________________ નરકના, નિગોદના કે તિર્યંચના ભવોમાં કારમી વેદનાઓ અસંખ્ય કે અનંતકાળ સુધી ભોગવી ભોગવીને પણ જે કર્મ ન ખપાવી શકીએ તે દેવ-ગુરુ પ્રત્યેના આદર-બહુમાનથી ભરેલી આજ્ઞાનુસારી આરાધનાઓ ક્ષણવારમાં ખપાવી શકે છે. આરાધનાઓની તકને ઝિલી લેવાથી અનંતકાળના ભવભ્રમણથી બચી જવાય, ગાફેલ રહેવામાં ભવભ્રમણ વધી જાય. નિર્ણય આપણે કરવાનો છે. લાખો વિમાનોના અધિપતિ ઇન્દ્રો માથું પટકીને મરી જાય, તરફડ, ઝૂરે છતાં આ આરાધના કરવાનું સૌભાગ્ય એમના હાથમાં નથી. નરકના જાલિમ દુઃખોથી રીબાતો નારકીનો જીવ દુ:ખ ભોગવવામાંથી ઉંચો આવે તો આરાધના યાદ આવે ને ? અને કદાચ યાદ આવી જાય તોય પરવશપણું આરાધના ક્યાંથી કરવા દે? જ્યારે તિર્યંચના ભવોમાં અજ્ઞાન એવું છે કે આરાધનાની તક જ દેખાતી કે સમજાતી નથી ત્યારે મનુષ્યનો ભવ જ એક એવો છે, જેમાં આરાધનાની બધી જ સામગ્રી પરિપૂર્ણ રીતે મળેલી છે, સમજણ પણ છે, તક પણ છે. માટે મનુષ્યભવની કિંમત સમજી, પ્રમાદ છોડી, ધર્મભાવના અને ધર્મ આરાધનામાં પ્રયત્ન કરવો ઉચિત છે. વિષયોમાં સદા ઉદ્વિગ્ન રહેનાર અને ધર્મમાં કાળજીથી પ્રયત્ન કરનાર મનુષ્યને જેમ દેવલોક મળે છે, તેમ દેવોમાં જે હંમેશા વૈરાગ્ય ટકાવી રાખી ત્યાંના ભોગોની ઉપેક્ષા કરી, ઉદાસીન રીતે કાળ પસાર કરે તેને મનુષ્ય આયુષ્ય બંધાય છે.. દુર્લભ મનુષ્ય આયુષ્ય દેવોને વૈરાગ્ય અને રતત્રયીની તીવ્ર ઇચ્છાના બળ ઉપર મળે છે. માટે મનુષ્યભવની દેવભવના અંતર દ્વારા સાનુબંધતા મોક્ષ સુધી જેમને જોઇએ, (દેવભવના આંતરે સતત મનુષ્યભવ જોઇએ) તેમણે જીવનમાં મોજશોખ, કપડા, ઘરેણા, ખાનપાન વગેરે બધી જ અનુકૂળતા અને વિષયો ઉપર વૈરાગ્ય ધારણ કરવો, વધારવો અને શક્ય ત્યાગ કરવો. દેવ-ગુરુ, ધર્મ તથા ધર્મીની ભક્તિ-વિનય-બહુમાન રાખનાર, સમ્યકત્વના આચારનું પાલન કરનાર તથા શ્રુતજ્ઞાન અને શ્રદ્ધા વધારતો જનાર જીવ સંસારમાં ગુંચવાતો નથી, ધર્મમાં કંટાળતો નથી, એના દ્વારા સાનુબંધ ધર્મ અને વૈરાગ્ય એને ભવોભવ મળતા જ રહે છે અને જો વચ્ચે બીજા વાવાઝોડાથી ઉંધો ન ચડે તો પાંચ સાત ભવમાં આત્મા મોક્ષ પામે છે. માટે પાપ પ્રવૃત્તિ ઘટાડવી અને ધર્મની આરાધનામાં ઉદ્યમ કરી મનુષ્ય જન્મની ક્ષણોને સાર્થક કરવી.