SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ jain 241 કથાસાર આનાથી વિપરીત અવસર્પિણી કાળમાં ઉક્ત જીવ અને પુદ્ગલના ગુણો– સ્વભાવોમાં ક્રમિક હ્રાસ(હાનિ) થતી રહે છે. એટલા માટે આ ૧૦ ક્રોડા ક્રોડ કાળમાનને અવસર્પિણી(હાયમાનકાળ) કહેલ છે. અવસર્પિણી કાલ ઃ– તેના ૬ વિભાગો છે, જેમાં ક્રમિક હાનિ થતી હોય છે. આ ૬ વિભાગોને ૬ આરા કહે છે. આ ૬ આરાના નામ આ પ્રકારે છે– (૧) સુખમ સુખમ (૨) સુખમ (૩) સુખમ દુઃખમ (૪) દુ:ખમ સુખમ (૫) દુ:ખમ (૬) દુઃખમ દુઃખમ. (૧) ‘સુખમ–સુખમ’ પહેલો આરો :– આ આરો ૪ ક્રોડા ક્રોડ સાગરોપમનો હોય છે. આ કાળમાં ભરતક્ષેત્રના પૃથ્વી પાણી અને વાયુ મંડલના તથા પ્રત્યેક પ્રાકૃતિક પદાર્થોના સ્વભાવ અતિ ઉત્તમ, સુખકારી એવં સ્વાસ્થ્યપ્રદ હોય છે. મનુષ્યોની તથા પશુ પક્ષીઓની સંખ્યા અલ્પ હોય છે. જલ સ્થાનોની એવં દસ પ્રકારના વિશિષ્ટ વૃક્ષોની બહુલતા હોય છે. આ વિશિષ્ટ વૃક્ષ ૧૦ જાતિના હોય છે. એનાથી મનુષ્યો આદિના જીવન સંબંધી આવશ્યકતાની પૂર્તિ થાય છે. આ કાળમાં ખેતી, વ્યાપાર આદિ કર્મ હોતા નથી; નગર, મકાન, વસ્ત્ર, વાસણ આદિ હોતા નથી; ભોજન રાંધવાનું, સંગ્રહ કરવાનું હોતું નથી, અગ્નિ પણ આ કાળમાં ઉત્પન્ન થતો નથી. ઇચ્છિત ખાદ્ય પદાર્થ વૃક્ષોથી પ્રાપ્ત થઈ જાય છે. નિવાસ અને વસ્ત્રના કાર્ય પણ વૃક્ષ અને વૃક્ષની છાલ, પત્ર આદિથી થઈ જાય છે. પાણી માટે અનેક સુંદર જલ સ્થાન સરોવર આદિ હોય છે. દસ વૃક્ષોનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ. યુગલ મનુષ્ય :– આ સમયમાં સ્ત્રી, પુરુષ સુંદર એવં પૂર્ણ સ્વસ્થ હોય છે. એમને જીવન ભર ઔષધ, ઉપચાર વૈદ્ય આદિની આવશ્યકતા રહેતી નથી, માનુષિક સુખ ભોગવતા જીવનભરમાં એમને કેવલ એક જ યુગલ ઉત્પન્ન થાય છે. અર્થાત્ એમને એક પુત્ર અને એક પુત્રી એક સાથે જન્મે છે. એ યુગલ પુત્ર પુત્રીનું ૪૯ દિવસ માતા પિતા પાલન કરે છે. પછી તે સ્વનિર્ભર સ્વાવલંબી બની જાય છે. ૬ મહિના થાય ત્યારે તેમના માતા પિતા છીંક એવં બગાસાના નિમિત્તે લગભગ સાથે મરી જાય છે. પછી તે યુગલ ભાઈ બહેનના રૂપમાં સાથે સાથે વિચરણ કરે છે અને યૌવન વય પ્રાપ્ત થતાં સ્વતઃ પતિ પત્નીનું રૂપ ધારણ કરી લે છે. યુગલ શરીર :– તે સમયના મનુષ્યની ઉંમર ૩ પલ્યોપમની હોય છે અને ક્રમિક ઘટતાં ઘટતાં પ્રથમ આરાની સમાપ્તિ સુધી ૨ પલ્યોપમની થઈ જાય છે. તે મનુષ્યોના શરીરની અવગાહના ૩ કોશની હોય છે. સ્ત્રી પુરુષથી ૨-૪ અંગુલ નાની હોય છે. આ અવગાહના પણ ઘટતાં ઘટતાં પહેલા આરાના અંતમાં ૨ કોશ (ગાઉ) થઈ જાય છે. આ યુગલ મનુષ્યોના શરીર વજ્રૠષભનારાચ સંહનન– વાળા હોય છે. તેનું સંસ્થાન સુંદર સુડોલ સમચોરસ હોય છે. એમના શરીરમાં ૨૫૬ પાંસળીઓ હોય છે. ક્ષેત્ર એવું યુગલ સ્વભાવ :– આ યુગલ મનુષ્યને ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એમનો આહાર પૃથ્વી, પુષ્પ અને ફલ રૂપ હોય છે. આ પદાર્થોનો આસ્વાદ ચક્રવર્તીના ભોજનથી પણ અધિક સ્વાદિષ્ટ હોય છે. સોના ચાંદી અને ઝવેરાત જ્યાં ત્યાં પડયા હોય પરંતુ કોઈના ઉપયોગમાં આવતા નથી. તે મનુષ્ય વૈર ભાવથી રહિત હોય છે. તીવ્ર અનુરાગ પ્રેમ બંધન પણ એમને નથી હોતા. તેઓ પગે વિહાર વિચરણ કરતા હોય છે અર્થાત્ ઉપલબ્ધ હાથી, ઘોડા આદિ પર સવારી કરતા નથી. પશુના દૂધ આદિ પદાર્થોનો પણ તે મનુષ્ય ઉપયોગ કરતા નથી. હિંસક પશુ, સિંહ આદિ પણ આ મનુષ્યને જરા પણ બાધા–પીડા પહોંચાડતા નથી. ધાન્ય આદિ પણ એમના ઉપયોગમાં આવતા નથી. ત્યાંની ભૂમિ સ્વચ્છ નિર્મલ કંટક આદિ થી રહિત હોય છે. ડાંસ, મચ્છર, માંકડ આદિ ક્ષુદ્ર જંતુ હોતા નથી. સર્પ આદિ પણ ભદ્ર પ્રકૃતિવાળા હોય છે. ત્યાંના દસ વિશિષ્ટ વૃક્ષોને વ્યવહાર ભાષામાં કલ્પવૃક્ષ કહે છે. આ ઉપરાંત પણ અનેક જાતિના વૃક્ષ એ કાળમાં હોય છે. તે યુગલ મનુષ્ય અલ્પેચ્છાવાળા, ભદ્ર, વિનીત, ગુપ્ત, સંગ્રહવૃતિ રહિત અને વૃક્ષની શાખાની વચ્ચે નિવાસ કરનારા હોય છે. તે સમયે ઘણા વૃક્ષ મહેલ એવં હવેલી આદિના સદશ હોય છે. રાજા,માલિક,નોકર,સેવક આદિ એ સમયે હોતા નથી. નાચ, ગાન, મહોત્સવ આદિ થતા નથી. વાહન યાન આદિ હોતા નથી. મિત્ર, સખા, ભાઈ, બહેન, માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી એટલા સંબંધ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દૌહિત્ર, પૌત્ર, પુત્ર વધૂ, ફૈબા, ભત્રીજા, માસી, આદિ સંબંધ હોતા નથી. મૂલ પાઠમાં પુત્રવધૂનો શબ્દ લિપિ પ્રમાદ આદિ કોઈ કારણથી પ્રવિષ્ટ થઈ ગયો લાગે છે. કારણ કે ૬ મહિનાના ભાઈ બહેનમાં પતિ પત્નિના ભાવ ન હોઈ શકે. ૬ મહિના પછી માતા પિતા જીવિત રહેતા નથી. તે મનુષ્ય જીવનમાં કોઈ પણ પ્રકારના કષ્ટ દુઃખ ભોગવતા નથી. સહજ શુભ પરિણામોથી મરીને તે દેવ ગતિમાં જાય છે. તેઓ દેવગતિમાં ભવનપતિથી લઈને પહેલા બીજા દેવલોક સુધી જન્મે છે, આગળ જતા નથી. તેઓ પોતાની સ્થિતિથી ઓછી સ્થિતિના દેવ બની શકે છે, વધારે સ્થિતિના નહીં અર્થાત્ તે યુગલ મનુષ્ય ત્રણ પલ્યથી અધિક સ્થિતિના દેવ નથી બની શકતા. દશ હજાર વર્ષથી લઈને ૩ પલ્ય સુધી કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. અન્ય કોઈ પણ ગતિમાં તે જતા નથી. તિર્યંચ યુગલ પણ આજ રીતે જીવન જીવે છે અને દેવલોકમાં જાય છે. એમની ઉત્કૃષ્ટ અવગાહના મનુષ્યથી બે ગણી હોય છે અને જઘન્ય અનેક ધનુષની હોય છે. ત્યાં સામાન્ય તિર્યંચ પણ અનેક જાતિના હોય છે. આ રીતે પ્રથમ આરાનું વર્ણન પૂર્ણ થયું. તે કાળ ૪ ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી ચાલે છે. તે સમયના સ્ત્રી પુરુષના શરીરનું વિસ્તૃત વર્ણન પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં છે. (૨) ‘સુખમ’ બીજો આરો :– પહેલો આરો પૂર્ણ થતાં બીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંત ગણી હાનિ થાય છે. આ આરાની શરૂઆતમાં મનુષ્યની ઉમર બે પલ્યોપમ અને અંતમાં એક પલ્યોપમની હોય છે. અવગાહના પ્રારંભમાં બે કોશ અને અંતમાં એક કોશ હોય છે. એમના શરીરમાં ૧૨૮ પાંસળીઓ હોય છે. તેમને બે દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. માતા પિતા, પુત્ર ને પુત્રીનો ઉછેર ૬૪ દિવસ કરે છે. આ બધા પરિવર્તન ક્રમિક હોય છે એવું સમજવું. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે. તિર્યંચનું વર્ણન પણ પ્રથમ આરાની સમાન છે. આ આરો ૩ ક્રોડા ક્રોડી સાગરોપમ સુધી ચાલે છે. = (૩) ‘સુખમ–દુ:ખમ’ ત્રીજો આરો :– બીજો આરો પૂર્ણ થતાં ત્રીજો આરો શરૂ થાય છે. બધા રૂપી પદાર્થોના ગુણોમાં અનંતગણી હાનિ થાય છે. પ્રારંભમાં મનુષ્યોની ઉંમર એક પલ્યોપમની હોય છે, અંતમાં એક કરોડ પૂર્વની હોય છે. તેમની અવગાહના પ્રારંભમાં એક કોશની હોય છે, અંતમાં ૫૦૦ ધનુષની હોય છે. તેમના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. એક દિવસે આહારની ઇચ્છા થાય છે. પુત્રપુત્રીનો ઉછેર ૭૯ દિવસ કરે છે. શેષ વર્ણન પ્રથમ આરાની સમાન છે.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy