________________
૧૯૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
આત્મપરિણતિ જાણે, તો સ્વ-પર પરિણતિ ખ્યાલમાં આવે
આ બધા પરપરિણતિમાંય નથી. કારણ કે સ્વપરિણતિને ઓળખે તો પરપરિણતિમાં રહ્યો કહેવાય. સ્વપરિણતિને ઓળખતો નથીને, તો પરપરિણતિ શાને ?
પ્રશ્નકર્તા ઃ સ્વપરિણતિમાં નથી, પરપરિણતિમાંય નથી તો પછી શેમાં છે ?
દાદાશ્રી : પરિણતિ તો આત્માની પરિણતિને જાણે, તેમાં ન રહેવાય તો પોતે પરપરિણતિમાં છે એમ ખ્યાલમાં રહે અને આ તો વાતવાતમાં પરિણતિ બોલે.
પ્રશ્નકર્તા: આખા દિવસમાં પચાસેક વખત તો આવતું હશે, શુભ પરિણતિ, અશુભ પરિણતિ એવું બધું.
દાદાશ્રી : હવે પરિણતિમાં શુભ ને અશુભ હોતું નથી. આ નવી જાતનું તોફાન !
પ્રશ્નકર્તા સ્વ અથવા તો પર બેમાંથી એક હોય છે.
દાદાશ્રી : બસ, સ્વ-પર પરિણતિ છે. જો આત્માની પરિણતિમાં છે તો સ્વપરિણતિ અને નહીં તો પુદ્ગલ પરિણતિમાં છે. એ જ જાણે છે કે આ આત્મ પરિણતિ છે, માટે મારી આ પુદ્ગલ પરિણતિ છે. તેને પરિણતિ છે, બાકી બીજાને પરિણતિ કેવી ?
પ્રશ્નકર્તા: આ પરપરિણામ જાણે તો તરત જ પાછો સ્વપરિણામમાં આવી જાયને ?
દાદાશ્રી : સ્વપરિણામમાં ના આવી શકે તોય વાંધો નહીં પણ સ્વપરિણતિને જાણતો હોય એ પરપરિણતિ ક્યારે ખસે તેવા પ્રયત્નમાં હોય. ક્યારે પરપરિણતિ જાય એવા પ્રયત્નમાં હોય.
પ્રશ્નકર્તા: તો દાદા, એ લોકો બીજાને કહે કે તમે પરપરિણતિમાં છો, તો પોતે ના હોય ત્યારે જ કહેને ?