________________
જ્યાં સુધી શુક્લધ્યાન નામનો તપ આવે નહિ ત્યાં સુધી સંપૂર્ણપણે કષાયો મરતા નથી.
હવે જે જીવના સંપૂર્ણપણે કષાયો નાશ ન પામે અને ભવ બાકી હોય અને સંસારમાં રહેવું પડે તો તેને “સાનુબન્ધા જિનાજ્ઞા' હોય. તેને ભગવાનની આજ્ઞા મુજબના તપના પ્રભાવે ભગવાનની આજ્ઞા એવી ઓતપ્રોત થઇ હોય કે, તે જીવ દેવલોકમાં જાય તો પણ ભગવાનની આજ્ઞા તેના હૈયામાં જીવતી-જાગતી હોય અને તે જીવને કદાચ પહેલા નરકનું આયુષ્ય બંધાયું હોય અને નરકમાં જાય તો ત્યાં પણ આજ્ઞા જીવતી જાગતી હોય. માટે જ એક મહાપુરૂષે કહ્યું કે- “હે ભગવન ! હું દેવલોકમાં જાઉં પણ જો તારી આજ્ઞા મારા હૈયામાં ન હોય તો તે મારે મન નરક સમાન છે. કેમકે, પરંપરાએ તે દેવલોક પણ નરકમાં લઇ જનાર છે. અને કદાચ મારે પાપયોગે નરકમાં જવું પડે, પણ ત્યાં ય તારી આજ્ઞા મારા હૈયામાં હોય તો તે નરક પણ મારે માટે દેવલોક છે. કેમકે, ત્યાંથી નીકળી, મનુષ્યગતિ પામી, તારું શાસન પામી યોગ્યતા જન્મે તો તો તે જ ભવમાં મોક્ષે પહોંચી જાઉં. અને કદાચ તેવી યોગ્યતા ન જન્મ અને મોક્ષમાં ન જાઉં તો પણ દેવ અને મનુષ્યગતિની પરંપરા સાધી મોક્ષે જાઉં.' આ રીતે જે તપમાં આત્મ રમણતા રૂપ બ્રહ્મચર્યનું પાલન, શ્રી જિનેશ્વરદેવની પૂજા-ભક્તિ હોય, કષાયોનો નાશ અને શ્રી જિનની આજ્ઞા સાનુબન્ધ બને તો તે તપ શ્રી જૈનશાસનમાં શુધ્ધ કોટિનો તપ ગણાય છે.
આ જે તપનો પ્રસંગ છે અને તપનું ઉધાપન કરવા ભેગા થયા છો તો જેઓ શક્તિ મુજબ આ. રીતે તપ કરે છે અને જેઓની શક્તિ ન હોય પણ આવા ઉધાપનાદિ દ્વારા તપના પ્રેમી છે તે બધા આત્માઓ વહેલા-મોડા પણ ભગવાનના શાસનના શુદ્ધ તપને પામવાના, આત્મ રમણતા કરવાના, કષાયોને મારવાના અને શ્રી જિનાજ્ઞાને આત્મસાત કરી, આજ્ઞા મુજબ જીવન જીવી મોહને મારી, વીતરાગ થઇ, કેવળજ્ઞાન પામી, અયોગી થઇને મોક્ષમાં જવાના. સૌ કોઇ આવી અવસ્થાને વહેલામાં વહેલા પામો એ જ શુભાભિલાષા.
Page 54 of 77