઈ દ્રવ્યને ઘંટીના જેવું સમજતું હોય, જેમ કે ઘંટીમાં નીચેનો ભાગ સ્થિર અને ઉપરનો ભાગ ફરતો હોય છે, તો દ્રવ્યમાં જૈન સિદ્ધાંતાનુસાર આવી વ્યવસ્થા પણ નથી એ પણ આ ગાથાથી સિદ્ધ થાય છે.
ગાથા ૨૧૩: અન્વયાર્થ:- “તરંગમાળાઓથી વ્યાપ્ત સમુદ્રની માફક નિશ્ચયથી કોઈ પણ ગુણનાં પરિણામોથી અર્થાત્ પર્યાયોથી સત્ની અભિન્નતા હોવાથી તે સત્નો પોતાનાં પરિણામોથી કાંઈ પણ ભેદ નથી.”
અર્થાત્ જે પર્યાય છે તે દ્રવ્યનું વર્તમાન જ હોવાથી દ્રવ્યનું જ બનેલ હોવાથી (તરંગમાં સમુદ્ર જ હોવાથી) વાસ્તવમાં (ખરેખર) કોઈ ભેદ નથી પણ ભેદનયથી ભેદ કહેવામાં આવે છે, તેથી તેને કથંચિત્ ભેદભેદ પણ કહેવાય છે.
ભાવાર્થ :- “કારણ કે, જેવી રીતે તરંગોના સમૂહોને છોડતાં સમુદ્ર કોઈ ભિન્ન વસ્તુ સિદ્ધ થઈ શકતો નથી તેવી રીતે પોતાનાં ત્રિકાલવર્તી પરિણામોને છોડતાં ગુણ તથા દ્રવ્ય પણ કોઈ ભિન્ન વસ્તુ સિદ્ધ થઈ શકતા નથી.” અર્થાત્ પર્યાયમાં જ દ્રવ્ય છુપાયેલ છે, દ્રવ્ય પર્યાયથી વાસ્તવિક ભિન્ન પ્રદેશી નથી.
ગાથા ૨૧૪ : અન્વયાર્થ :- “પરંતુ જે સમુદ્ર છે તે જ તરંગમાળાઓ થાય છે, કારણ કે તે સમુદ્ર પોતે જ તરંગરૂપથી પરિણમન કરે છે.” અર્થાત્ દ્રવ્ય જ (અવ્યક્ત જ) પર્યાયરૂપે (વ્યક્તરૂપે) વ્યક્ત થાય છે, પરિણમન કરે છે.
ગાથા ૨૧૫ : અન્વયાર્થ :- “તેથી સત્ એ પોતે જ ઉત્પાદ છે તથા એ સત્ જ ધ્રૌવ્ય છે તથા વ્યય પણ છે. કારણ કે સત્ (દ્રવ્ય)થી જુદું કોઈ એ ઉત્પાદ અથવા વ્યય અથવા ધ્રૌવ્ય કોઈ નથી.”
દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ વ્યવસ્થા સમજવા માટે આ ગાથાનો મર્મ સમજવો અત્યંત આવશ્યક છે કે, વાસ્તવમાં દ્રવ્ય અભેદ છે, ભેદ માત્ર સમજાવવા માટે જ છે, વ્યવહાર માત્ર જ છે.
ગાથા ૨૧૬ : અન્વયાર્થ :- “અથવા શુદ્ધતાને વિષય કરવાવાળા નયની અપેક્ષાએ ઉત્પાદ પણ નથી, વ્યય પણ નથી તથા ધ્રૌવ્ય, ગુણ અને પર્યાય એ પણ નથી પરંતુ કેવળ એક સત્ જ છે.”