________________
આગમ-કથાઓ
124
આનંદદાયક હોય છે. આથી હે માતા–પિતા ! સંપૂર્ણ દુઃખો અને ભવ પરંપરાનું ઉન્મૂલન કરનારા, સુખમય સંયમ ગ્રહણ કરવાની આપ મને આજ્ઞા આપો.
સંયમની આજ્ઞા :– - કોઈપણ પ્રકારે માતા–પિતા જમાલીકુમારની વૈરાગ્ય ભાવનાને રોકી શકયા નહીં, અંતે કમને સ્વીકૃતિ આપવી પડી. પછી તેનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. જમાલીની અભિલાષા પ્રમાણે કુત્રિકાપણમાંથી બે લાખ સોનૈયાનાં રજોહરણ પાત્ર મંગાવ્યાં; હજામને બોલાવ્યો; હજામે મોં પર મુખવસ્ત્ર બાંધીને જમાલીના વાળ કાપ્યા, ચોટીના લગભગ ચાર આંગળ ક્ષેત્ર પ્રમાણે વાળ રાખી બધા વાળોનું ખુર મુંડન કર્યું. એને પણ એક લાખ સોનૈયા આપ્યા.
એ વાળને સ્વચ્છ વસ્ત્રમાં લઈને ધોઈને માતાએ રત્નકરંડકમાં રાખી પોતાના ઓશિકાની પાસે રાખી દીધા.
પછી જમાલીને ઉત્તરાભિમુખ બેસાડીને માતા–પિતાએ મંગળ કળશોથી સ્નાનવિધિ કરાવી; વસ્ત્ર, માળા, આભૂષણો થી સુસજ્જિત કર્યા. હજાર પુરુષ ઉપાડે તેવી પાલખી મંગાવી એમાં જમાલીકુમાર પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી ગયા. એની જમણી તરફ માતા–પિતા પણ બેસી ગયા. પછી અપૂર્વ વૈભવની સાથે અને અનેક મંગળોની સાથે વિશાળ જન સમુદાય સાથે, ઘોડા, હાથી, ૨થ વગેરે સાથે એ દીક્ષા મહોત્સવનો વરઘોડો રાજમાર્ગો પરથી આગળ વધ્યો. ઘરોમાંથી સેંકડો હજારો સ્ત્રી-પુરુષો એ વરઘોડાને અને દીક્ષાર્થી જમાલીકુમારને જોવા લાગ્યા. ક્ષત્રિયકુંડ ગ્રામ નગરથી એ વરઘોડો બ્રાહ્મણકુંડ ગ્રામ નગરની તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં ઉત્સાહી લોકો વિવિધ જય જયકાર કરતા, મંગલ અવાજ કરતા જઈ રહ્યા હતા. એમાં મુખ્ય નારા આ પ્રમાણે હતા. દીક્ષાર્થીના નારા :– • હે નંદ (આનંદ દાયક—આનંદ ઇચ્છુક) ! તમારી ધર્મ દ્વારા જય હો ! હે નંદ ! તપથી તમારી જય હો ! હે નંદ. તમારું કલ્યાણ હો ! હે નંદ ! તમે અખંડિત જ્ઞાન–દર્શન, ચારિત્રના સ્વામી બનો ! હે નંદ ! તમે ઇન્દ્રિય જયી બનો. હે નંદ ! તમે બધા વિઘ્નોને પાર કરો ! હે નંદ ! આપ પરીષહરૂપી સેના પર વિજય મેળવો. હે નંદ ! તમે રાગ–દ્વેષરૂપી મલ્લો પર વિજય પ્રાપ્ત કરો. હે નંદ ! ઉત્તમ શુકલ ઘ્યાન દ્વારા કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. હે ધીર ! ત્રણ લોક રૂપ વિશ્વ– મંડપમાં ઉત્તમ આરાધના રૂપ વિજય પતાકા ફરકાવો ! હે ધીર ! અપ્રમત્ત થઈ સંયમમાં વિચરણ કરો. હે વીર ! નિર્મળ વિશુદ્ધ અનુત્તર કેવલજ્ઞાન પ્રાપ્ત કરો. હે વીર ! તમારા ધર્મમાર્ગમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન હો. હે મહાભાગ ! તમે પરમ– પદરૂપ મોક્ષ પ્રાપ્ત કરો.
દીક્ષાર્થી ભગવાનના સમવસરણમાં :– વરઘોડો ભગવાનના સમવસરણ સ્થળની નજીક પહોંચી ગયો. જમાલીકુમારે છત્ર, ચામર, શિબીકાનો ત્યાગ કર્યો. પગે ચાલીને માતા-પિતાની સાથે ભગવાનની સામે પહોંચ્યા. માતા-પિતાએ ભગવાનને વંદન નમસ્કાર કરીને નિવેદન કર્યું, હે ભંતે ! આ જમાલીકુમાર અમારો એકનો એક પુત્ર છે તે અમને ઇષ્ટ, કાંત, વલ્લભ છે. એ જળ કમળની જેમ ભોગોથી વિરક્ત બની ગયો છે. એને અમે તમને શિષ્યરૂપી ભિક્ષા આપીએ છીએ, તમે સ્વીકાર કરો. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર એનો સ્વીકાર કરે છે અને જમાલીકુમારને નિર્દેશ કરતાં કહે છે કે હે દેવાનુપ્રિય ! તમને સુખ થાય તેમ કરો. ત્યારે જમાલીકુમારે ઈશાનખૂણામાં નિશ્ચિત(જગ્યા)માં જઈને પોતે જ વસ્ત્ર- આભૂષણ ઉતાર્યા. માતાએ એને શુદ્ધ વસ્ત્રમાં ગ્રહણ કર્યા અને આંસુ સારતા જમાલીકુમારને અંતિમ શિક્ષા વચન કહ્યા કે હે પુત્ર ! તું સારી રીતે સંયમ પાલન કરજે. તપમાં પરાક્રમી બનજે અને જરાપણ પ્રમાદ ન કરજે.
આ પ્રમાણે શિક્ષા વચન કહેતાં માતા-પિતા ભગવાનને વંદન– નમસ્કાર કરીને ચાલ્યા .
૫૦૦ પુરુષો સાથે દીક્ષા ગ્રહણ :– જમાલીકુમાર ચાર આંગળની ચોટીના વાળનો પંચમુદિ લોચ કરી ભગવાનની સામે પહોંચ્યા. જમાલીની સાથે જ ૫૦૦ બીજા પુરુષો દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા હતા. પ્રભુએ ૫૦૦ પુરુષોની સાથે જમાલીકુમારને દીક્ષિત કર્યા. તેનું વિસ્તૃત વર્ણન અહીં નથી.
દીક્ષા લઈને જમાલી અણગારે સંયમ વિધિઓનો જ્ઞાન અને અભ્યાસ કર્યો, તપ–સંયમમાં આત્માને ભાવિત કર્યો યાવત્ ૧૧ અંગશાસ્ત્રોનું અધ્યયન કર્યું.
સ્વતંત્ર વિચરણ :– કોઈ સમયે જમાલી અણગારે સ્વતંત્ર વિચરણ માટે ભગવાનને નિવેદન કર્યું. ભગવાને એવી સ્પર્શના જાણીને એને સ્વીકૃતિ ન આપી અને મૌન રાખ્યું. ૫૦૦ શિષ્યો સહિત એમણે ભગવાનને વંદન કરીને ત્યાંથી વિહાર કર્યો. વિહાર કરતાં તેઓ શ્રાવસ્તિ નગરીમાં પહોંચ્યા. આહારની અનિયમિતતાથી અને અરસ આહાર, વિરસ આહારથી, રુક્ષ, પ્રાંત, કાલ અતિક્રાંત, પ્રમાણ અતિક્રાંત અને શીતળ આહારથી એમના શરીરમાં વિપુલ રોગ ઉત્પન્ન થયો, પ્રગાઢ દુ:સ્સહ વેદના થવા લાગી. એનું શરીર પિત્ત જવર અને દાહથી આક્રાંત થઈ ગયું.
મિથ્યાત્વ ઉદય :– - વેદનાથી પીડિત બનેલા જમાલી અણગારે શ્રમણોને સંથારો(પથારી) કરવાનું કહ્યું. પથારી કરવામાં થોડો સમય લાગ્યો. એમને ઉભા રહેવાનું અસહ્ય થઈ ગયું હતું. જલ્દીથી એમણે તેઓને પૂછી લીધું કે હે દેવાનુપ્રિયે પથારી પાથરી લીધી કે પાથરો છો ? શ્રમણોએ ઉત્તર આપ્યો કે અત્યારે પથારી પાથરી નથી, પાથરી રહ્યા છીએ. કષ્ટની અસહ્યતાને કારણે એ વાક્યો પર એનું ઊંધું ચિંતન ચાલવા લાગ્યું. મિથ્યાત્ત્વ કર્મ દલીકોનો ઉદય થયો અને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો સિદ્ધાંત છે કે ચાલતા– ચાલતા ચાલ્યા, કરતાં-કરતાં કર્યું', આ સિદ્ધાંત મિથ્યા છે. આ હું પ્રત્યક્ષ અનુભવ કરું છું. આ પ્રકારના મનોગત ભાવ એમણે શ્રમણોની સામે રાખ્યા. કેટલાક શ્રમણોએ એમની આ વાત પર શ્રદ્ધા કરી અને કેટલાકે શ્રદ્ધા ન કરી, પ્રતિકાર કર્યો. પરંતુ મિથ્યાત્વ ઉદયના પ્રભાવથી જમાલીને એ દઢ નિશ્ચય થઈ ગયો કે ભગવાનનો સિદ્ધાંત મિથ્યા છે. ત્યારે કેટલાક શ્રમણ જ્યાં ચંપાનગરીમાં ભગવાન બિરાજમાન હતાં ત્યાં વિહાર કરી ગયા. અવિનય -- થોડા દિવસોમાં જમાલી પણ સ્વસ્થ થઈ ગયા. તે પણ વિહાર કરતાં ચંપાનગરીમાં ભગવાનની સમક્ષ પહોંચ્યા અને ઉભા રહીને કહેવા લાગ્યા કે ભંતે ! આપના કેટલાક શિષ્ય છદ્મસ્થ વિચરણ કરીને આવે છે. પરંતુ હું કેવલી બનીને આવ્યો છું.
ગૌતમ સ્વામીએ એક જ પ્રશ્ન પૂછીને એને નિરુતર અને ચૂપ કરી દીધા. પછી ભગવાને જમાલીને કહ્યું કે હે જમાલી ! મારા અન્ય છદ્મસ્થ અણગાર આ પ્રશ્નનો ઉત્તર મારી જેમ જ આપી શકે છે. પરંતુ એ પોતાને તારી જેમ કેવલી નથી કહેતા. પછી ભગવાને