SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂદેવે પણ બંધ બારણા પર ટકોરા માર્યા, પેલી સ્ત્રી તો અંદર ઘૂજતી હતી, કે આ રક્ષક જ ભક્ષક થશે તો આબરૂ કેમ રહેશે ? સવારના આછા અજવાળામાં તેણે જોયું કે આ તો કોઈ પ્રજ્ઞાચક્ષુ ભૂદેવ પૂજા કરવા આવ્યા છે, તેણે ધીમે રહીને બારણું ખોલ્યું અને શીઘ્રતાથી ચાલી ગઈ. આ બાજુ સંન્યાસી ઝૂંપડીમાં જઈને વિચારવા લાગ્યા, કે અહો! ગુરુજી જ્યારે રોજે બ્રહ્મવ્રત વિષે ઉપદેશ આપતા ત્યારે મારા મનમાં અહં કેવો જાગતો કે આપણે તો બ્રહ્મચારી છીએ, તેને રોજે ઉપદેશની શું જરૂર છે? પણ આજે એ અહં અને ભ્રમનો પરચો બરાબર મળી ગયો. મનોમન ગુરુજીને પ્રણામ કરી, ઝૂંપડીને ત્યજીને, ગામને ત્યજીને તે ત્યાંથી ચાલી નીકળ્યા. સંન્યાસ હતો એટલે આટલીયે વિચારશક્તિ જાગૃત હતી, તો કટોકટીને પાર કરી ગયા, ગુરુવચનના સથવારે ચાલી નીકળ્યા. પણ સંસારમાં જીવને સંયમની વિચારશકિત નથી, ગુરુવચનનું શ્રવણ નથી, સત્સંગનો મહિમા નથી, અરે આત્મા છે તેવું જ ભાન નથી, તેને કોણ બચાવશે? • રસનેન્દ્રિયમાં સુખની ભ્રાંતિનું દૃષ્ટાંત : એક ગામને પાદરે કુદરતી પ્રફુલ્લિત વાતાવરણમાં એક વૃક્ષ નીચે નાની સરખી ઝૂંપડીમાં એક સંન્યાસી રહે. ભક્તિમય જીવન, નિસ્પૃહ મન, સ્વસ્થ તન અને અકિંચન એવા સંન્યાસી પવિત્ર જિંદગી ગાળતા હતા. લોકસંપર્કમાં કેવળ સાંજે એકવાર કથા કરે, એકવાર ભિક્ષાવૃત્તિ કરે. તેમના પવિત્ર જીવનનું અને નિર્મળ કથનનું લોકોનાં હૃદયમાં સ્થાન હતું. છતાં સ્વામીજી કયારેય કોઈની એક વસ્તુ સ્વીકારતા નહિ, એવી લાલચમાં પડતા નહિ. ભક્તગણ વધતો ગયો છતાં સંન્યાસીને એનું કંઈ માનપાન સ્પર્યું ન હતું. તેમની વાણીથી લોકોના જીવનમાં ધર્મપ્રેમ જાગ્યો હતો. સૌ યથાશક્તિ દયા-પરોપકારાદિ કાર્યો કરતાં. આ ગામમાં એક ગર્ભશ્રીમંત વણિક શેઠ અને શેઠાણી રહેતાં, તે દંપતિને સંસારના નાના પ્રકારનાં સુખમાં નિઃસંતાનપણાનું દુઃખ સાલતું હતું. શેઠ તો વ્યાપારમાં વ્યસ્ત હતા. શેઠાણી ઘર કરતાં સત્સંગ સારો એમ ભાવ રાખીને કથામાં જતાં, તેઓ કથાશ્રવણથી બોધ પામીને દુઃખ ભૂલીને દાનાદિ જેવાં કાર્યોથી પ્રસન્ન રહેતા. આથી એકવાર શેઠને આગ્રહ કરી કથામાં લઈ ગયાં. પછી શેઠને પણ કથાશ્રવણમાં રસ લાગ્યો. તેમાં યોગાનુયોગ એ દંપતિને એક પુત્રની પ્રાપ્તિ થઈ. પછી બંનેની કથાપ્રીતિ અને સંન્યાસી પ્રત્યેની શ્રદ્ધામાં ભાવ વધી ગયો, આ બાજુ સંન્યાસી તો નિઃસ્પૃહ હતા. સહજભાવે તેમનો સત્સંગ ચાલતો હતો. પુત્રના નામકરણવિધિના પ્રસંગે શેઠે ખૂબ ઉત્સાહપૂર્વકગામમાં મીઠાઈ વહેંચી, અને સંન્યાસીને જાતે સુંદર બદામની બરફી આપવા પહોંચી ગયા. સંન્યાસીએ આજ સુધી કયારેય એક કણ કોઈનો સ્વીકાર્યો ન હતો. શેઠ આગ્રહ કરે અને સંન્યાસી તેમને અનુગ્રહ કરી સમજાવે. છેવટે શેઠે થાકીને એ મીઠાઈ ત્યાં જ રાખી કે સાંજે સત્સંગમાં સૌને પ્રસાદમાં આપીશું. સાંજે સંન્યાસીએ કથાશ્રવણ પૂરું કર્યું. સૌને પ્રસાદ વહેંચાયો અને સૌ વિદાય થયા. હવે બન્યું એવું કે બરફીનો એકાદ ટુકડો શેષ રહ્યો હતો તેના પર સંન્યાસીની નજર પડી. બે-ચાર વાર પાછી ખેંચી પણ નજર વળી વળીને ત્યાં જ જાય, પછી તો સંન્યાસી ઊભા થયા, મીઠાઈને હાથમાં લઈ સુંઘી, બદામની બરફી શેઠે ભાવપૂર્વક સંન્યાસીજીને અર્પણ કરવા બનાવડાવેલી એટલે ઉચ્ચ પ્રકારની હોય તે સ્વાભાવિક છે. હવે સંન્યાસીજી બરફી હાથામાં લઈ વિચારવા લાગ્યા કે શેઠ કેટલા ભાવપૂર્વક મીઠાઈ લાવ્યા હતા. તેમના મનના ભાવનો પણ મેં આદર ન કર્યો, એક ટુકડો ખાવામાં શું વાંધો હતો ! પ્રથમ નજરે) ચક્ષુઈન્દ્રિયે આકર્ષણ ઊભું કર્યું પછી, હાથમાં લીધી (સ્પર્શ ઈદ્રિય) વળી સુંઘી (ધ્રાણેન્દ્રિય) પછી મનની ઈચ્છા બળવત્તર થઈ (કામના) અને છેવટે સંન્યાસીજીનો લાંબા સમયનો ત્યાગરૂપી ચેક વટાવાઈ ગયો, સંન્યાસીએ મીઠાઈને મુખમાં પધરાવી અને થયું કે અહા ! કેવી સુંદર સ્વાદિષ્ટ મીઠાઈ હતી. મારે શેઠજીના માન ખાતર ખાવી જોઈતી હતી. ૧૩૬ ૧૩૭
SR No.009224
Book TitleChetnani Bhitarma
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnand Sumangal Parivar
Publication Year2016
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy