________________
૧૦
સમ્યગ્દર્શનની રીત
(અર્થાત્ સમ્યગ્દર્શનની ગેરહાજરી) એ અનંત સંસારનું ચાલકબળ છે અર્થાત્ મિથ્યાત્વ એ સર્વે પાપોનો રાજા છે કે જે સમ્યગ્દર્શનથી જ હણાય છે અર્થાત્ સમ્યગ્દર્શન નિર્વાણને પામવા માટે અર્થાત્ શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે તે પરમ આવશ્યક છે.
તેથી જ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ર૯૦થી ર૯૬માં જણાવેલ છે કે, આ મનુષ્યગતિ, આર્યખંડ, ઉચ્ચકુળ, ધનવાનપણું, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, નીરોગી શરીર, દીર્ધાયુ, ભદ્ર પરિણામ, સરળ સ્વભાવ, સાધુપુરુષોની સંગતિ, સમ્યગ્દર્શન-સત્ શ્રદ્ધાન, ચારિત્ર વગેરે એક એકથી અધિક અધિક દુર્લભ છે. આત્માનુશાસન ગાથા ૭૫માં જણાવેલ છે કે, “મનુષ્યપ્રાણીની દુર્લભતા અને ઉત્તમતાને લઈને વિધિરૂપ મંત્રીએ તેની અનેક પ્રકારે રક્ષા કરી દુષ્ટ પરિણામી નરકના જીવોને અધોભાગમાં રાખ્યા – દેવોને ઊર્ધ્વ ભાગમાં રાખ્યા; લોકની ચારે તરફ અનેક મહાન અલંધ્ય સમુદ્ર તથા તેની ચારે તરફ ઘનોદધિ, ઘન અને તનુ એ નામના ત્રણ પવનથી વીંટી વિસ્તીર્ણ કોટ કરી રાખ્યો અને વચ્ચે પૂર્ણ જતનથી મનુષ્યપ્રાણીને રાખ્યા........ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૨૯૭માં પણ જણાવેલ છે કે, “જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પામવું દુર્લભ છે તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે, એવો નિશ્ચય કરી હે ભવ્ય જીવો! આ મિથ્યાત્વ અને કષાયને છોડો એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે.” માટે આ અમૂલ્ય - દુર્લભ મનુષ્યજન્મ માત્ર શારીરિક-ઇન્દ્રિયજન્ય સુખ અને તેની પ્રાપ્તિ પાછળ ખર્ચવા જેવો નથી, પરંતુ તેની એક પણ પળને વ્યર્થ ન ગુમાવતાં, માત્ર ને માત્ર, ત્વરાએ શાશ્વત સુખ એવા આત્મિક સુખની (સમ્યગ્દર્શનની) પ્રાપ્તિ અર્થે જ લગાવવા યોગ્ય છે. અર્થાત્ જો આ ભવ સમ્યગ્દર્શન પામ્યા વગરનો ગયો તો પછી અનંત કાળ સુધી આવો સમ્યગ્દર્શન પામવાને યોગ્ય ભવ મળવો દુર્લભ જ છે તેથી સર્વે જનોને અમારો અનુરોધ છે કે આપે આપનું વર્તમાન પૂર્ણ જીવન સમ્યગ્દર્શન પામવા માટે જ લગાવવા યોગ્ય છે અને તેથી કરીને જ અમે પ્રસ્તુત પુસ્તકમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ/રીતિ અને એને પામવા માટે જે વિષયનું મનન-ચિંતન કરી તેમાં જ એકત્ર કરવા યોગ્ય છે તેવો વિષય (દષ્ટિનો વિષય) જણાવીશું.