________________
[૨૦૩૩ ભા.સુ. ૪૫ શનિવાર, છાપરીયા શેરી, સુરત.]
ક્ષમાપનાનો મર્મ
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ માને છે કે આ વાર્ષિક પર્વ ઉપશમ સાધવા માટે છે. કોઇપણ જીવની સાથે સ્વાર્થ ખાતર ખરાબ બોલાયું હોય, મનથી ય તેનું ખરાબ ચિંતવાયું હોય, કોઇનું ય મન દુભાયું હોય. વચનથી કોઇને દુઃખ થાય તેવું કર્યું હોય, કોઇની સાથે કાંઇપણ અણબનાવ થયો હોય તો તેની હૈયાપૂર્વક માફી માંગવાની છે.
વાસ્તવિક તો એવું છે કે જે વખતે જેની સાથે અણબનાવ બન્યો કે મનદુઃખ આદિ થયું હોય તે જ વખતે તેની માફી માંગવી જોઇએ. એમ ન થઇ શકતું હોય તો દર પંદર દિવસે તો માફી માગી લેવી જોઇએ. એમ પણ ન બન્યું તો ચાર મહિને તો માફી માગી શુધ્ધ બનવું જોઇએ. પછી જો બાર મહિને પણ તેની માફી ન માગીએ તો કષાયો અનંતાનુબંધીના થઇ જાય, સમકિત આદિ આત્મગુણો નાશ પામે અને ભવભ્રમણ વધી જાય.
મોટેભાગે જેનો તો ભગવાનના શાસનમાં રહેલા જીવો સાથે પરિચયમાં રહે છે, બીજાઓ સાથે ઝાઝો પરિચય કરતા નથી. એટલે મન-વચન-કાયાથી કાંઇપણ ખોટું થાય તો તે ભગવાનના શાસનમાં રહેલા જીવો સાથે થાય છે. એટલે તેવું થતાં તેને ખમાવી દેવો જોઇએ. તેના મનને શાંતિ પમાડવી જોઇએ, તેના હૈયાને સાંત્વન મળે તેમ કરવું જોઇએ. તેના મનને શાંતિ થઇ કે નહિ તેની ખાત્રી કરવા તે ન બોલાવતો હોય તો પણ તેને સામેથી પ્રેમપૂર્વક બોલાવવો જોઇએ, વારંવાર તેના પ્રત્યે પ્રેમભાવ પ્રદર્શિત કરવો જોઇએ. ગૃહસ્થ હોય તો તેને ઘરે જમવા બોલાવવો. તેની સુંદર ભક્તિ કરવી જોઇએ. આવું કરવા છતાં પણ જો તેનો વૈરભાવ ન નીકળે તો તે વિરાધક છે, તે આરાધક નથી બની શકતો.
જે ખમે છે, જે ઉપશમે છે તેજ આરાધક છે. કોઇના પ્રત્યે દુભવ ન થઇ જાય તેની કાળજી રાખીને જીવવું જોઇએ છતાંય કોઇના પ્રત્યે દુર્ભાવ થઇ જાય તો આવા ઉત્તમ પ્રસંગો પામીને તેને કાઢી નાખવાની મહેનત કરવી જોઇએ. સામો જીવ કદાચ ન સમજે, ન માને અને તેનો દુર્ભાવ ન જાય તો પણ આપણી તો આરાધના જ છે. કોઇ અયોગ્ય જીવ સાથે અણબનાવ થઇ ગયો હોય તો તે અણબનાવ ન રહે તેની કાળજી રાખવી જોઇએ.
તેને ખમાવી દેવો જોઇએ, નહિ તો તે વરભાવ સાથે જ આવશે. અને જે જે ભવમાં જઇશું ત્યાં જે જે સારું કરીશું -ધર્મ કરીશું તો તે વિઘ્ન જ કરશે. તે વખતે જો આપણું ઠેકાણું નહિ હોય અને ભાન ભૂલીશું તો આપણે જ હારી જઇશું. શ્રી પાર્શ્વનાથ સ્વામિ ભગવાન અને કમઠ; અગ્નિશમ અને ગુણસેનના દ્રષ્ટાંતો પ્રસિદ્ધ છે !
Page 21 of 77