________________
પંચસૂત્ર
૧૭૫
માર્ગાભિમુખ માર્ગપતિત
દાક્ષિણ્યતા આદિથી નહિ, કિંતુ જીવને પોતાને જ તેવો રસ હોય, તેના કારણે થયો હોય. માટે અહીં “સ્વરસથી (=સ્વતઃ ઇચ્છાથી) પ્રવર્તતો” એમ કહ્યું.
આવા માર્ગમાં જેનો પ્રવેશ થઇ ગયો હોય છે, અર્થાત્ ઉક્ત પ્રકારનો ક્ષયોપશમ જેનો થઇ ગયો છે, તે માર્ગપતિત છે. જે આવા માર્ગમાં પ્રવેશવાને યોગ્ય (=આવો ક્ષયોપશમ થવાને યોગ્ય)ભાવને પામેલો હોય તે માર્ગાભિમુખ છે, અર્થાત્ નજીકના કાળમાં જ જેનો આવો ક્ષયોપશમ થવાનો હોય તે માર્ગાભિમુખ છે. આ પ્રમાણે આ બંને અપુનબંધક અવસ્થાથી દૂરની અને અધિક દૂરની અવસ્થાવાળા છે એમ કહેવું યોગ્ય નથી. કારણ કે પ્રસ્તુત પંચસૂત્રની વૃત્તિમાં આ બેને ભગવાનની આજ્ઞા જાણવાને (=સમજી શકવાને) યોગ્ય કહ્યા છે. પંચસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-“ભગવાનની આ બધી જ સુંદર આજ્ઞા અપુનબંધક આદિ જીવોથી જાણવા યોગ્ય છે, અર્થાત્ ભગવાનની આજ્ઞાને અપુનબંધક આદિ જીવો સમજી શકે છે, સકૃબંધક આદિ નહિ. જે જીવો ફરી ન બંધાય તે રીતે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ખપાવે છે, તે અપુનબંધક છે. અહીં આદિ શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિત વગેરે જીવો લેવામાં આવે છે. આ જીવો પ્રતિજ્ઞામાં દઢતા, દોષોની આલોચના કરવી વગેરે ગુણોથી જાણી શકાય છે. આ જિનાજ્ઞા આ જીવોથી સમજી શકાય છે. સંસારાભિનંદી જીવોથી જાણી શકાતી નથી. સંસારાભિનંદી જીવો અપુનબંધકથી પહેલાની ( નીચલી) અવસ્થામાં રહેલા છે.” (યોગબિંદુ-ગાથા-૧૭૯ આ. રાજશેખર સૂરિકૃત ગુજરાતી અનુવાદમાંથી ઉદ્ધત)