________________
૨૧૦
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ અશુભ વિચારવાળા અને અસાર બુદ્ધિવાળા તે ભવાભિનંદી જીવો અસારભૂત અને પરિણામે દુ:ખદાયી એવા પણ આ સંસારને સારરૂપે જુએ છે. આવા કારણે જ આવા જીવો કાં તો અભવ્ય હોય છે અથવા દુર્વ્યવ્ય હોય છે. પરંતુ ભવ્ય કે આસન્નભવ્ય હોતા નથી.
કારણ કે ચરમ પુદ્ગલ પરાવર્તમાં જેઓ આવે છે તેમને જ મુક્તિની ઈચ્છા થાય છે. ગામની ભાગોળે જે આવી જાય છે તેને જ ગામમાં પ્રવેશ કરવાની ઈચ્છા પ્રબળપણે પ્રવર્તે છે. તે સિવાયના જીવોને મુક્તિની કામના થતી જ નથી. એટલું જ નહીં, પરંતુ મુક્તિ પ્રત્યે રોમેરોમમાં હલાહલ દ્વેષ જ વર્તતો હોય છે તેથી જ આવા જીવો આવાં જ વચનો બોલતા હોય છે તથા તે જીવો કેવા હોય છે ? તે કહે છે કે “મોક્ષમાં જઈને શું કરવાનું ? જ્યાં સારું ખાવાનું નથી, સારું પીવાનું નથી, સારું પહેરવાનું નથી, હરવા-ફરવાનું નથી, કોઈપણ જાતની વાતચીત કરવાનું પણ નથી, કેવળ એકલા ખુણામાં મૌન રાખીને બેસી જ રહેવાનું છે. આનો અર્થ શું ? આવા આવા વિચારોના કારણે જ સ્વમતિ પ્રમાણે વિચારો કરીને મુક્તિને ન માનવી તે જ ઉચિત છે. આમ વિચારીને તત્ત્વમય અને કલ્યાણમય એવા પણ મોક્ષને અતત્ત્વમય અને સુખ વિનાની કેવળ દુઃખદાયી જ મુક્તિ છે આમ તેઓ માને છે.
આવા વિચારવાળા જીવોને મોક્ષની સાધના તો હોતી નથી પણ મોક્ષનો આશય પણ હૃદયમાં હોતો નથી. સંસાર જ (સંસારસુખ જ) મધ જેવાં મીઠાં લાગે છે જેમ શરીરમાં કોઈ ભારે રોગ થયો હોય ત્યારે હિતકારી એવી પથ્ય વસ્તુનું સેવન પણ જીવને ગમતું હોતું નથી અને તેના જ કારણે અપથ્યને સેવી સેવીને રોગની વૃદ્ધિ જ કરે છે.
આ પ્રમાણે આ જીવમાં જ્યારે ભાવમલ (મોહના વિકારોની તીવ્રતા) વધારે પ્રમાણમાં હોય છે ત્યારે મોક્ષની ઈચ્છા તો થતી નથી પરંતુ મોક્ષ એ નિઃસાર છે. ત્યાં જઈને ખુણામાં બેસી જ રહેવાનું છે.