________________
રહેવાથી, સાચી દેવગુરુની ભક્તિ, ઉપકારીની કૃતજ્ઞતા, શુદ્ધ ધર્મસાધના, પરમાર્થ વૃત્તિ વગેરે ઉમદા ગુણો ખીલે છે. સરળતાથી અનુપમ આત્મશાંતિનો અહીં જ અનુભવ થાય છે.
8 - - મુક્તિ
યતિધર્મમાં ચોથું છે મુક્તિ. મુક્તિ એટલે લોભથી મુક્તિ. તૃષ્ણાથી મુક્તિ, મુક્તિ જે મોક્ષને કહેવાય છે, તે આ (ઇચ્છા, તૃષ્ણા, મમતાથી) મુક્તિ મળ્યા પછી દૂર નથી અરે ! એટલું જ નહિ પણ એ મોક્ષરૂપી મુક્તિનો સ્વાદ, લોભમુક્તિ કરવાથી જાણે અહિં જ અનુભવાય છે. આજે કેટલાક માણસો એમજ પૂછે છે કે “મોક્ષમાં શું સુખ ?” તે પ્રશ્નનું કારણ એ છે કે એ લોકોને તૃષ્ણા-મમતા-લોભ એટલા બધા વળગેલા છે, કે તેઓ એને જ જીવન માને છે. એમાંથી જ્યાં સુધી મુક્તિ એટલે છૂટકારો ન લે, ત્યાં સુધી મોક્ષસુખની એ કલ્પના નહિ કરી શકે. એવા બહુ તૃષ્ણાવાળાના મનમાં તે નહિ જ ઉતરે કે મોક્ષમાં અનંતસુખ છે. જેમ ખરજવાના દર્દીને ‘નહિ ખણવાના આરોગ્યમાં સુખ છે.' એ સમજાતું નથી, જેમ તાવવાળી જીભે સારી વસ્તુનો સ્વાદ સમજાતો નથી, તેમ લોભમાં રક્ત માનવીને મોક્ષનું સુખ સમજાતું નથી. માટે જ નિર્લોભતા-નિસ્પૃહતા, કેળવવાની જરૂર છે તૃષ્ણા નાશ, મમતા-ત્યાગ સિદ્ધ કરવાની જરૂર છે. એ કેળવાય, એ સિદ્ધ થાય એટલે તો પછી એવો આંતરસુખનો અનુભવ થશે કે જગત કુછ વિસાતમાં નહિ લાગે, ‘નિસ્પૃહસ્ય તૃણં નમત્ ।' એને એમ થશે કે થોડી ઘણી પણ જગતના પદાર્થોની આકાંક્ષા મૂકી તો એ તૃષ્ણાના કાપથી કલેજે અદ્ભુત ઠંડકનો અનુભવ થાય છે, અપૂર્વ શાંતિ ચિત્તભૂમિમાં પથરાઇ જાય છે, અને હૈયું આત્માનંદથી ઉભરાઇ જાય છે, તો પછી જગતનું બધું મુકાઇ જાય તો કેવી અનંત શાંતિ, અનંત આનંદ, અને અનંત ઠંડક અનુભવવા મળે ?
જ્યાં મોક્ષમાં શરીરજ નથી તેથીજ શરીરના ધર્મો ઓછામાં ઓછી રીતે બજાવવા જેટલી પણ ઇચ્છા કે ફ્કિરનું નામ નિશાન નથી, ત્યાં અનુપમ સુખ હોય એમાં નવાઇ નથી. ઇચ્છામાં, લોભમાં, ને મમતામાં તો પાર વિનાના દુઃખ છે : કારણ કે,
(૧) એને સંતોષવાની સળગતી ચિંતાઓમાં મહા સંતાપ છે.
(૨) એના ઉધમમાં અઢળક વેઠ છે.
(૩) એક ઇચ્છા તૃપ્ત થઇ ન થઇ ત્યાં તો પાછી બીજી ઇચ્છા આવીને ઊભીજ છે. ખાવાની ઇચ્છા થઇ અને મહામજુરી કરી સંતોષી, તો હવે ખાધું એટલે વાની કે આરામ કરવાની ઇચ્છા થઇ; એને પૂરી, ત્યાં તો નવું કમાવવાની ઇચ્છા થઇ, અથવા પાસે ભરપૂર છે તો કોઇ સંગીત, વાર્તાવિનોદ વગેરેની ઇચ્છા થઇ. આમ ઇચ્છાના રવાડે ચઢવામાં ઇચ્છાઓની સાયકલ ચાલ્યા કરે છે. એ પુરવામાં કેટકેટલી ચિંતા, હાડમારી, પરિશ્રમ વગેરે ઉઠાવવા પડે છે, એ તો નજરે દેખાય છે.
(૪) એમાં ક્યાંક અપમાન તિરસ્કાર, ટોણાં પણ વરસે છે ને ?
(૫) ત્યારે નિરાશ થઇ.‘ આના કરતાં તો એના વિના ચલાવ્યું હોત તો સારૂં.’ એવું કેટલીય વાર, ખેદ-પશ્ચાતાપ વગેરે થયું છે ને ? કેમ આ બધું ? કઇ ઇચ્છાના પાપે, લોભના વાંકે. (૬) લોભથી ભાઇ ભાઇમાં ઝઘડા અને માબાપથી જુદાઇ થાય છે. તેમજ (૭) ધર્મમાં અખાડા, ગુરૂથી ડરી ડરીને છેટા ભાગવાનું, એવું એવુંય ખરૂં ને ?
Page 137 of 211