________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
| ૨૫
૨૫
તેના સાધક પ્રમાણનો અભાવ એટલા માટે છે કે એ પક્ષોની સિદ્ધિને માટે આ લોકમાં કોઈ દષ્ટાંત પણ મળી શક્યું નથી.”
અર્થાત્ દ્રવ્યને પરિણામી સિદ્ધ કર્યું અને છતાં તેને ટકતા ભાવની અપેક્ષાએ અપરિણામી પણ કહેવાય, પરંતુ એકાંતે નહિ; કારણ કે જૈન સિદ્ધાંતમાં અનેકાંતનો જ જય થાય છે, નહિ કે એકાંતનો.
ગાથા ૮૩-૮૪ : અન્વયાર્થ :- “જેમ આંબાના ફળમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ – એ ચારે પુદ્ગલ દ્રવ્યના ગુણો પોતપોતાના લક્ષણથી ભિન્ન છે તથા નિશ્ચયથી તે બધા અખંડ દેશી (દ્રવ્ય) હોવાથી કોઈ પણ પ્રકારે જુદા પણ કરી શકાતા નથી. એટલા માટે જેમ વિશેષરૂપ હોવાના કારણથી પર્યાયદષ્ટિએ (ભેદવિવક્ષાએ) દેશ, દેશાંશ, ગુણ અને ગુણાંશરૂપ સ્વચતુષ્ટય કહી શકાય છે તેમજ સામાન્ય રૂપની અપેક્ષાએ અર્થાત્ દ્રવ્યાર્થિક દષ્ટિએ (અભેદ વિવક્ષાએ) એ જ બધા એક આલાપથી એક અખંડ દ્રવ્ય કહી શકાય છે.” અર્થાત્ જે વિશેષ અપેક્ષાએ પર્યાય છે તે જ સામાન્ય અપેક્ષાએ દ્રવ્ય છે, જેમ કે ઉપાદાન પોતે જ કાર્યરૂપે પરિણમે છે એ વાત તો સર્વવિદિત છે. તેમાં ઉપાદાન તે જ દ્રવ્ય છે અને કાર્ય છે તે પર્યાય છે, તેથી એ વાત સિદ્ધ થાય છે કે દ્રવ્ય જ પોતે દ્રવે છે અર્થાત્ પરિણમે છે અને દ્રવ્ય જ પોતે વર્તમાન અવસ્થાની અપેક્ષાએ પર્યાય કહેવાય છે.
જેમ કે માટીનો પિંડ નષ્ટ થઈને માટીના ઘડારૂપ બનવાથી માટીરૂપી દ્રવ્યના એક પર્યાયનો નાશ થયો અને નવા પર્યાયનો ઉત્પાદ થયો; પરંતુ બન્નેમાં માટી– (માટીપણું) તો કાયમ જ રહ્યું, નિત્ય જ રહ્યું, તે અપેક્ષાએ કુટસ્થ રહ્યું - અપરિણામી રહ્યું. તે એ રીતે કે માટીરૂપદ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યરૂપે નથી પરિણમી જતું તેથી તેને તે અપેક્ષાએ પણ કુટસ્થ અથવા અપરિણામી કહી શકાય, અને બીજું તે પિંડ અને ઘડામાં માટીપણું એવું ને એવું જ રહે છે. તે અપેક્ષાએ પણ તેને કથંચિત્ કુટસ્થ અથવા કથંચિત્ અપરિણામી કહી શકાય. અન્યથા એકાંતે અપરિણામી કહેતાં તો ત્યાં એક ભાગ અપરિણામી અને એક ભાગમાં પરિણામ એવું કલ્પતા તો દ્રવ્યનો જ નાશ થઈ જાય, અને તે દ્રવ્ય દ્રવે પણ નહીં તેથી તેનું કોઈ જ કાર્ય ન માનતાં દ્રવ્યપણાનો જ નાશ થઈ જાય. આ રીતે ઉપાદાનથી કાર્યને ભિન્ન માનતાં આકાશકુસુમવત્ દ્રવ્યનું જ અસ્તિત્વ નહીં રહે અને તેના કાર્યનું પણ અસ્તિત્વ નહિ રહે.
માટે આ જ રીતે સમજવું કે ઉપાદાન પોતે જ કાર્યરૂપે પરિણમેલ છે અને તેથી તે પરિણામમાં પૂર્ણ ઉપાદાન હાજર જ છે અર્થાત્ પરિણામ (કાર્ય) પોતે ઉપાદાનનું જ બનેલ છે અર્થાત્ જે પર્યાય છે તે દ્રવ્યનો જ બનેલ છે, કારણ કે તે દ્રવ્યનું જ વર્તમાન છે. તેથી જ તેને દ્રવ્યદષ્ટિથી જોતાં ત્યાં માત્ર દ્રવ્ય જ જણાય છે – ત્રિકાળી ધ્રુવ જ જણાય છે, ત્યાં તેની વર્તમાન અવસ્થા (પર્યાય) ગૌણ થઈ જાય છે અને તેને જ દ્રવ્યદષ્ટિ કહેવાય છે. જ્યારે પર્યાયદષ્ટિમાં, તે જ દ્રવ્યને તેની વર્તમાન અવસ્થાથી અર્થાત્ પર્યાયથી જ જોવામાં આવતાં દ્રવ્ય ગૌણ થઈ જાય છે, દ્રવ્ય જણાતું જ નથી, પૂર્ણ દ્રવ્ય માત્ર પર્યાયરૂપ