________________
અરિહંત ! હવે ઉપદેશથી કોઈ નહિ સુધરે. લોહી આપીને આપણી ભૂલ સુધારવી પડશે.” ને મુનિ ખડક જેવા અડગ થઈને ઊભા રહ્યા.
મહાશિલાકંટક યંત્રમાંથી ઉપરાઉપરી કાંકરા આવી રહ્યા હતા. કદીક ધીરા આવતી, કદીક વેગથી આવતા, કદીક થંભી જતા. એ કાંકરા શિલાની જેમ જોશથી વાગતા. એ વખતે પ્રેમસમાજ ધ્રુજી જતો, પાછાં પગલાં ભરતો. વળી કાંકરા થંભી જતા ત્યારે એ વેગમાં આવીને આગળ વધતો.
શું જીવન આપી દેવું પડશે ?' ‘હા, નીડર થઈને; બીજો કોઈ માર્ગ નથી.’ એટલે મરી જવું એમ જ ને ?” હા.” મુનિ ખડકની જેમ ખડા રહી ગયા હતા.
‘દીવા ઉપર પતંગિયાંની જેમ ?” એક જણાએ પ્રશ્ન કર્યો. એ પ્રશ્નમાં કંપારી હતી. ‘એથી આ યુદ્ધની ગોઝારી આગ બુઝાઈ જશે ખરી ? આપને ખાતરી છે ?' બોલનારના અવાજ માં અશ્રદ્ધા ગુંજતી હતી.
ના, કોઈ ખાતરી આપી શકાય તેમ નથી. કદાચ આગ વધુ પ્રદીપ્ત પણ થાય !” બેપરવાઈથી મુનિ બોલ્યા.
‘તો મરવાનો કંઈ અર્થ ?'
‘પૂછું છું કે હિંસાની પ્રતિષ્ઠામાં, વેરની વસૂલાતમાં ભાગીદાર થઈને હવે જીવવાનો પણ કોઈ અર્થ ?'
અરે, જીવ છે તો જગત છે.”
જગતનો મોહ છોડી દો. મૃગજળને મહાસાગર માની ઘણા દહાડા દોડવી, હવે સાચી વાત સમજી લેવાની જરૂર છે. સિર આપી દો, સાર સંગ્રહી લો !'
અમે પ્રેમ સ્થાપવા માંગીએ છીએ.” ‘પ્રાણ આપવાની તૈયારી વગર પ્રેમસ્થાપન નહિ થાય.’ અમે અહિંસાની પ્રતિષ્ઠા કરવા માગીએ છીએ.”
અહિંસા નિખાલસ અર્પણ માગે છે.’ મુનિરાજ અંતર્મુખ બની ગયા હતા. તેઓએ હવે ચારે તરફ જોવાનું છોડી દીધું હતું. મન સાથે કંઈક સંભાષણ ચાલતું હોય, એમ એમની મુખમુદ્રા પરથી લાગતું હતું.
અર્પણ ! ધન, ધાન્ય, પદ એ સર્વનું અર્પણ !' પ્રેમીસમાજે કહ્યું, “અમે ઘણું ઘણું અર્પણ કર્યું છે. હવે વિશેષ શું માગો છો ?” આખરે જીવનનું અર્પણ . મંદિર પર શિખર ને શિખર પર કળશ.’
330 શત્રુ કે અજાતશત્રુ
‘જીવનના અર્પણમાં અમે માનતા નથી. જીવન હશે તો ઘણું ઘણું થઈ શકશે.’
આજની ઘડી એવી છે, કે જીવન અર્પણ કરીશું તો જ જ ગત સુંદર બની શકશે. છૂંદાયેલી વાડીમાં નવા ખાતર વિના ફૂલ નહીં ઊગે.’ મુનિ સાવ અંતર્મુખ બન્યા હતા.
‘અમે તમારી વાત માનતા નથી.’ એકે કહ્યું. ‘માનો કે ન માનો, હું અસત્ય ભાખી શકતો નથી.’ ‘અમે નિર્દોષ છીએ. તમે પાપ કર્યા, તો પ્રાયશ્ચિત્ત પણ તમે જ કરો !”
‘એમ જ થશે.” ને મુનિના શબ્દોનો પડઘો જ ન હોય તેમ એક કાંકરો ભયંકર વેગથી આવ્યો, મુનિની છાતીમાં વાગ્યો. મુનિ પડતા પડતા મહામહેનતે બચ્યા.
‘ફાલ્ગનીની સુંવાળી દેહનો સ્વાદ તમે કર્યો. તમે મહાપાપ કર્યું. એનું પ્રાયશ્ચિત્ત પણ તેમને જ ઘટે.' પ્રેમીસમાજમાંથી નિર્લજ્જ પોકાર આવ્યો.
‘મૂળ સડ્યા વગર વૃક્ષની શાખા, પ્રશાખા કે પાંદડું સડતું નથી. આમાં આપણા સહુનો-આપણી હવાનો પણ-દોષ છે. હવે તો સહુએ સમૂહપ્રાયશ્ચિત્ત કરવાનું છે. જે કરશે એ તરશે.’ મુનિએ કહ્યું. છાતી પરના આઘાતે એમના બોલવામાં થડકારો પેદા કર્યો હતો.
અરે , મુનિની બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ છે ! એણે આપણો પવિત્ર સ્તૂપ તોડાવ્યો. આપણું માન તોડાવ્યું.’ પ્રેમીસમાજ હવે બહારનું યુદ્ધ કરવાનું ભૂલી અંદરનું યુદ્ધ આદરી બેઠો.
‘તમારા અંતરમાં તો એ સ્તૂપ પ્રથમથી જ તૂટેલો હતો; મેં તો માત્ર તમારી એ લાગણીને આકાર આપ્યો. જેના અંતરમાંથી શ્રદ્ધા ગઈ, એને આંગણે સ્તૂપ રહ્યો તોય શું, ન રહ્યો તોય શું ? તમારું અંતર મક્કમ હોત તો સ્તૂપને કોઈ સ્પર્શ પણ કરી શકત નહીં.” મુનિએ કહ્યું.
“અરે ! આ મુનિ તો નગુરો છે. એ આપણને મરાવી નાખશે, ને પ્રતિષ્ઠા પોતે ખાટશે. એવા નેતાઓનો વિશ્વાસ ન કરવો.” પ્રેમીસમાજે હવે પૂરેપૂરો અવિશ્વાસ પ્રગટ કર્યો.
‘નેતામાં નહિ, હવે તમારી જાતમાં વિશ્વાસ ઊભો કરો. નેતાઓએ તમારી નાવને ખરાબે ચઢાવી દીધી છે. માટે ફરી આત્મનિરીક્ષણ કરો. તમારાં ખોવાયેલાં જીવનનાં મૂલ્યોમાં ફરી વિશ્વાસ પ્રસ્થાપિત કરો.”
“અરે, ચાલો પાછા, ફોગટ મરવું નથી !' પ્રેમીસમાજ પાછો હટવા લાગ્યો. ‘અહીં મરવું ફોગટ નથી. આ રીતે કરવામાં તમારું જીવન ઉજ્વળ થશે.’
મુનિનું સમર્પણ D 331