________________
સાધકને સલાહ
૧૩૯
અંગીકાર કર્યો છે. તેથી તેને નથી કાંઈ ત્યાગવાનું રહ્યું કે નથી કાંઈ ગ્રહવાનું – અંગીકાર કરવાનું રહ્યું. સ્વભાવદષ્ટિની અપેક્ષાએ આમ હોવા છતાં, પર્યાયમાં તે પૂર્વબદ્ધ કર્મોના ઉદયના નિમિત્તે અનેક પ્રકારના વિભાવભાવો રૂપે પરિણમે છે. એ વિભાવપરિણતિ નહિ છૂટતી દેખીને તે આકુળવ્યાકુળ પણ થતો નથી તેમ જ સમસ્ત વિભાવપરિણતિને ટાળવાનો પુરુષાર્થ કર્યા વિના પણ રહેતો નથી. સકલ વિભાવપરિણતિરહિત સ્વભાવદષ્ટિના જોરરૂપ પુરુષાર્થથી ગુણસ્થાનોની પરિપાટીના સામાન્ય ક્રમ અનુસાર તેને પહેલા અશુભ પરિણતિની હાનિ થાય છે અને પછી ધીમે ધીમે શુભ પરિણતિ પણ છૂટતી જાય છે. આમ હોવાથી તે શુભ રાગના ઉદયની ભૂમિકામાં ગ્રહવાસનો અને કુટુંબનો ત્યાગી થઈ વ્યવહારરત્નત્રયરૂપ પંચાચારોને અંગીકાર કરે છે. જો કે જ્ઞાનભાવથી તે સમસ્ત શુભાશુભ ક્રિયાઓનો ત્યાગી છે, તો પણ પર્યાયમાં શુભ રાગ નહિ. છૂટતો હોવાથી તે પૂર્વોક્ત રીતે પંચાચારને ગ્રહણ કરે છે.'
જે ધર્મમાં (અર્થાત્ જૈન સિદ્ધાંતમાં) “સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે” એમ કહ્યું હોય તેથી સર્વ જીવોને પોતાના સમાન જ જોતાં, ક્યાંય વેરવિરોધને અવકાશ જ ક્યાંથી હોય ? અર્થાત્ વિશ્વમૈત્રીની ભાવના જ હોય. અને તેવા ધર્મમાં ધર્મના જ નામે વેરવિરોધ અને ઝઘડા થાય, તો તેમાં સમજવું કે અવશ્ય આપણે ધર્મનું હાર્દ સમજ્યા જ નથી, માટે ક્યાંય ધર્મ અર્થે વેરવિરોધ કે ઝઘડા ન હોય. કારણ કે ધર્મ દરેકની સમજણ અનુસાર દરેકને પરિણમવાનો અને તેથી તેમાં મતભેદ અવશ્ય રહેવાના જ, પરંતુ તે મત-ભેદને મત-ભેદથી અધિક, કોઈ રાગદ્વેષના કારણરૂપ વેરવિરોધ અને ઝઘડાનું રૂપ આપવું તે, તે જ ધર્મ માટે મૃત્યુઘંટ સમાન છે.
આથી અમો તો સર્વેને એક જ વાત જણાવીએ છીએ કે ધર્મને નામે આવાં વેરવિરોધ અને ઝઘડાઓ હોય, તો તેને ખતમ કરી દેવા અને સર્વે જનોએ પોતાના મનમાંથી પણ કાઢી નાંખવા, અન્યથા તે વેરવિરોધ અને ઝઘડાઓ આપને મોક્ષ તો દૂર, અનંત સંસારનું જ કારણ બનશે. તેથી જેને જે વેરવિરોધ હોય તે ક્ષમાવી દેવો જ હિતાવહ છે અને ભૂલી જવો જ હિતાવહ છે અને તેમાં જ જિનધર્મનું હિત સમાયેલું છે. કારણ કે આવો વેરવિરોધ અને ઝઘડા પણ ધર્મને વિપરીત રૂપે ગ્રહણ કરેલ છે તેનું જ ફળ છે, અન્યથા જેણે ધર્મ સમ્યકરૂપે ગ્રહણ કરેલ હોય તેના મનમાં વેરવિરોધ કેમ ઊઠે ? અર્થાત્ માત્ર કરુણા જ જન્મે, નહિ કે વેરવિરોધ અથવા ઝઘડા, આ સમજવાની વાત છે અને તેથી સર્વે જનોએ ધર્મ નિમિત્તના વેરવિરોધ અથવા ઝઘડા ભૂલીને સત્ય ધર્મનો ફેલાવો કરવા જેવો છે એમ અમારું માનવું છે.
હવે અમે નિયમસાર અનુસાર સમ્યગ્દર્શન અને સમ્મધ્યાનનો વિષય બતાવીએ છીએ.