________________
સમયસાર અનુસાર સમ્યગ્દર્શનનો વિષય
૧૭૯
તે આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે – સમસ્ત લોકાલોકને જાણનાર છે – એમ પ્રગટ કરે છે (અત્રે સમજવાનું એ છે કે પરમ પારિણામિક ભાવરૂપ આત્માનું એટલે કે જ્ઞાનનું લક્ષણ - જ્ઞાનનો સ્વભાવ પ્રતિબિંબ રૂપે પરને ઝળકાવવાનો છે, તે પ્રતિબિંબને ગૌણ કરતાં જ ત્યાં અરીસાની જેમ સ્વચ્છત્વરૂપ પરિણમન હાજર જ છે અને જ્ઞાનનો સ્વભાવ લોકાલોકને ઝળકાવવાનો છે તેથી કરીને જ તે ‘જ્ઞાન' નામ પામે છે અન્યથા નહિ. તે શેયરૂપ ઝલકનને ગૌણ કરતાં જ ત્યાં જ્ઞાનમાત્રરૂપ = પરમ પારિણામિક ભાવરૂપ = જ્ઞાયક હાજર જ છે. તેથી કરી આત્મા ખરેખર પરને જાણતો જ નથી' એવી પ્રરૂપણા કરીને આત્માનાં લક્ષણનો અભાવ કરવાથી આત્માનો જ અભાવ થાય છે.). વળી તે, આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે (પરમ પરિણામિક ભાવ તે આત્માનો અનાદિ અનંત “સ્વ” ભવનરૂપ “સ્વભાવ છે અને તે ત્રિકાળ શુદ્ધ હોવાથી તેને આદિ-અંતથી રહિત કહ્યો છે). વળી તે આત્મસ્વભાવને એક – સર્વ ભેદભાવોથી (દ્વૈતભાવોથી) રહિત એકાકાર – પ્રગટ કરે છે. (સર્વ પ્રકારના ભેદરૂપ ભાવો; જેવા કે દ્રવ્ય-ગુણ-પર્યાય, જ્ઞાન-દર્શન-ચારિત્ર, નિષેધરૂપ સ્વ-પરરૂપ ભાવોથી રહિત પ્રગટ કરે છે.) અને જેમાં સમસ્ત સંકલ્પવિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. (અર્થાત્ ઉદય, ક્ષયોપશમ ભાવોને ગૌણ કરતાં જ પરમ પરિણામિક ભાવરૂપ આત્મામાં કોઈ જ સંકલ્પ-વિકલ્પ, નય-પ્રમાણ-નિક્ષેપો વગેરે રહેતાં જ નથી એવો આત્મા પ્રગટ કરે છે.) આવો શુદ્ધ નય પ્રકાશરૂપ થાય છે.”
ગાથા ૧૪ : ગાથાર્થ :- “જે નય આત્માને બંધરહિત ને પરના સ્પર્શરહિત, અન્યપણારહિત, ચળાચળતારહિત, વિશેષરહિત (અર્થાત્ વિશેષને ગૌણ કરતાં જ જે એક સામાન્ય ભાવરૂપ અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ જીવ છે તે અર્થાત્ અન્યના લક્ષે થવાવાળા સર્વે ભાવો કે જે વિશેષ છે, તેનાથી રહિત જ હોય છે), અન્યના સંયોગરહિત એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને, હે શિષ્ય! તું શુદ્ધ નય જાણ.” અર્થાત્ જેમ અમે પૂર્વે સમજાવ્યું તેમ સર્વે પરદ્રવ્ય તથા પરદ્રવ્યના લક્ષથી થવાવાળા આત્માના ભાવોથી (તેને ગૌણ કરીને) ભેદજ્ઞાન કરવાથી શુદ્ધ નયરૂપ અર્થાત્ અભેદ એવો પંચમભાવરૂપ સમ્યગ્દર્શનનો વિષય પ્રાપ્ત થાય છે.
ગાથા ૧૪ : ટીકા :- “નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ (આત્માના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા ચાર ભાવોથી અબદ્ધ-અસ્પૃષ્ટ), અનન્ય (છતાં આત્માના પરિણમન = પર્યાયથી અનન્ય પરમ પરિણામિક ભાવરૂપ = કારણશુદ્ધપર્યાયરૂ૫), નિયત (નિયમથી એકસમાન સહજ પરિણમનરૂપ), અવિશેષ (જેમાં વિશેષરૂપ ચારેય ભાવોનો અભાવ છે એવો, સામાન્ય પરિણમનરૂપ - સહજ પરિણમનરૂપ) અને અસંયુક્ત (કે જે ઉપર કહ્યા તેવા ચાર ભાવોથી સંયુક્ત નથી - તે ચાર ભાવોને ગૌણ કરતાં જ શુદ્ધ નયનો આત્મા પ્રાપ્ત થાય છે તેવો અસંયુક્ત) એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે, એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે.”