________________
સાતસો મહાનીતિ
/ \ ૨૭૭. તપસ્વી છું; વનમાં તપશ્ચર્યા કર્યા કરું. (તપસ્વીની ઇચ્છા)
“ચ્છા નિરોધતા:” -મોક્ષશાસ્ત્ર ઇચ્છાનો નિરોઘ કરવો એ જ તપ છે. માટે વનમાં આત્મધ્યાનના બળે ઇચ્છાઓનો નિરોઘ કરું.
શ્રીમદ રાજચંદ્ર'માંથી :- “તપાદિ આત્માને અર્થે કરવાનાં છે. લોકોને દેખાડવા અર્થે કરવાનાં નથી. કષાય ઘટે તેને “તપ” કહ્યું છે. લૌકિક દ્રષ્ટિ ભૂલી જવી. (વ.પૃ.૭૧૮)
“સમાધિસોપાન'માંથી - તારૂપી વનમાં વાસ પામવો દુર્લભ છે. કોઈ મહા ભાગ્યશાળી પુરુષ જ પાપથી ત્રાસ પામીને તપરૂપ થર્મનું શરણ ગ્રહણ કરે છે. સર્વ સ્ત્રી, પુત્ર આદિ પરિગ્રહની મમતા તજી કોઈક વિરલા પુરુષ પરમ ઘર્મના ઘારક, વીતરાગ, નિગ્રંથ, સદ્ગુરુ ભગવાનના ચરણનું શરણ પામે છે. સદ્ગુરુનો યોગ પામીને જેને મહા પુણ્યના ઉદયે અશુભ કર્મ અતિ મંદ થતાં સમ્યગ્દર્શનરૂપી સૂર્ય પ્રગટ્યો છે તથા સંસાર, દેહ અને વિષયભોગો પ્રત્યે વૈરાગ્ય જાગ્યો છે તે તપ-સંયમ ગ્રહણ કરે છે.
આવું દુર્લભ ભારે તપ ઘારણ કરવા છતાં કોઈ પાપી વિષયોની લાલસાએ તપનો ભંગ કરે તેને અનંતાનંત કાળ સુઘી ફરી તપની પ્રાપ્તિ થતી નથી. તેથી મનુષ્યભવ પામીને, આત્માદિનું સ્વરૂપ જાણી, પાંચ ઇન્દ્રિયો અને મનને વશ કરીને વૈરાગ્યરૂપ થઈ સર્વસંગ ત્યાગી, વનમાં એકલા આત્મ-ધ્યાનમાં લીન થઈ રહેવું તે તપ છે. પરિગ્રહની મમતા તજી, તૃષ્ણાનો ત્યાગ કરવો તથા મહા બળવાન કામવિકાર ઉપર વિજય મેળવવો તે ભારે તપ છે. આકરાં મુનિનાં વ્રતો ઘારણ કરીને ટાઢ, તડકો, પવન, વરસાદ તથા ડાંસ, મચ્છર, માખો, મઘમાખો, સાપ, વીંછી ઇત્યાદિથી થતી ઘોર વેદના ઉઘાડે ડિલે સહન કરવી તે તપ છે. નિર્જન પર્વતોની નિર્જન ગુફાઓમાં, ભયંકર પર્વતની ખીણોમાં તથા સિંહ, વાઘ, રીંછ, વરુ, ચિત્તા અને હાથીવાળા ઘોર વનમાં વાસ કરવો તે તપ છે. દુષ્ટ વેરી, મ્લેચ્છ, ચોર, શિકારી, મનુષ્ય, તિર્યંચ અથવા દુષ્ટ વ્યંતર આદિ દેવોના કરેલા ઘોર ઉપસર્ગોથી કંપાયમાન ન થવું; ઘીરવીરપણાથી, કાયરતા રહિત, વેર વિરોધ રાખ્યા વિના સમભાવથી પરમાત્માના ધ્યાનમાં લીન થઈને ખમી ખૂંદવું તે તપ છે.
| સર્વ જીવોને પ્રવર્તાવનાર – વશ કરનાર રાગ-દ્વેષને જીતવા, ક્ષય કરવા તે તપ છે. વગર માંગ્યે, ભિક્ષા વખતે શ્રાવકે નવધા ભક્તિ સહિત દાનમાં આપેલો ખારો, મોળો, કડવો, ખાટો, લૂખો,ચીકણો, સરસ, નીરસ, નિર્દોષ પ્રાસુક આહાર એકવાર દિવસમાં લોલુપતા તજી, સંક્લેશ રહિત થઈ ભક્ષણ કરવો તે તપ છે. પાંચ સમિતિ પાળવી અને મન, વચન, કાયાની ગુતિ કરવી, રાગદ્વેષ રહિત આત્માનો અનુભવ કરવો તે તપ છે. સ્વપરના સ્વરૂપનો નિર્ણય કરવો, ચાર અનુયોગના અભ્યાસ વડે ઘર્મ સહિત કાળ વ્યતીત કરવો તે તપ છે. અભિમાન તજી વિનયવાન થવું, કપટ તજી સરળભાવી થવું, ક્રોઘ તજી ક્ષમાવાન થવું અને લોભ તજી સંતોષી થવું તે તપ છે. જેથી કર્મસમૂહને હણી આત્મા સ્વતંત્ર, મુક્ત થાય તે તપ છે. સશાસ્ત્રના અર્થ પ્રકાશવા, વ્યાખ્યાન કરવું; પોતે નિરંતર અભ્યાસ કરે અને બીજાને અભ્યાસ કરાવે તે તપ છે. તપસ્વીની ઇંદ્ર પણ સ્તુતિ કરે છે. ભક્તિ પ્રગટ કરે છે. તપથી કેવળજ્ઞાન પ્રગટે છે. તપનો મહિમા અચિંત્ય છે. તપ કરવાનાં પરિણામ થવાં બહુ દુર્લભ છે. નરક, તિર્યંચ કે દેવ ગતિમાં તપની યોગ્યતા જ નથી; એક મનુષ્ય ગતિમાં હોય છે. મનુષ્ય ગતિમાં પણ ઉત્તમ કુળ, જાતિ, બળ, બુદ્ધિ અને સંપૂર્ણ ઇંદ્રિયો જેને હોય તથા રાગાદિની મંદતા જેને હોય તથા વિષયોની લાલસા જેની નાશ પામી છે તે મનુષ્ય તપ ઘર્મ આરાધી શકે છે. (પૃ. ૨૯૬)
૧૮૨