________________ મોજમઝામાં જો જીવન ગુમાવે નહિ અને શક્ય શક્તિ ફોરવી ધર્મ કરે તેનો કિંમતી એવો મનુષ્યભાવ સાર્થક થાય છે, બાકીનાનો રતથી કાગ ઉડાવ્યા જેવો નિષ્ફળ અને મૂર્ખામી સુચવતો થાય છે. જેમ સંપૂર્ણ રીતે બંધ ઘરમાં જામી પડેલા અંધારાને ખસેડવા પ્રકાશનું એક કિરણ પર્યાપ્ત છે, ઘાસની ગંજીઓના ઢગને કે ઉકરડાઓના ખડકલાઓને બાળવા એક ચિનગારી બસ થઈ પડે છે, કોઈ નિધનીયાની આજન્મ દરિદ્રતાને ખતમ કરવા એકાદ મહામૂલુ રત જ સફળ થઈ જાય છે... તેમ રાચીમારીને કરેલા અનંતાનંત પાપોના ઢગલાઓને ખલાસ કરવા મનુષ્ય જન્મની એકાદ ક્ષણ પર્યાપ્ત થઈ પડે છે. ઉત્કૃષ્ટ અધ્યવસાયોની નિસરણીએ ચડેલો જીવ ઝપાટાબંધ ગુણસ્થાનકોના મજલાઓને સર કરતો લોકના અગ્રભાગે બેસવાની યોગ્યતા મેળવી લે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ભરત ચક્રવર્તી, પૃથ્વીચંદ્ર-ગુણસાગર, ઈલાચીકુમાર આદિના દ્રષ્ટાંતો ક્ષણવારમાં થઈ જતી અજબ-ગજબની ઉથલપાથલોનો તાદૃશ્ય ચિતાર આપી જાય છે. માણસના જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવતી હોય છે, જેના ઉપર ભવિષ્યનો આખો ઇતિહાસ લખાતો હોય છે. જો તે ક્ષણે યોગ્ય નિર્ણય લેવાય તો જિંદગી જીતી જવાય, જો ગાફેલ કે નિસત્વ બન્યા તો વર્ષોની સાધના પાણીમાં ગયા વિના ન રહે. અનંતા કાળથી મોહરાજાની સામે ચાલતા સંગ્રામમાં મોહના સૈન્યને પરાજિત કરવાની, જીતનો બુંગિયો ફેંકવાની અને આત્માની અનંત સમૃદ્ધિને પામવાની તક એક માત્ર મનુષ્યભવ જ આપે છે. આથી જ તો મનુષ્યજન્મની મહત્તાના ગુણગાન ગાતા શાસ્ત્રકાર પરમર્ષિઓ થાકતા નથી. “પુના તુમમેવ સર્વ' જેવા ટંકશાળી વચનોથી ચાર ગતિ, ચોર્યાશી લાખ યોનિ અને અસંખ્ય ઉત્પત્તિસ્થાનોની વચ્ચે પણ મનુષ્ય જન્મને શ્રેષ્ઠ ગણાવ્યો છે, તો ક્યાંક દશ-દશ-દ્રષ્ટાંતોથી તેની દુર્લભતા બતાવી છે. આવા દુર્લભ મનુષ્યભવમાં એક જ કામ કરવાનું હોય.અનાદિકાળથી જામી પડેલી કુવાસનાઓ, કુસંસ્કારો અને કુકર્મોને ખલાસ કરવાનું. એક એક આરાધનાઓ અનંતાનંત કર્મોને કાપવાની તાકાત ધરાવે છે, અને તેથી જ પ્રત્યેક ક્ષણ આવી આરાધનાઓમાં લયલીન બનવામાં પસાર કરવાની છે અને એમાં જો ગાફેલ રહ્યા તો અનંતકાળની દુર્ગતિ લમણે ઝિંકાઈ જાય. તેથી જ તો સુભાષિતકાર મનુષ્ય જીવનની ક્ષણનો આટલો મહિમા બતાવે છે.