________________
પંચસૂત્ર
૧૭૩
- સિદ્ધોની વિશેષ માહિતી
બાર યોજન ઊંચે સિદ્ધશીલા (કે ઇષપ્રાગભારા) નામની પૃથ્વી આવેલી છે. જેમ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ આવેલી છે, તેમ સિદ્ધશિલા પણ આઠમી પૃથ્વી છે. આ પૃથ્વી સ્ફટિક જેવી સફેદ છે. ઉપરના ભાગમાં સપાટ છે. કથરોટ જેવી ગોળ છે. તેનો વિખંભ (= લંબાઇ-પહોળાઇ) ૪૫ લાખ યોજન છે. તે બરોબર મધ્યના ભાગમાં આઠ યોજન જાડી છે. મધ્યભાગ પછી બધી બાજુ તેની જાડાઇ ક્રમશઃ ઘટતી જાય છે. આથી તે છેડાના ભાગમાં માખીની પાંખ કરતાં પણ પાતળી છે. આથી એનો આકાર બીજના ચંદ્ર સમાન છે.
સિદ્ધો અને સિદ્ધશિલાનું પ્રમાણ સિદ્ધશિલાના ઉપરના ભાગથી સિદ્ધ જીવોના નીચેના અંતિમ ભાગ સુધીમાં ૩ ૫/૬ ગાઉ થાય છે. એટલે સિદ્ધ જીવો અને સિદ્ધશિલા વચ્ચે ૩ ૫/૬ ગાઉનું અંતર છે. આનો અર્થ એ થયો કે સિદ્ધશિલા પછી ૩ ૫/૬ ગાઉ (=૩ ગાઉ ૧૬૬૬ ધનુષ્ય, હાથ અને ૧૬ આંગળ) ઉપર જતાં સિદ્ધ જીવો આવે છે. અઢીદ્વીપમાં જ જીવો મોક્ષ પામે છે. અઢી દ્વીપનો વિખંભ ૪૫ લાખ યોજન પ્રમાણ છે. ૪૫ લાખ યોજનથી બહાર સિદ્ધિમાં જનાર કોઇ જ ન હોવાથી સિદ્ધ જીવો ઉપર ૪૫ લાખ યોજન પ્રમાણ ભાગમાં જ હોય છે. સિદ્ધશિલાનો વિખંભ પણ ૪૫ લાખ યોજન છે. આથી જેટલા ભાગમાં સિદ્ધશિલા છે તેટલા જ ભાગમાં સિદ્ધશિલાથી ૩ ૫/૬ ગાઉ ઉપર સિદ્ધ જીવો છે.
જ્યોતિમાં જ્યોતિનું મિલન જીવ જે સ્થાનમાં સર્વ કર્મોનો ક્ષય કરે છે તે જ સ્થાનથી સીધો ઉપર જાય છે. એક જ સ્થાનેથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે. એટલે મોક્ષમાં જ્યાં એક સિદ્ધ પરમાત્મા છે ત્યાં જ અનંતા સિદ્ધ પરમાત્મા છે. કોઇ એકાદ સ્થાનેથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે એવું નથી, સઘળી જગ્યાએથી અનંત જીવો મોક્ષમાં ગયા છે. ૪૫ લાખ યોજન પ્રમાણ અઢીદ્વીપનો તસુ જેટલો પણ કોઇ ભાગ એવો નથી કે જ્યાંથી અનંતા જીવો મોક્ષમાં ન ગયા હોય. આથી સિદ્ધ જીવોના ૪૫ લાખ યોજન ભાગમાં એક એક પ્રદેશમાં અનંતા સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. છતાં જરા પણ સંકડામણ થતી નથી. કારણ કે સિદ્ધો અરૂપી છે. સિદ્ધો અરૂપી હોવાથી જ્યોતિમાં જ્યોતિ મળી જાય તેમ એકબીજામાં મળી જાય છે.