________________
ભૂમિકા
ઈ. સ. ૧૯૮૪થી “નવનીત-સમર્પણ” માં મારા લેખો અવારનવાર પ્રકાશિત થતા, તે સિવાય ઈન્દોરથી પ્રકાશિત થતા હિન્દી માસિક “તીર્થંકર”માં પણ મારા લેખો પ્રકાશિત થતા. જો કે દરેક લેખના વિષય વિભિન્ન હતા. આમ છતાં તેમાં
મુખ્યત્વે ભૌતિકશાસ્ત્ર સંબંધી લેખો ઘણા હતા. આ રીતે જૈન દર્શન અને વિજ્ઞાન અંગેની મારી સંશોધનયાત્રા ચાલતી રહી. દશેક વર્ષ પછી લગભગ ૩૦ લેખ થયા પછી જૈનદર્શન અને વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો તરફથી અને તેમાં પણ “નવનીત-સમર્પણ” માં “જગતના વહેણ” કોલમના લેખક શ્રી કાન્તિભાઈ મેપાણી, જેઓ અમેરિકાસ્થિત શ્રીમહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીના સમૂહ રૂપ એલ્મની એસોસિયેશનના મંત્રી હતા, તેઓને મારા લેખ ઘણા પસંદ આવ્યા અને મારા બધા લેખોની નકલ તેમણે માંગી. તે સમય દરમ્યાન શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે મેં શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મારો લેખ સંગ્રહ પ્રકાશિત કરે, તેવું સૂચન કરેલ અને લેખોની નકલ પણ મોકલેલ. તેથી શ્રી કાન્તિભાઈ મેપાણી અને અમેરિકા રહેતા તથા જૈના(JAINA)ની પાઠશાળા કિમિટના સભ્ય અમારા સંસારી પક્ષે મારા મામાની પુત્રી શ્રીમતી દર્શનાબહેન તથા ડૉ. પ્રદીપભાઈ કે. શાહના સહયોગથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ દ્વારા મારું સર્વ પ્રથમ પુસ્તક ઈ. સ. ૧૯૯૫માં “જૈનદર્શન : વૈજ્ઞાનિક દૃષ્ટિએ” “Jainism : Through Science” નામે પ્રકાશિત થયું.
:
ત્યારબાદ આ જ પુસ્તકના સંદર્ભમાં “Times of India”ની અમદાવાદ આવૃત્તિના તંત્રી શ્રી તુષારભાઈ ભટ્ટ તા.૨૫, જુલાઈ ૧૯૯૭ના શુક્રવારે બપોરે ૩-૦૦ કલાકે મારી મુલાકાતે આવ્યા અને તા. ૨, ઓગષ્ટ, ૧૯૯૭ના શનિવારે “Times of India”ની અમદાવાદ આવૃત્તિમાં તેઓએ મારા કાર્યને બિરદાવતો લેખ પ્રકાશિત કર્યો.
5