________________
નિયમસાર અનુસાર ધ્યાન અને સમ્યગ્દર્શનનો વિષય
સમ્યગ્દષ્ટિ થવા અને મોક્ષમાર્ગમાં આગળ વધવા) અર્થે નિરંતર આ આત્માને (અર્થાત્ ઉપર જણાવેલ શુદ્ધાત્માને) ભજો કે જે (આત્મા) અનુપમ જ્ઞાનને આધિન છે, જે સહજ ગુણમણિની ખાણ છે, જે (સર્વ) તત્ત્વોમાં સાર છે અને જે નિજ પરિણતિના સુખસાગરમાં મગ્ન થાય છે.’’
૧૪૧
શ્લોક ૬૬ :- ‘‘જે અનાકુળ છે, અચ્યુત છે, જન્મ-મૃત્યુ-રોગાદિરહિત છે, સહજ નિર્મળ સુખામૃતમય છે, તે સમયસારને (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા કે જેને કારણસમયસાર અથવા કારણશુદ્ધ પર્યાય પણ કહેવાય છે તેને) હું સમરસ (અર્થાત્ તેમાં જ એકરસ થઈને, તેમાં જ એકત્વ કરીને) વડે સદા પૂજું છું.'' અર્થાત્ હું સદા સમયસારરૂપ-પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્માની જ ભાવના ભાવું છું.
ગાથા ૪૪ : અન્વયાર્થ :- ‘‘આત્મા (શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય એવો શુદ્ધાત્મા) નિગ્રંથ, નિરાગ, નિઃશલ્ય, સર્વદોષવિમુક્ત, નિષ્કામ, નિઃક્રોધ, નિર્માન અને નિર્મદ છે.’’ આગળ આચાર્ય ભગવંત કહે છે કે સ્ત્રી-પુરુષ આદિક પર્યાયો, રસ-ગંધ-વર્ણ-સ્પર્શ અને સંસ્થાન તેમ જ સંહનન વગેરે રૂપ પુદ્ગલના પર્યાયો તો આત્માના નથી જ; પરંતુ તેવા જે ભાવ આત્મામાં થાય છે તેમાં પણ મારું ‘હુંપણું’ નથી તેનાથી વ્યતિરિક્ત જે પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છે, તેમાં જ માત્ર મારું ‘હુંપણું’ છે; તેથી કરીને તેવો જીવ કોઈ પણ લિંગથી (અર્થાત્ વિશેષરૂપ પરિણમનથી – પર્યાયથી) ગ્રહણ થાય તેવો નથી, તેવો જીવ માત્ર અવ્યક્તરૂપ છે અને તે પૂર્વે જણાવ્યા અનુસાર ભાવમનનો વિષય થાય છે અને તે જ શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયરૂપ શુદ્ધાત્માની અપેક્ષાએ ‘‘સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે’’ એમ કહેવાય છે અને તેવો શુદ્ધાત્મા જ ઉપાદેય છે અર્થાત્ એકત્વ કરવા યોગ્ય છે.
શ્લોક ૭૩ :- ‘શુદ્ધ નિશ્ચયનયથી મુક્તિમાં તેમ જ સંસારમાં તફાવત નથી' આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે.’’
અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જીવ ત્રણે કાળ સંપૂર્ણ શુદ્ધ જ છે નહિ કે જીવનો કોઈ ભાગ શુદ્ધ અને બીજો ભાગ અશુદ્ધ. નયપદ્ધતિમાં પૂર્ણ દ્રવ્ય (પ્રમાણનું દ્રવ્ય જ) મલિન પર્યાયરૂપ અથવા પૂર્ણ શુદ્ધરૂપ વગેરે, અપેક્ષાએ કહેવાય છે અને તેમ જ સમજાય છે, અન્યથા એકાંતે નહિ. જો તેને એકાંતે મલિન અથવા શુદ્ધરૂપ માનવામાં આવે તો તે જૈનદર્શન બાહ્ય જ સમજવાં. આગળ આચાર્ય ભગવંત સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે કઈ રીતે અને શેનાથી ભેદજ્ઞાન કરવું તે જણાવે છે. જેમ કે નારકાદિ પર્યાયો, માર્ગણા સ્થાનો, ગુણસ્થાનો, જીવસ્થાનો, બાળ-વૃદ્ધ વગેરે શરીરની અવસ્થાઓ, રાગદ્વેષરૂપ કષાયો હું નથી, હું તેનો કર્તા, કારયિતા નથી અથવા અનુમોદક પણ નથી અર્થાત્ તેમાં મારો કોઈ કર્તાભાવ નથી અને તેને સારાં માનતો પણ નથી.
ગાથા ૮૨ : અન્વયાર્થ:- ‘“આવો ભેદ-અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે (અર્થાત્ જ્ઞાનીને