________________
૨૦૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ધર્માચાર્યના ઉપકારનો બદલો. • કોઈ પુરુષ સિદ્ધાંતમાં કહેલા લક્ષણવાળા એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જો ધર્મ સંબંધી ઉત્તમ એક જ વચન સાંભળી મનમાં તેનો બરાબર વિચાર કરી મરણનો સમય આવે મરણ પામી કોઈ દેવલોકને વિશે દેવતાપણે ઉત્પન્ન થાય. પછી તે દેવતા પોતાના તે ધર્માચાર્યને જો દુભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષ દેશમાં લાવી મૂકે, વિકરાળ જંગલમાંથી પાર ઊતારે, અથવા કોઈ દીર્ઘકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તો પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી ન શકાય.
પણ તે પુરુષ કેવલિભાષિત ધર્મથી ભ્રષ્ટ થયેલા તે ધર્માચાર્યને કેવલિભાષિત ધર્મ કહી સમજાવી, અંતભેદ સહિત પ્રરૂપી ફરી વાર તે ધર્મ વિશે સ્થાપન કરનારો થાય, તો જ તે પુરુષથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકાય.
માતાપિતાની સેવા કરવા ઉપર, પોતાનાં આંધળાં માબાપને કાવડમાં બેસાડી કાવડ પોતે ઉંચકી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દૃષ્ટાંત જાણવું. માબાપને કેવળીભાષિત ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પિતાજીને દીક્ષા દેનાર શ્રી આર્યરક્ષિતસૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં પણ માબાપને પ્રતિબોધ થાય ત્યાં સુધી નિરવદ્ય વૃત્તિએ ઘરમાં રહેલા કૂર્માપુત્રનું દૃષ્ટાંત જાણવું.
પોતાના શેઠને ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ કોઈ મિથ્યાત્વી શેઠના મુનિમપણાથી પોતે મોટો થયેલો અને વખત જતાં દુર્ભાગ્યથી દરિદ્રી થયેલો મિથ્યાત્વી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને મોટો શેઠ બનાવનાર અને શ્રાવક ધર્મને વિષે સ્થાપન કરનાર જિનદાસ શેઠનું દૃષ્ટાંત જાણવું. પોતાના ધર્માચાર્યને ફરીથી ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર નિદ્રા વગેરે પ્રમાદમાં પડેલા સેલનાચાર્યને બોધ કરનાર પંથક શિષ્યનું દષ્ટાંત જાણવું. આ પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સંબંધી ઉચિત આચરણ પણ પિતાની જેમ જ સમજવું.
હવે માતા સંબંધી ઉચિત આચરણમાં કહેવા યોગ્ય છે તે કહે છે. માતાના ઉચિતની વિશેષતા.
માતા સંબંધી ઉચિત આચરણ પિતા સરખું છે છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી હોય છે અને સ્ત્રીનો સ્વભાવ એવો હોય છે કે નજીવી બાબતમાં તે પોતાનું અપમાન થયું હોય એમ માની લે છે. માતા પોતાના મનમાં સ્ત્રી સ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્રે તેમની ઇચ્છા પ્રમાણે પિતાજી કરતાં પણ વધારે વર્તવું. વધારે કહેવાનું કારણ એ છે કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે.
મનુએ કહ્યું છે કે ઉપાધ્યાયથી દસગણા શ્રેષ્ઠ આચાર્ય છે, આચાર્યથી સો ગણા શ્રેષ્ઠ પિતા છે અને પિતાથી હજારગણી શ્રેષ્ઠ માતા છે. બીજાઓએ પણ કહ્યું છે કે -
પશુઓ દૂધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે. અધમ પુરુષો સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરુષો ઘરનું કામકાજ તેને હાથે ચાલતું હોય ત્યાં સુધી માને છે અને સારા