________________
વળતી ટપાલે સ્વીકારનો પત્ર આવ્યો અને આપણા આનંદનો પાર ન રહ્યો. પહેલો લેખ સ્વીકારાય અને પ્રગટ થાય એ સમયની લહેજત કંઈ ઓર હોય છે ! તે પછી જીવનમાં ગમે તેટલી વાર્તાઓ પ્રગટ થાય, પુસ્તક લખાય, પણ પેલો રોમાંચ પુન: સાંપડતો નથી.
થોડા સમયમાં ‘ઝગમગ' સાપ્તાહિકના તંત્રીએ પેલી વાર્તા ત્રીજે પાને સરસ રીતે પ્રગટ કરી. મનમાં થયું કે બે-ત્રણ વધુ નકલ લઈ આવું કે જેથી મિત્રોને એ રુઆબભેર બતાવી શકાય. એની નકલો લેવા માટે એ સાપ્તાહિકના કાર્યાલયમાં ગયો અને એના તંત્રીને મળ્યો. એમણે જ્યારે જાણ્યું કે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક જયભિખ્ખુનો હું પુત્ર છું ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. એમણે મને બેસાડ્યો અને એક કૉલમ લખવા કહ્યું. એ કૉલમનું નામ હતું ‘ઝગમગતું જગત’. અને આમ માત્ર અગિયાર વર્ષની ઉંમરથી નિયમિત કૉલમ લખવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો !
આજે આટલા બધા દાયકાઓ પછી પણ લેખનનો એ જ હર્ષ- રોમાંચ મને થાય છે અને એ લેખનયાત્રાનો આજે આ એક વિશિષ્ટ મુકામ જોઉં છું.
આપણી ગરવી ગુજરાતના અસ્મિતાપુરુષ રણજિતરામ વાવાભાઈની સ્મૃતિમાં અપાતો રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવતાં આનંદનો અનુભવ કરું છું. આ માટે ગુજરાત સાહિત્યસભાના હોદ્દેદારોનો, નિર્ણાયકોનો અને શુભેચ્છકોનો આભારી છું. આપણી રાષ્ટ્રીય અસ્મિતાના ઉદ્વાહક શ્રી કનૈયાલાલ મુન્શીએ જેમને ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(સેલ્ફ કૉન્શિયસ)ના અવતાર કહ્યા હતા એ ભાવનાપુરુષ રણિજતરામભાઈની ગુજરાત અને ગુજરાતની ભાષા પ્રત્યેની જે નિષ્ઠા અને પ્રવૃત્તિ હતાં તેની આગળ આજની હવામાં જે પડકારો ઊભા થયેલા છે તે મને અત્યંત સચેત ને સચિત કરી રહ્યા છે.
ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવાના તથા બનતા પ્રયાસે તેને લોકપ્રિય કરવાના ધ્યેયને વરેલી ગુજરાતની સૌથી જૂની અને ગૌરવવંતી આ સાહિત્યસભાના આજના સમારંભ-પ્રસંગે ગુજરાતી ભાષાની (માતૃભાષાની) વર્તમાન સ્થિતિ વિશે કેટલાક વિચારો વ્યક્ત કરું તો અસ્થાને નહીં લેખાય.
આજે અંગ્રેજી માધ્યમમાં ટોળાબંધ વિદ્યાર્થીઓ ધસી રહ્યા છે. આજે શહેરોમાં જ નહીં, પણ ગામડાંમાં પણ અંગ્રેજી માધ્યમ તરફ ધસારો જોવા મળે છે. વિડંબના તો એ છે કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી બીજી
ભાષા તરીકે પોતાની માતૃભાષાને બદલે ફ્રેન્ચ પસંદ કરે છે ! આ પરિસ્થિતિ અંગે સમાજના તમામ વર્ગોએ ચોકશા થઈને ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે.
એક એવો આભાસ ઊભો કરવામાં આવ્યો છે કે આજની પરિસ્થિતિમાં મજબૂત રીતે ટકી રહેવું હોય તો બસ, અંગ્રેજી શીખો, એના પર પ્રભુત્વ મેળવો. અંગ્રેજી ભાષાના મુકાબલામાં ઊતરવાનું બીજું કોઈ ભાષાનું ગજું નથી. એ રીતે તો માતૃભાષા ગુજરાતીનું તો ગજું ક્યાંથી હોય? અંગ્રેજીનો કોઈ વિકલ્પ જ નથી. આ દેશમાંથી અંગ્રેજોનું આધિપત્ય ભલે ગયું, એ રીતે અંગ્રેજ સત્તાની ગુલામીમાંથી આપણે ભલે મુક્ત થયા; પરંતુ અંગ્રેજી ભાષાની મોહિનીમાંથી તેમ જ તેના સંસ્કારોમાંથી આપણે ખરેખર કેટલા મુક્ત થયા છીએ તે પ્રશ્ન છે. અંગ્રેજોની સત્તામાંથી મુક્ત થયા બાદ, ઊલટું, અંગ્રેજી ભાષાનું વર્ચસ વધુ ને વધુ ને ફેલાતું અનુભવાય છે ! આપણને અડધી રાત્રે આઝાદી મળી તેમ કહેવાય છે, પણ હજી આપણું મંગળ પ્રભાત ઊગવાનું ! આપણો ખરો સૂર્યોદય થવાનો બાકી છે. જે ગુલામીની સૂગ હોવી જોઈએ તે આપણને સદી ગઈ છે ! જેની શરમ લાગવી જોઈએ તેનું ગૌરવ કરતા ફરીએ છીએ ! હકીકતે આપણે હજુ અંગ્રેજિયતમાંથી થવા જોઈએ તેટલા મુક્ત થયા નથી.
વળી ઉદ્યોગો, ટૅક્નૉલૉજી અને સરકારી તંત્રોને માટે અંગ્રેજી ભાષા ભલે જરૂરી બની, પરંતુ એની સાથે પશ્ચિમના સંસ્કાર તેમ જ સંસ્કૃતિએ પણ પગપેસારો કર્યો અને પછી આપણને ભરડામાં લીધા. આપણે પશ્ચિમી જીવનરીતિના અંધ અનુયાયી જેવા બની રહ્યા. આપણે આપણા દેશકાળને અનુરૂપ એવી પરંપરાગત જીવનશૈલીને વિવેકપુરઃસર સાચવવાની કાળજી ન લીધી. આપણે પશ્ચિમી ભોજનરીતિ અપનાવી ને આપણી પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ આહારરીતિને જોખમાવા લીધી. આપણા ઉત્સવોમાં આપણને જુનવાણીપણું દેખાયું અને પશ્ચિમના તહેવારો ઊજવવામાં દિલચશ્પી દાખવી.
આમ તો પાશ્ચાત્ય સંસ્કાર અને સંસ્કૃતિના આક્રમણનો પ્રશ્ન એક શતાબ્દી પૂર્વે પણ ચર્ચાતો રહેલો પરંતુ જુદી રીતે, ઈ. સ. ૧૯૦૯ના ઑક્ટોબરમાં રાજકોટમાં યોજાયેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં તત્કાલીન પરિષદપ્રમુખ તરીકે ભાષણ આપતાં સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ કહેલું: “અંગ્રેજી શાળાઓમાં અપાતું અંગ્રેજી ભાષા સિવાયનું સર્વ જ્ઞાન ગુજરાતી ભાષામાં આપવું જોઈએ..... જગતમાં કોઈ પણ