SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. એવો અર્થ થાય. એકવાર પણ આ ગુણસ્થાનને પામેલો આત્મા વધારેમાં વધારે દેશોન અર્ધ પુદ્ગલપરાવર્ત જેટલા કાળમાં અવશ્ય મોલમાં જાય છે. આ ગુણસ્થાને રહેલા જીવો અરિહંતને જિનેશ્વરને જ સુદેવ, પંચમહાવ્રતધારી સુસાધુને જ સુગુરુ અને જિનેશ્વરે કહેલા ધર્મને જ સુધર્મ માને છે. પ્રશ્ન- દર્શનમોહને મારવા કે નબળો પાડવા શું કરવું પડે ? ઉત્તર- રાગ-દ્વેષની નિબિડ ગ્રંથિનો ભેદ કરવો પડે. રાગ-દ્વેષની ગ્રંથિ એટલે શું? તેનો ભેદ કેવી રીતે થાય વગેરે સમજવા આ ગ્રંથના પહેલા અધ્યાયના ત્રીજા સૂત્રમાં બતાવેલા સમ્યકત્વ પ્રાપ્તિના ક્રમને સમજવાની જરૂર છે. (૨) સાસ્વાદન– સમ્યકત્વથી પતિત બનેલા આત્માને મિથ્યાત્વદશા પામતાં પહેલાં થતો સમ્યકત્વનો કંઈક ઝાંખો અનુભવ' બીજું ગુણસ્થાન છે. આસ્વાદનથી (=સ્વાદથી) સહિત તે સાસ્વાદન. જેમ કોઈ માણસ ખીરનું ભોજન કર્યા પછી ઊલટી થતાં અસલ ખીરના જેવો મધુર સ્વાદ અનુભવતો નથી, તથા ખરાબ સ્વાદ પણ અનુભવતો નથી, પણ ખીરના જેવો કંઈક અવ્યક્ત સ્વાદ અનુભવે છે; તેમ અહીં સાસ્વાદન ગુણસ્થાને રહેલો જીવ સમ્યક્ત્વનો અનુભવ કરતો નથી, તેમ મિથ્યાત્વનો પણ અનુભવ કરતો નથી; કિંતુ સમ્યક્ત્વની ઝાંખી અનુભવે છે. ત્યાર પછી તુરત એ આત્મા અવશ્ય મિથ્યાત્વદશાને પામે છે. આ ગુણસ્થાનક ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ શ્રેણિથી પડીને મિથ્યાત્વને પામતાં પહેલાં હોય તથા ભવચક્રમાં પાંચ જ વાર ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય અને એથી આ ગુણસ્થાનક પણ પાંચ જ વાર પ્રાપ્ત થાય. (૩) મિશ્ર– શુદ્ધ માન્યતા નહિ, અશુદ્ધ માન્યતા પણ નહિ, કિંતુ તે બેની વચલી અવસ્થા તે મિશ્ર ગુણસ્થાનક છે. જેમ જેણે “કેરી' એવો શબ્દ પણ સાંભળ્યો નથી તે જીવમાં કેરીના પૌષ્ટિકતા, મધુરતા, પાચકતા વગેરે ગુણો સંબંધી સાચી માન્યતા હોતી નથી, તેમ ખોટી માન્યતા પણ હોતી નથી, તેમ મિશ્ર ગુણસ્થાને રહેલા જીવમાં શુદ્ધ અને અશુદ્ધ એ બેમાંથી એક પણ માન્યતા હોતી નથી. ૧. અહીં અનંતાનુબંધી કષાયોનો ઉદય હોય છે, પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી, અનંતાનુબંધી કષાયોનો ઉદય થોડી જ વારમાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય કરાવે છે. ૨. અહીં અનંતાનુબંધી કષાયોનો ઉદય ન હોય, પણ મિશ્ર મોહનીય કર્મનો ઉદય હોય છે.
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy