________________
અનંત શક્તિ અવ્યક્તભાવે મહીં પડેલી જ છે, પણ પોતાને જાતે તાળું ઉઘાડીને લેવાનો હક્ક નથી, એ તો જ્ઞાની પુરુષ ઉઘાડી આપે ત્યારે એ નીકળે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે અમારી સંપૂર્ણ શક્તિ વ્યક્ત થઈ છે. એમને જોતા જ આપણને એમ લાગે કે એમનામાં કેટલી બધી શક્તિ પ્રગટ થઈ છે ! એમની હાજરી એ આપણને આનંદ આપે. એટલી જ શક્તિઓ બધાનામાં પડેલી છે.
આત્માની શક્તિ વ્યક્ત થઈ જાય, પછી બહાર કશી માથાકૂટ કરવાની ના રહે. ખાલી મહીં વિચાર જ આવે કે તે પ્રમાણે બહાર બધું એની મેળે થઈ જાય. વ્યવસ્થિત શક્તિ બધું કરી નાખે. રાજા કરતાય ઘણો ઊંચો વૈભવ છે કારણ કે ભગવાનપદ છે ને !
અનંત શક્તિ શાથી કહી ? અનંત કામ કરી શકે. જેટલું એડજસ્ટમેન્ટ ગોઠવતા આવડે એટલું પોતાને પ્રાપ્ત થાય ! પોતે કલ્પને તે સિદ્ધ થઈ જાય તેવી અનંત શક્તિ છે !
કોઈ પણ (રિલેટિવ) વસ્તુ મને કંઈ પણ કરી શકતી નથી પણ પોતાને “હું નિરાલંબ છું' એવું ભાન થઈ જવું જોઈએ. ત્યારે ઘણી બધી શક્તિઓ પ્રગટ થઈ જાય !
એક વખત શુદ્ધાત્માનું ભાન થયા પછી શુદ્ધાત્મા સ્વરૂપમાં વર્યા, એકતાર થવા માંડ્યા, એટલે મોક્ષમાર્ગની શ્રેણીઓ મંડાઈ ગઈ. પછી શક્તિઓ પ્રગટ થતી જાય.
જ્ઞાતા-દ્રષ્ટા એ મુખ્ય વસ્તુ છે, ઉપયોગ એમાં જોઈન્ટ કરીએ તો બધી શક્તિઓ ઉત્પન્ન થતી જાય. જ્ઞાતા-દ્રષ્ટા જેટલા પ્રમાણમાં રહ્યા એટલા પ્રમાણમાં આનંદ ઉત્પન્ન થાય.
વિભાવિક શક્તિથી તો આવડું મોટું જગત ઉત્પન્ન થઈ ગયું છે ! સીધી રીતે શક્તિ જ્ઞાતા-દ્રષ્ટામાં જ વપરાય. હવે બીજી રીતે શક્તિ નહીં વાપરવાની. કારણ કે કંઈ પણ કરવાનો આત્માનો ધર્મ જ નથી. જો પોતાને સનાતન સુખ જોઈતું હોય તો આ જ્ઞાતા-દ્રષ્ટામાં આવી જાવ.
મોક્ષમાંય બધી શક્તિઓ ખરી, પણ ત્યાં વપરાવાની નહીં. મોક્ષ