________________
jain
કથાસાર ચોથું અધ્યયન – સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ પણ સમૃદ્ધિશાળી હતા. છ-છ કરોડનું ધન વ્યાપાર, ઘરખર્ચ તથા ભંડારમાં હતું. તેમની પત્નીનું નામ ધન્યા હતું. આનંદની જેમ તેનું સાંસારિક અને ધાર્મિક જીવન શ્રેષ્ઠ હતું. એક વખત પૌષધશાળામાં પૌષધની આરાધના કરી રહ્યા હતા. કોઈ એક મિથ્યાત્વી દેવ અર્ધરાત્રિએ આવી ડરાવવા લાગ્યો. ધમકી આપી દારુણ કષ્ટ આપવા છતાં સુરાદેવે સમતા રાખી. દેવે નવો ઉપાય અજમાવ્યો કે આ ધર્મ-કર્મ છોડી દે નહિતર કોઢ આદિ સોળ મહારોગ શરીરમાં ઉત્પન્ન કરીશ. શરીર સડી જશે અને તમે મહાદુઃખી થઈ જશો.
અસીમ રોગોની કલ્પનાથી તેમનું મન ગભરાઈ ગયું; ઘીરજ ખૂટી ગઈ. સુરાદેવ પણ ચલિત થઈ ગયા. પત્ની ધન્યા દ્વારા પ્રેરણા મળતાં વ્રતની વિશુદ્ધિ કરી. પુનઃ ધર્મમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં શ્રાવકની અગિયાર પડિકાઓનું વહન કર્યું. વીસ વર્ષની શ્રાવક પર્યાયનું પાલન કરી એક માસનો સંથારો કરી પ્રથમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા - આદિ વાકયોથી આત્મ શકિતને જાગૃત કરવી.
શરીરનું મમત્વ પણ સાધકને સાધનાથી યૂત કરી દે છે. તેથી કોઈ પણ પ્રકારની આત્મસાધનામાં શરીરની મમતાને વૈરાગ્યના ચિંતન દ્રારા ક્રમશઃ ઘટાડવી જરૂરી છે. કારણ કે સાધનાની અંતિમ સફળતા દેહ મમત્વના ત્યાગમાં જ છે.
(દેહં પાતયામિ વા કાર્ય સાધયામિ – દેહ દુખં મહાફલ)
પાંચમું અધ્યયન - ચુલ્લશતક આલંભિકા નગરીમાં ચુલ્લશતક શ્રાવક રહેતા હતા. તેમનો વૈભવ સુરાદેવ જેવો જ હતો. જીવનની સાધનાનું વર્ણન સુરાદેવ જેમ જ સમજવું. તેઓ પણ દેવ દ્વારા ધન ને નષ્ટ કરી દરિદ્ર બનાવી દેવાની ધમકી દ્વારા સાધનાથી યૂત થઈ ગયા. બહુલાનામની ભાર્યા દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી, પ્રાયશ્ચિત કરી શુદ્ધ થયા. અંતે સમ્યફ આરાધના કરી પંડિત મરણને વર્યા. શેષ મોક્ષ પર્યતનું વર્ણન સુરાદેવ સમાન જાણવું.
છઠું અધ્યયન – કુંડકૌલિક પ્રાચીન કાળમાં કાંપિલ્યપુર નગરમાં કુંડકૌલિક નામના શેઠ રહેતા હતા. ધન, સમૃદ્ધિ સુરાદેવ જેવી જ હતી. આનંદાદિ શ્રાવકોની જેમ જ ઉત્તમ ધાર્મિક જીવન જીવવા લાગ્યા. શ્રાવક વ્રતોનું પાલન કરવા લાગ્યા. એકદા બપોરના સમયે કુંડકૌલિક અશોક વાટિકામાં ગયા. ઉત્તરીય વસ્ત્ર ઉતારી, વીંટી પણ ઉતારી પોતાની સમીપે મૂકી દીધી. સામાયિકમાં સ્થિર થયા. ત્યાં એક દેવ ઉપસ્થિત થયો અને ઉત્તરીય વસ્ત્ર તથા વીંટી ઉપાડી આકાશમાં જઈ બોલ્યો. ગોશાલકનો ધર્મ સિદ્ધાન્ત સુંદર છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત નથી. કારણ કે પુરુષાર્થથી કંઈ વળતું નથી. જે થવાનું હોય તે થઈને જ રહે છે
આ સાંભળી કુંડકૌલિક બોલ્યા – 'દેવ! એક વાત કહો કે આ દેવ ઋદ્ધિ તમે કેવી રીતે મેળવી? ' 'મે પુરુષાર્થ વિના જ પ્રાપ્ત કરી છે. ' દેવે કહ્યું ' તો અન્ય પ્રાણી-પશુ તમારી જેમ પુરુષાર્થ વિના દેવ કેમ નથી થતા? તેમાં જો કંઈ વિશેષ પુરુષાર્થ છે તો ગોશાલકનો સિદ્ધાંત સુંદર કેવી રીતે બન્યો? તે તો પુરુષાર્થને નિરર્થક સમજે છે.'
ભગવાન મહાવીરના સિદ્ધાંત પરષાર્થ, નિયતિ, કાળ, સ્વભાવ અને કર્મ આ પાંચેયનો સ્વીકાર કરતા થકાં પરષાર્થ પ્રધાન વ્યવહારનું કથન કરે છે. અર્થાત્ વ્યાવહારિક જીવનમાં પુરુષાર્થ મુખ્ય છે અન્યથા તો બધા આળસુ (નિરુદ્યમી) થઈ મોક્ષ પ્રાપ્ત કરી લે. પણ તે અસંભવિત છે. ગોશાલકના સિદ્ધાંતથી લૌકિક વ્યવહાર પણ ચાલતો નથી. વ્યાપાર, ભોજન આદિમાં જો પુરુષાર્થ કરવાની આવશ્યકતા ન રહે તો તે સર્વથા અવ્યવહારિક થઈ જાય છે. કુંડકૌલિક શ્રાવકના તર્કપૂર્ણ ઉત્તરથી દેવ નિરુત્તર થઈ ગયો અને ઉત્તરીય વસ્ત્ર તથા વીંટી મૂકીને ચાલ્યો ગયો.
ભગવાને કુંડકૌલિક શ્રાવકની ભરસભામાં પ્રશંસા કરી. બધા શ્રમણ, શ્રમણોપાસકને જ્ઞાન ચર્ચાથી ન ગભરાતાં આ આદર્શને સન્મુખ રાખવાની પ્રેરણા કરી. કુંડકૌલિકે પણ ચૌદ વર્ષ દરમ્યાન સંસારની જવાબદારી નિભાવી તે પછી મોટો મહોત્સવ કરી, પુત્રને કુટુંબ વ્યવસ્થાનો ભાર સોંપી છ વર્ષ નિવૃત્ત સાધના કરી. પડિમાઓનું આરાધન કર્યું. અંતે એક મહિનાનો સંથારો કરી પંડિત મરણને વર્યા. કુંડકૌલિક પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે.
શિક્ષા – પ્રેરણા:- શ્રમણ-શ્રમણોપાસકોએ પોતાની સાધનાનો કેટલોક સમય શાસ્ત્ર અધ્યયન, શ્રવણ તથા ચિંતન મનનમાં જોડીને જ્ઞાનનો અક્ષય નિધિ પ્રાપ્ત કરવો જોઈએ. દશ વૈકાલિક સૂત્ર અ. ૯ ઉ.૪ માં બતાવ્યું છે કે શ્રુત અધ્યયનથી ચિત્ત એકાગ્ર થાય અને શ્રુત સંપન્ન સાધક સમય આવતાં પોતાના કે બીજાઓના આત્માને ધર્મમાં સ્થિર કરવા પૂર્ણ સફળ બને છે માટે સાધકોએ શ્રુત અધ્યયન કરી પોતાની નિર્ણાયક શકિતનો વિકાસ કરવો જોઈએ.
અધ્યયન સાતમું - સકડાલ પોલાસપુર નગરમાં સકડાલપુત્ર નામનો કુંભાર રહેતો હતો, જે ગોશાલકનો અનુયાયી હતો તે આર્થિક રીતે સંપન્ન હતો તેને ત્રણ કરોડ સોનૈયા તથા એક ગોકુળ હતું. માટીના વાસણ બનાવવાની ૫૦૦ કુંભાર શાળાઓ હતી. અને તે વાસણો વેચવાની વ્યવસ્થા તેના નોકરો દ્વારા રાજમાર્ગ અને અનેક સાર્વજનિક સ્થાનો ઉપર રાખવામાં આવી હતી. તે સકડાલને પોતાના ધર્મસિદ્ધાંતો પ્રત્યે અડગ આસ્થા હતી તે પ્રમાણે જીવન વીતાવતો હતો.
એકદા બપોરના સમયે તે પોતાની અશોક વાટિકામાં બેઠો ધર્મધ્યાન કરી રહ્યો હતો. તે સમયે એક દેવ અદશ્ય રહી બોલ્યા - કાલે અહીં સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાન પધારશે. તમે તેમને વંદન નમસ્કાર કરી તમારી કુંભારશાળામાં રહેવાની અનુજ્ઞા આપજો. આ સૂચનાને પોતાના ધર્મગુરુ ગોશાલક માટેની સમજી સકડાલે અવધારી.
બીજે દિવસે પોલાસપુર નગર બહાર ભગવાન મહાવીર પધાર્યા. પ્રજાજનો દર્શનાર્થે જવા લાગ્યા. સકડાલ પણ ગયા.