________________
જ્યાં સુધી આત્મા દેહની ભૂમિકાએ, ઈન્દ્રિયોની ભૂમિકાએ, સ્થૂલ પદાર્થોની ભૂમિકાએ કે સ્થૂલ જગતના ખ્યાલોની અંદર અટવાયેલો છે, બહારના બાહ્ય જગતની સાથે એ બંધાયેલો છે ત્યાં સુધી એ આત્મા બહિરાત્મા કહેવાય છે.
ક્યારેક એ જ આત્માને એ ખ્યાલ આવે છે કે “આ દેહધારી, આ નામધારી, આ રૂપધારી જે બાહ્ય વ્યક્તિત્વ છે તે હું નથી. હું તો એનાથી કોઈક જુદું જ તત્ત્વ છું. મારે મારા આત્માને નિર્મળ કરવો છે. અને એ જીવ બહારના જગતથી થોડોક પાછો વળીને આંતરજગત તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, આત્માના ગુણોનો વિકાસ કરવાનો પ્રારંભ કરે છે અને સાધનાના માર્ગે એ જ્યારે ડગ માંડે છે ત્યારે એ જ બહિરાત્મા હવે અંતરાત્મા કહેવાય છે. કારણ કે એ આત્મા અંદરમાં વળ્યો છે, અંતર્મુખ બન્યો છે.
અને એ રીતે અંતર્મુખ બનેલો એ આત્મા સાધના કરતાં કરતાં જ્યારે પૂર્ણતાએ પહોંચે છે અને પોતાને લાગેલાં કર્મનાં બંધનો, વાસનાનાં બંધનો, કુસંસ્કારોનાં બંધનો આ તમામ આવરણોને ભેદીને, આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપને, શુધ્ધ સ્વરૂપને, જ્યારે પૂર્ણતાથી પ્રાપ્ત કરી લે છે ત્યારે એ જ આત્મા પરમાત્મા કહેવાય છે.
આમ આત્માની જે આ ત્રણ ભૂમિકાઓ છે એમાં કોઈપણ આત્મા બહિરાત્મામાંથી અંતરાત્મા બને અને અંતરાત્મામાંથી પરમાત્મા થવાના માર્ગે આગળ વધે તો એ આત્મા પરમાત્મા બની શકે છે.
૪