________________
નિર્ભયતા - હીંડતાં-ચાલતાં જરાક ખડખડાટ થયો કે ચાલો પોલીસ પાસે, તો તમે આવતું સ્વરાજ્ય પચાવી નહીં શકો.
જરાક ઝઘડો થયો કે દુકાનો બંધ કરી ભાગ્યા, ખાટલા તળે ભરાયા, એવા નમાલા માણસોનો યુગ ચાલ્યો ગયો છે. દરેક માણસે બાહુબળ કેળવવું જોઈશે. આપણા સ્વરાજ્યમાં નબળાનું અને ગરીબોનું રક્ષણ કરવું જોઈશે.
પોતાનો અને આસપાસનો બચાવ કરતાં શીખવું જોઈએ. આપણા કુટુંબનો બચાવ કરવો એ આપણો ધર્મ છે. પોલીસ પાછળ દોડવું નહીં જોઈએ. દરેકે પોલીસ બનવું જોઈએ; એટલે કે નિર્ભય થવું જોઈએ. પોલીસને પણ મરણ આવે છે. એટલી વસ્તુ નક્કી છે કે જીવનની સાથે મરણ બાંધેલું છે. પછી ડર શા માટે રાખવો જોઈએ ? સ્વતંત્રતા પચાવવા માટે નિર્ભયતા ન કેળવે, પોતાનો બચાવ ન કરે તે લાયક નથી.
( ૧૨ |
| વિનયની કેળવણી | આપણી ઉપર બિલકુલ આળ ન આવે એ સંભાળજો. કોઈ મર્યાદા છોડશો નહીં. ગુસ્સાનું કારણ મળે તોપણ અત્યારે ખામોશી પકડી જજો. મને કોઈ કહેતું હતું કે ફોજદારે અમુક માણસને ગાળ દીધી. હું કહું છું કે, એનું મોઢું ગંદું થયું. આપણે શાંતિ પકડી જવી. અત્યારે તો મને કોઈ ગાળ દે. તોપણ હું સાંભળી રહું. આ લડતને અંગે તમે ગાળો પણ ખાઈ લેજો. એટલે એ પોતે જ પોતાની ભૂલ સમજી જશે. પોલીસ કે બીજો કોઈ અમલદાર તેની મર્યાદા છોડે છતાં તમે તમારી મર્યાદા ન છોડશો. તમારી વહાલામાં વહાલી વસ્તુ લૂંટી જાય તોપણ કશું ન બોલશો. હિંમત ન હારશો, પણ સામા હસજો. તેજ , બહાદુરી અને તેની સાથે હું માગું છું તેવો વિનય-ખાનદાની- આ કમાણી આપણને અમથી કોઈ દિવસ મળવાની નહોતી. તે આ લડતમાંથી આ તાલુકાના ખેડૂતો મેળવો એ જ ઈશ્વર પાસે હું માનું છું.
૧૩ ]