________________
છે કે અનાદિ સિદ્ધ યોગ્યતા તેમના સિવાય બીજાઓમાં માનેલી જ નથી, તો પછી તેવી ભાવના કેવી જે રીતે આવે ?
તેમની ભાવના જ એવી છે કે જેથી કેવળ પુણ્યનું જ સર્જન થાય, કારણ કે તે ભાવનામાં સ્વાર્થનો એક અંશ પણ હોતો નથી અને પરાર્થમાં કોઈ બાકી રહેતું જ નથી.
જીવ માત્ર પ્રત્યેના તેમના વાત્સલ્યને માતાના વાત્સલ્યની સાથે પણ નહિ સરખાવી શકાય. એક માતા પોતાના બાળકનું પરિપૂર્ણ હિત ચિંતવે છે, તો પણ તે કેવળ ભૌતિક હોય છે, અથવા બહુ તો નૈતિક અને વિરલ પ્રસંગમાં જ આધ્યામિક હોય છે.
તીર્થકરો પ્રત્યેક જીવના આધ્યામિક કલ્યાણને માતા કરતા પણ અનંત ગુણા વધારે ભાવથી ચાહે છે, અને એ આધ્યાત્મિક કલ્યાણની ભાવના જ એવી છે કે જ્યાં સુધી તે ફલીભૂત ન થાય ત્યાં સુધી નૈતિક તથા ભૌતિક કલ્યાણ આનુષંગિક રીતે અવશ્ય મળ્યા કરે છે, તેથી શ્રી તીર્થકરો જગત જીવોને કેવળ મોક્ષ સુખના દાતા છે એમ નહિ પણ એ ન મળે ત્યાં સુધી જીવમાત્રને અસંકિલષ્ટ સુખમય જીવન જીવવા માટે જરૂરી સઘળી સામગ્રી મળવામાં અસાધારણ કારણભૂત છે, એમ કહેવું જરાપણ અતિશયોકિતવાળું નથી.
જીવોના પુણ્યથી બધી સામગ્રી મળે છે, તે કર્મનો નિયમ સાચો છે, તો પણ તે કર્મને શુભ બનાવનાર અથવા શુભ કર્મ કરવા માટેની પ્રેરણા ઉત્પન્ન કરનાર શ્રી તીર્થકરોનો અચિન્ય પ્રભાવ તેમની જીવ માત્ર પ્રત્યેની કલ્યાણ ભાવના અને તે ભાવનામાંથી ઉત્પન્ન થતા ધર્મતીર્થ સિવાય બીજો કોણ છે ?
શ્રી તીર્થકરોની ભાવનાને પહોંચી શકે એવી ભાવના જ્યાં સુધી બીજા કોઈની સાબિત ન થાય, ત્યાં સુધી વિશ્વ પર શાસન શ્રી તીર્થંકર પરમાત્માઓનું વર્તી રહ્યું છે, તેમ માનવામાં લેશ પણ બાધા નથી. ઉલટું એમ ન માનવામાં આપણે જેના ઉપકાર તળે દબાઈ રહ્યા છીએ, એવા સર્વશ્રેષ્ઠ શાસનનો દ્રોહ કરનારા થઈએ છીએ.
એ શાસનનો દ્રોહ એટલે આપણું ભલું ચિંતવનાર શ્રી તીર્થંકર ભગવંતનો અથવા તેમની વિશ્વકલ્યાણકર ભાવનાનો દ્રોહ થાય છે.
આ વાત શ્રી સિદ્ધર્ષિ ગણીના ચિત્તમાં લલિતવિસ્તરા ગ્રન્થની પંક્તિઓથી જાણે અતિ સ્થિર થઈ ગઈ ન હોય અને તેના પરિણામે જ તેઓ પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીને પોતાના ધર્મબોધકર ગુરુ તથા પરમ કલ્યાણ મિત્ર તરીકેનું સંબોધન જાણે ન કરતા હોય, અને પોતાના માટે જ જાણે આ ગ્રન્થની રચના તેમણે ન કરી હોય તેમ ભક્તિભર નિર્ભર હૃદયથી સ્તવે છે.
આ ગ્રન્થ માત્ર શ્રી સિદ્ધર્ષિ ગણિમાં ધૈર્ય લાવનારો છે, એમ કહીએ તો તે પણ ખરેખર આ ગ્રન્થનું પરિપૂર્ણ ગૌરવ બતાવનારૂં થતું નથી, કેમકે માત્ર એટલું જ તેનું મૂલ્ય નથી.
શ્રી તીર્થકર દેવોના શાસનની મહાસત્તા આ વિશ્વ ઉપર પરોપકારનું મહાન કાર્ય કરી રહેલ છે, એવી પ્રતીત આજે કેટલાને છે? જો તે ન હોય અને ન હોવાથી વિશ્વોપકારક શાસનની