SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સાત કરતાં પ્રેમાનંદના “નળાખ્યાન”ની ભાષા વધુ સરળ લાગે છે. આનું કારણ એ કે પ્રેમાનંદ એ પદ્મનાભ કરતાં અર્વાચીન ગુજરાતી ભાષાભૂમિકાની વધુ નજીક છે. આનંદઘનજીનાં સ્તવનોના ભાષાસ્વરૂપને જોતાં કેટલીક બાબતો લક્ષમાં લેવી જોઈએ. એક તો લિપિ પ્રતિબિંબનમાં બોલાતી ભાષાનો એક વિશિષ્ટ આકાર જ પ્રાપ્ત થાય છે. લહિયાને જે પ્રત મળી હોય એના પરથી જ કૃતિ લખાતી હોય છે. આમ એના લેખકની રૂઢિ યથાતથ જળવાતી હોય છે. આને કારણે જ એક જ શબ્દનાં ભિન્ન ભિન્ન રૂપો આ હસ્તપ્રતમાંથી મળે છે. આ સમયે જે રીતે ઉચ્ચારણ થતું હોય તેને બદલે ક્યારેક જુદું રૂપ અને ક્યારેક જૂનું રૂપ પણ લહિયો વાપરતો હોય છે. પદ્યમાં પ્રાસ કે અનુપ્રાસ મેળવવા માટે પોતાના સમયના ઉચ્ચારણમાં હોય તેનાથી જુદું કે જૂનું રૂપ વાપરવા પણ પ્રેરાય છે. વળી પઘ વધુ conservative હોય છે, આથી એમાં અગાઉની ભાષાભૂમિકાનાં રૂપો પણ જળવાયેલાં રહે છે. પરિણામે એક જ કૃતિમાં ‘કરઇ’ અને ‘કરે ' જેવાં બંને રૂપો મળે. મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાચીન ગુર્જર કે જૂની ગુજરાતી પછીની બીજી ભૂમિકાનો પ્રારંભ પંદરમી સદીથી થયો. આ સ્તવનોની ભાષાનું સ્વરૂપ મધ્યકાલીન ગુજરાતીની ઉત્તરવર્તી ભૂમિકાનું જણાય છે. સ્તવનોની ભાષાનું કાઠું રાજસ્થાની ભાષાનું છે અને કર્તાની માતૃભાષા રાજસ્થાની હોય એવું લિંગવ્યત્યય અને અન્ય પ્રમાણોથી તારવી શકાય છે; પરંતુ ગુજરાતના પ્રદેશોમાં લાંબો સમય વિહાર કર્યો હોવાથી સ્તનોમાં ગુજરાતી ભાષાનો સ્પર્શ મોટા પ્રમાણમાં અનુભવવા મળે છે. અાનંદઘનનો પદવૈભવ મધ્યકાલીન સાહિત્યમાં યોગી આનંદઘનનાં પદો એની ભાવસૃષ્ટિ, આલેખનરીતિ અને હૃદયસ્પર્શિતાને કારણે આગવું સ્થાન ધરાવે છે. એમનાં પદોમાં આત્મસ્વરૂપના પ્રત્યક્ષ અનુભવની અવિચલ આનંદમય ઘડીનો અનુભવ પ્રગટ થયો છે. આ પદોમાં લાલિત્ય, વિધ્યપ્રભુત્વ અને વિશિષ્ટ શબ્દપસંદગીને કારણે ભાવકને અધ્યાત્મની ઘૂંટાયેલી અનુભૂતિ પ્રાપ્ત થાય છે . આનંદઘનનાં ઘણાં પદોમાં આધ્યાત્મિકતાનો ગહન અનુભવ એક રૂપક દ્વારા પ્રગટ થયો છે. સુમતિ અર્થાત્ શુદ્ધ ચેતના પોતાના પ્રિય આતમરામને કુમતિ અર્થાત્ અશુદ્ધ ચેતનાને એનું ઘર છોડીને પોતાના સ્વ-ઘરે આવવા વિનંતી કરે છે . આ સુમતિની વિરહસભર વિપ્રલંભ શૃંગારમાં અભિવ્યક્ત થતી વેદનામાં કવિ આત્મતત્ત્વ પામવાની ઉત્કટ તાલાવેલી પ્રગટ કરે છે. સુમતિ પોતાના પ્રિયતમને સ્વ-સ્વભાવ સાથે જોડવા ઇચ્છે છે, ત્યારે કુમતિ આ પરિસ્થિતિમાં જાતજાતનાં વિઘ્નો સર્જીને એના પ્રિયતમઆત્મા)ને શુદ્ર, સ્થળ, સાંસારિક ભાવોમાં નિમગ્ન રાખે છે. સુમતિ આત્માને જાગ્રત કરવાનો પ્રયત્ન કરે છે, પણ આત્માનું શુદ્ધ ચૈતન્ય સાથેનું અનુસંધાન માત્ર શાસ્ત્રજ્ઞાનથી જ સધાતું નથી. શાસ્ત્રજ્ઞાનના દીપકનો પ્રકાશ માર્ગદર્શક બને ખરો, પરંતુ આત્મજ્ઞાન તો શુદ્ધ આત્મતત્ત્વના સાક્ષાત્ અનુભવમાંથી જ સાંપડે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ થયા બાદ એ આત્માનુભવે વધુ ને વધુ મહાયોગી આનંદથન 124
SR No.034269
Book TitleAnandghan Jivan Ane Kavan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy