________________
પણ કપિલાના મનમાં તો એ વાત રહી જ ગઈ હતી.
એકવાર એવું બન્યું કે-રાજાએ વસન્ત ઋતુમાં વસન્તોત્સવ યોજ્યો. એ વસન્તોત્સવમાં નગરજનોએ પણ જવાનું હતું. વસન્તોત્સવમાં જવાને માટે, શ્રી સુદર્શનની ધર્મપત્ની મનોરમા પણ, પોતાના છ પુત્રોની સાથે ઘેરથી નીકળી.
રસ્તામાં મનોરમા પોતાના પુત્રો સહિત જતી કપિલાએ જોઇ. કપિલા પુરોહિત પત્ની હતી, એટલે રાજરાણી અભયાની સાથે જ રથમાં બેસીને તે પણ વસન્તોત્સવમાં જતી હતી. મનોરમાનો અને શ્રી સુદર્શનના પુત્રોનો દેખાવ, પહેરવેશ આદિ ધ્યાન ખેંચે એવાં હતાં. કપિલા મનોરમાને ઓળખતી નહોતી, પરન્તુ મનોરમાને છે છોકરાઓની સાથે જોઈને, એ કોણ છે? એ જાણવાનું એના મનમાં કૌતુક જાગ્યું.
કપિલાએ રાણી અભયાને પૂછયું કે-“આ સ્ત્રી કોણ છે? અને આ કોના પુત્રો છે?”
અભયા રાણી કહે છે કે- “તું ઓળખતી નથી? સુદર્શન શેઠની આ પત્ની છે અને તેના જ આ પુત્રો છે.”
કપિલા આશ્ચર્યમાં ડૂબી ગઈ. એને પેલી યાદ આવી ગઈ. સુદર્શને તો એને કહ્યું હતું કે પોતે નપુંસક છે. ક્ષણ વાર વિચાર કરીને કપિલા બોલી કે-“ગજબની વાત છે. સુદર્શનને પુત્રો છે?'
અભયા રાણી કહે-“એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?'
એ વખતે કપિલા કહે છે કે- “સુદર્શન તો નપુંસક છે. મેં એની પરીક્ષા કરેલી છે.” એમ કહીને તે પોતાનો અનુભવ અભયા રાણીને કહે છે.
આવી વાત કેવી સ્ત્રી, કેવી સ્ત્રીની પાસે કરી શકે? અભયા રાણી વિષે પણ કપિલાએ કેવું ધાર્યું હશે, ત્યારે કપિલા આવી વાત અભયા રાણીને કહી શકી હશે? આવી વાતને સાંભળીને પતિવ્રતા સ્ત્રીને તો ક્ષોભ થાય. કપિલા પ્રત્યે દુર્ભાવ આવે. એમ લાગે કે-“આવી સ્ત્રીનો સંગ મારાથી થાય નહિ.” એને બદલે અભયા રાણી જુદું જ કહે છે!
રાણી અભયા કહે છે કે- “સુદર્શન નપુંસક નથી, પણ તારામાં જ કુશળતા નથી. તું છેતરાઈ. તારી જગ્યાએ જો હું હોઉં તો એમ છેતરાઈ જાઉં નહિ. હું કામોન્મત્ત બનીને ગમે તેવા પુરૂષનો હાથ પકડું, તો તે પછી એની તાકાત નથી કે-એ કામાતુર બને નહિ!”
344