________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૩૨૯ પરપદાર્થોના આ સંબંધો અને તેની મમતા જ વધારે પડતા દુઃખનું કારણ છે. માટે હે જીવ ! સર્વ પ્રકારની મમતાને ત્યજવાનો જ અભ્યાસ કર અને બારે ભાવનાઓનું અને તેમાં પણ એકત્વભાવનાનું વધારે વધારે ચિંતન કર. જેથી તને આ સંપૂર્ણ સત્ય સમજાશે. જેનાથી તારું એકાંતે અવશ્ય હિત થશે. //૩૬ll पापं कृत्वा स्वतो भिन्नं, कुटुम्बं पोषितं त्वया । दुःखं सहिष्यसे स्वेन, भ्रान्तोऽसि हा महान्तरे ? ॥३७॥
ગાથાર્થ - હે જીવ! તારા આત્માથી ભિન્ન એવા પુત્રાદિ પરિવારનું પોષણ હિંસા-જૂઠ આદિ અનેક પ્રકારનાં પાપો સેવીને તેં કર્યું છે પણ તે કરેલાં પાપોનું ફળ તું એકલો જ ભવાંતરમાં ભોગવવાનો છે તો પણ દુઃખની વાત છે કે તું કંઈ સમજતો કેમ નથી ? તું કોઈ મોટી મોહજાળમાં જ ફસાઈ ગયો છે. I૩૭ll.
વિવેચન - પાપ એ દુ:ખનું જ કારણ છે. જે જે જીવોએ પાપો કર્યા છે, તે તે જીવો તેનાથી દુઃખી થયા છે. આવું તું નજરે દેખે છે અને મનથી સમજે છે. છતાં તારાથી ભિન્ન એવા કુટુંબ-પરિવારનું ભરણપોષણ કરવા માટે હે જીવ ! તું સાચું બોલ હિંસા-જૂઠ-ચોરી ઇત્યાદિ ૧૮ પાપસ્થાનકોમાંનું કયું પાપસ્થાનક નથી સેવતો ? મોટાં મોટાં કારખાનાં નાખીને તથા બીજા પણ પાપવાળા મોટા વ્યાપારો કરીને તેનાથી બાંધેલા પાપકર્મોને કારણે નરકાદિ દુર્ગતિમાં ભયંકર દુઃખો તારે એકલાને જ ભોગવવાનાં છે.
હે જીવ ! તને આવો વિચાર પણ ક્યારે કેમ આવતો નથી ? કે આ સંસારમાં કોઈપણ પ્રકારની સંપત્તિ કે માનપાન કોઈપણ જીવ શું પરભવમાં સાથે લઈ ગયો છે ? પરભવથી સાથે લઈને આવ્યો છે ?