________________
13.
ધરતી અને મેઘ
બબ્બે માતાઓની સેવાશ્રુષાના બળે કુમાર મેતાર્ય બહુ જલદી સાજો થઈ ગયો. એની આ માંદગી ઐતિહાસિક મૂલ્ય લઈને આવી. અનેક અવનવા સંબંધો પેદા કરીને પૂરી થઈ. મહારાજ બિમ્બિસાર અને મહાઅમાત્ય અય એને પોતાનો નજીકનો સ્વજન લેખાતા થયા હતા. નગરજનો પોતાના લધુ વયના ઓ વીરકુમાર માટે ખૂબ જ સન્માન દાખવતા.
પણ સહુથી વધુ ગાઢ સંબંધ તો વિરૂપા અને માતંગ સાથે જોડાયો હતો. એકબીજાને ત્યાં જવાનો સંકોચ રહ્યો નહોતો, ને લોકોને મોઢે પણ ગળણું બંધાવ્યું હતું.
માતંગ અનેક ઘાની નિશાનીઓ શરીર પર રાખીને સાજો થયો હતો. એના કપાળમાં એક મોટો લાંબો ઘાનો ચીરો અમીટ રીતે પડી ગયો હતો. પણ એ ચીરો દૂષણ બનવાને બદલે ભૂષણ બની ચંદ્રની આડ જેવો એના વિશાલ ભાલપ્રદેશમાં શોભતો હતો. અવસ્થાએ ઘેરાતા એના વદનને જાણે એ નવી ખુમારી આપી જતો હતો.
વિરૂપા-માતૃત્વના સ્મરણે ઘેલી બનેલી વિરૂપા, દેવી સુલસાના બત્રીસ પુત્રોના મૃત્યુપ્રસંગના શ્રવણ પછી શાન્ત બની ગઈ હતી. એને લાગવા માંડ્યું હતું કે સુખના ઉદ્ભવ માટે સ્વાર્પણ જરૂરી છે. કમળનો ઉદ્ભવ આપનારી માતા પૃથ્વીએ પણ કાદવ બનવું પડે છે. કાદવ બન્યા વગર કંઈ કમળને જન્માવી શકાય ? માતૃત્વની ઊપડેલી ઝંખના આ રીતે શમી જતાં વિરૂપા હવે વ્યગ્ર નહોતી રહેતી. ત્યાગનો અનેરો આનંદ એના દિલને સદાકાળ પ્રફુલ્લિત રાખતો હતો.
મેતાર્ય યોગ્ય વયનો થતો જતો હતો અને યોગ્ય વયે માતાપિતાને સૂઝે અને મૂંઝવે એવા બે પ્રશ્નો ઊભા થયા હતા. એક મેતાર્યના લગ્નનો અને બીજો,
વેપારવણજ તેને હાથ સોંપવાનો. ધનદત્ત શ્રેષ્ઠીનો વ્યાપાર દૂરદૂરના દેશો સાથે સંકળાયેલો હતો. જલપત્તનX અને સ્થલપત્તનળ ને માર્ગે અનેક વેપારો ચાલતા હતા. આર્ય અને અનાર્ય દેશોનો પ્રતિબંધ નહોતો. અનેકભાષાભાષી વ્યવહારિયા આ કાર્ય નિભાવતા.
ચંપા-અંગ, તામ્રલિપ્તિ-બંગ, કંચનપુર-કલિંગ, વારાણસી-કાશી, સાકેત-કોશલ, દ્વારવતી-સૌરાષ્ટ્ર વગેરે દેશોમાં તેમની પેઢીઓ ચાલતી; અને શક, યવન, બર્બર, સિંહલ, પારસ, ગંધાર, કોંકણ ને હુણ દેશો સાથે પણ મોટા મોટા સાર્થવાહો દ્વારા માલની આપલે થતી.
ધનદત્ત શ્રેષ્ઠીએ જીવનના એકમાત્ર આનંદ સમા મેતાર્યને ધીરે ધીરે આ કામમાં નિયુક્ત કરવા માંડ્યો. અઢાર ભાષાઓના જ્ઞાતા અને અનેક પ્રકારની કળાઓના જાણકાર મેતાર્યને આ કામમાં નિપુણ બનતાં વિલંબ ન લાગ્યો. શસ્ત્રાસ્ત્રનો, પ્રાણીઓનો, મધ, માંસ ને વિષનો વેપાર કરવાનો કુલધર્મથી નિષેધ હતો. પણ જેનાથી પ્રજાજીવન પર અસર પડે તે દૂધનો, ધૂતનો, તેલનો, હાથીદાંતનો, ફળમૂળ ને ઔષધિના વેપારનો મેતાર્યે નિષેધ કર્યો. ખોટાં ખાતાં, દાણચોરી અને સાટાંતેખડાંની પણ તેણે બંધી કરી.
દરેક પેઢી પ્રામાણિકતાથી ચાલે, સત્ય ને ન્યાયને માર્ગે દ્રવ્ય ઉપાર્જન કરે, એક વસ્તુની કિંમતના એની અછતના લીધે ચારગણા ભાવ ન વધારે, એ તરફ એણે પૂરતું લક્ષ આપવા માંડ્યું.
પ્રારંભમાં હાથ નીચેના વ્યવહારીઓનો કુમાર મેતાર્ય સામે કચવાટ વધ્યો, પણ ધનદત્ત શ્રેષ્ઠીએ તો લગભગ નિવૃત્તિ લીધેલી હોવાથી કોઈનું કંઈ ચાલ્યું નહિ. થોડો કાળ જતાં આ પદ્ધતિના કારણે ધનદત્ત શ્રેષ્ઠીની પેઢીઓની ખ્યાતિ દૂર દૂર પ્રસરી : અને વ્યાપાર ખૂબ મોટા પ્રમાણમાં ચાલવા લાગ્યો. લક્ષમીની રેલ આપોઆપ એને ત્યાં વહેવા લાગી.
આવા યૌવનવયને પ્રાપ્ત થયેલ, ગૃહસ્થાશ્રમધર્મને નિભાવવાને સશક્ત એવા પુત્રના લગ્નની ઉત્કટ અભિલાષા માતાપિતાને હોય જ , ધનદત્ત શ્રેષ્ઠી પાસે કહેણ ઉપર કહેણ આવતાં હતાં. કોઈ મિથિલા નગરીના નગરશ્રેષ્ઠીનું આવતું, તો કોઈ કાંપિલ્ય નગરીના ધનકુબેરનું આવતું. પિતાની ઇચ્છા સ્વર્ગની અપ્સરાઓને વીસરાવે તેવી કન્યાઓ પુત્ર માટે આણવાની હતી : અને તે માટે મેતાર્યને જ પ્રવાસે મોકલવાનો નિર્ણય કર્યો. વિવેકપરાયણ પુત્ર પોતે જ કન્યાઓને નીરખે, એના ગુણ, ધર્મ ને કુળશીલની તપાસ કરે; અને પછી જ લગ્નોત્સવ શરૂ થાય.
x જ્યાં જલમાર્ગ હોય ને વહાણો લાંગરી શકતાં હોય તે ભૂમિ, જ્યાં સ્થલમાર્ગ હોય તે સ્થલપત્તન.
ધરતી અને મેઘ D 95