________________
[ (૧) અનિત્યભાવના ]
આ સંસારમાં પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયજન્ય ભૌતિક સુખોસંપત્તિ. ઋદ્ધિ, ઇષ્ટજનોનો સંયોગ, ભોગસમર્થ સુંદર શરીર, યૌવન અવસ્થા અને પ્રિય એવું નીરોગી જીવન : આ બધું જ અનિત્ય છે. આ ચરાચર વિશ્વમાં કોઇ પણ વસ્તુ સર્વથા નિત્ય નથી. અનાદિના કાલપ્રવાહથી દરેક વસ્તુ ભિન્ન ભિન્ન અનેક અવસ્થાને પામે છે. અનાદિના રાગાદિ સંસ્કારને પરવશ બનેલા જીવને ગમતાં એવાં વિષયસુખો, સંપત્તિ, ઋદ્ધિ વગેરે કે જેને મેળવવા માટે જીવો પાપ કરે છે, એના અનુભવ વખતે પાપ કરે છે અને પરિણામે એ પાપના ફળ તરીકે અનેકાનેક નરકાદિ દુ:ખોનાં પાત્ર બને છે; તે વિષયસુખો અને તેના સાધનભૂત સંપત્તિ વગેરે વીજળીના ઝબકારાની જેમ ક્ષણિક છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ તોપણ
પુણ્યથી મળેલી એ બધી જ સામગ્રી ક્ષણવારમાં તો હતી ન હતી થઇ જાય છે. પ્રાણથી પણ પ્રિય એવા ઇષ્ટજનોનો સંયોગ ક્ષણિક છે. એ બધાને છોડીને કાં તો આપણે જવું પડે છે અને કાં તો એ બધા આપણને છોડીને જતા રહે છે. જન્મથી માંડીને લાલન-પાલન કરાયેલું, પુષ્ટ બનાવેલું, અને જેને વધારવા માટે તથા કાંતિયુક્ત બનાવવા માટે ચોવીશે ય કલાક ચિંતા કરી છે એ શરીર પણ જો પાણીના પરપોટાની જેમ ક્ષણવારમાં વિનાશ પામે છે, તો એની યૌવન અવસ્થા ક્યાંથી રહે ? પુણ્યના યોગે મળેલી એ સામગ્રી કદાચ જીવન સુધી રહે તોપણ જલતરંગ અને પવનની જેમ ચંચળ એવું જીવન જ જ્યાં અનિત્ય છે ત્યાં કઇ વસ્તુમાં આપણે વિશ્વાસ રાખી શકીએ ? સંસારમાં ઉત્તમોત્તમ એવાં અનુત્તર વિમાનનાં પરમ સુખો પણ અવશ્ય નાશ પામે છે. એ વસ્તુને સમજનારા જીવો જ સંસારની અનિત્યતાને ભાવીને એકાંતે નાશ
પામનારી ક્ષણિક સુખની સામગ્રીમાં આનંદ પામતા નથી અને સંસારથી વિમુખ બની શ્રી હનુમાનજીની જેમ અનિત્ય ભાવનાને ભાવતા આત્મકલ્યાણને સાધે છે.
| (૨) અશરણભાવના
જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુના ભયોથી નિરંતર ભયભીત થયેલા જીવોને શ્રી જિનેશ્વર દેવોનાં પરમતારક વચનોને છોડીને આ સંસારમાં શરણસ્વરૂપ કોઇ નથી. પોતાના પ્રચંડ પરાક્રમની સહાયથી પુણ્ય યોગે છ ખંડના અધિપતિ બનેલા ચક્રવર્તી, પોતાના ભુજબળના ગર્વને ધારણ કરનાર અને નિરંતર સ્વર્ગીય સુખોને ભોગવવામાં લીન બનેલા દેવતાઓ અને અનેક ગુણોથી શોભતા આદરણીય તેજસ્વી વીરપુરુષો પણ જ્યારે મરણની અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે પોતાની એ નિઃસહાય અવસ્થામાં દીન મુખવાળા તેઓ દશે દિશાઓને જોયા કરે છે.
પરંતુ ત્યારે મૃત્યુના મુખમાંથી તેઓને બચાવનારું આ સંસારમાં કોઈ નથી. ગમે તેવા વજમય મકાનમાં જીવો પેસી જાય અથવા મુખમાં તરણું લઇને બચાવવા માટે જીવો દીનતા કરે તોપણ તેમને મૃત્યુથી બચાવનારું કોઈ નથી. મરણ ઉપસ્થિત થયા પછી વિદ્યા, મંત્ર અને ઔષધિ વગેરે બધા જ સામર્થ્યહીન બની જાય છે. સારામાં સારી પ્રાણાયામની સાધના પણ એના સાધકને બચાવનારી બનતી નથી. પરંતુ ખેદની વાત તો એ છે કે આવી અશરણ અવસ્થાને અનુભવવા છતાં જીવને શ્રી અરિહંત પરમાત્માઓનાં પરમતારક વચનોના શરણે તેમ જ તેના ઉપદેશક શ્રી ગુરુભગવંતોના શરણે જવાનું મન થતું નથી. સુખના અર્થીજનો આ સંસારમાં જેટલો પ્રયત્ન મૃત્યુને નિવારવા માટે કરે છે, એટલો જ પ્રયત્ન જો મરણની અવસ્થાને કાયમ માટે દૂર કરનાર પરમતારક ધર્મની સાધનામાં કરે તો અશરણ ભાવનાથી સારી રીતે ભાવિત થયેલા મહામુનિ