________________
૪૦૨
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૯ સૂ૦ ૧૦
વગેરે તૃણ પરીષહ છે. એ વખતે વેદનાને સમભાવે સહન કરવી, વસ્ત્રની ઇચ્છા ન કરવી એ પરીષહ-જય છે, અને ઉદ્વિગ્ન બનીને વસ્રની ઇચ્છા કરવી એ પરીષહ અજય છે.
(૧૮) મલ–શરીર ઉપર મેલનું જામવું એ મલ પરીષહ છે. મેલને દૂર ન કરવો, મેલને દૂર કરવાની ઇચ્છા પણ ન કરવી એ પરીષહજય છે અને મેલને દૂર કરવાની ઇચ્છા કરવી, મેલને દૂર કરવો એ પરીષહ અજય છે. (૧૯) સત્કાર– સત્કાર-સન્માનની પ્રાપ્તિ એ સત્કાર પરીષહ છે. તેમાં હર્ષ ન કરવો એ પરીષહજય અને હર્ષ કરવો એ પરીષહ અજય છે. (૨૦)પ્રજ્ઞા–વિશિષ્ટ બુદ્ધિની પ્રાપ્તિ એ પ્રજ્ઞા પરીષહ છે. તેમાં ગર્વ ન કરવો એ પરીષહજય છે, અને ગર્વ કરવો એ પરીષહ અજય છે. (૨૧) અજ્ઞાન–વિશિષ્ટ જ્ઞાનની અપ્રાપ્તિ એ અજ્ઞાન પરીષહ છે. અજ્ઞાનના કા૨ણે થતા ‘આ અજ્ઞાન છે, પંગુ સમાન છે, એને કશી જ ગતાગમ નથી' ઇત્યાદિ આક્ષેપ-તિરસ્કારમાં સમતા રાખવી એ પરીષહજય અને ઉદ્વિગ્ન બની જવું, દ્વેષ કરવો એ પરીષહ અજય છે. (૨૨) અદર્શન શાસ્ત્રોનાં રહસ્યો ન સમજાય, પરદર્શનના પ્રત્યક્ષ ચમત્કારો દેખાય વગેરે સમ્યગ્દર્શનથી ચલિત થવાના પ્રસંગોની ઉપસ્થિતિ એ અદર્શન પરીષહ છે. તે પ્રસંગોમાં સમ્યગ્દર્શનથી ચલિત ન થવું એ પરીષહજય, અને ચલિત થવું એ પરીષહ અજય છે. (૯) પરીષહોની ગુણસ્થાનકોમાં વિચારણા— सूक्ष्मसंपराय-छद्मस्थवीतरागयोश्चतुर्दश ॥ ९-१० ॥
સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ અને ક્ષીણમોહ (૧૦-૧૧-૧૨) એ ત્રણ ગુણસ્થાનકોમાં ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, પ્રજ્ઞા, અજ્ઞાન, અલાભ, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ એ ૧૪ પરીષહો હોય છે. અર્થાત્ આ ૧૪ પરીષહો ૧૨મા ગુણસ્થાનક સુધી સંભવે છે.
શેષ આઠ પરીષહો મોહનીય કર્મજન્ય હોવાથી અને આ ત્રણ ગુણસ્થાનકોમાં મોહનો ઉદય ન હોવાથી નવમા ગુણસ્થાનક સુધી જ હોય છે. યદ્યપિ દશમા ગુણસ્થાને સૂક્ષ્મ લોભ હોય છે, પણ તે અત્યંત સૂક્ષ્મ હોવાથી સ્વકાર્ય કરવા અસમર્થ હોય છે. (૧૦)