________________
૨. જ્ઞાનઃ શુદ્ધિપૂર્વકની બુદ્ધિનો વૈભવ
જ્ઞાન એટલે જાણવું. એક ડૉક્ટર તેના તબીબવિજ્ઞાનને લગતું જાણે તે, વકીલ કાયદા જાણે કે વેપારી તેના વેપારને લગતું જાણે તે વ્યાવહારિક જીવનમાં જ્ઞાન કહેવાય. વ્યાવહારિક જ્ઞાન આ ભવમાં સુખ સમૃદ્ધિ આપવા ઉપકારક નીવડી શકે પરંતુ આધ્યાત્મિક જ્ઞાન તો ભવપરંપરા સુધારી શકે. આત્માને જાણવા માટેનું વાચન શ્રવણ તે આધ્યાત્મિક જ્ઞાન કહેવાય. ઇન્દ્રિયોના માધ્યમ વડે આપણને જે જ્ઞાન થાય, અનુભવાય, જોવાય, સંભળાય, સ્વાદનો અનુભવ થાય તેને વહેવારની અપેક્ષાએ આપણો પ્રત્યક્ષ જ્ઞાન કહીએ છીએ. દા.ત. મેં મારી સગી આંખે જોયું, મેં મારા સગા કાને સાંભળ્યું પરંતુ આ બધું ઈન્દ્રિયોના માધ્યમથી થયેલું જ્ઞાન એક અપેક્ષાએ પરોક્ષ કહી શકાય.
જેમ સૂર્ય આડે વાદળાં આવવાથી સૂર્યનો પૂર્ણ પ્રકાશ આપણે જોઈ શકતા નથી તેમ આત્મા પર કર્મનાં આવરણોને કારણે આપણને જ્ઞાન થતું નથી પરંતુ આ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી, પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનના માધ્યમ વિના પણ કેટલુંક જ્ઞાન પ્રગટે છે. માત્ર આત્માથી આત્મા દ્વારા જે જ્ઞાન થાય તેને જ પ્રત્યક્ષજ્ઞાન કહેવાય. - જ્ઞાન અંતરની જડતા દૂર કરી, અજ્ઞાનના અંધારા ઉલેચી અને પ્રકાશ પ્રગટાવે છે. જીવનમાં શું સ્વીકારવા જેવું છે અને શું છોડવા
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના