________________
૧૬૨
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૪ સૂ૦૧૩ જ્યોતિષ્કનિકાયનાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ ભેદો છે. જ્યોતિષ્કનું સ્થાન
સમભૂતલા પૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે તારા આવેલા છે. તેનાથી દશ યોજન ઉપર સૂર્ય, તેનાથી ૮૦ યોજન ઉપર ચંદ્ર, તેનાથી ચાર યોજન ઉપર નક્ષત્ર, તેનાથી ચાર યોજન ઉપર બુધ ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર શુક્ર ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર ગુરુ ગ્રહ, તેનાથી ત્રણ યોજન ઉપર મંગળ ગ્રહ અને તેનાથી ત્રણ યોજન ઉપર શનિ ગ્રહ આવેલ છે.
પ્રશ્ન- ગ્રહો ૮૮ છે. તો અહીં પાંચ જ ગ્રહોનું સ્થાન કેમ બતાવ્યું?
ઉત્તર– બૃહસંગ્રહણીમાં બીજા ગ્રહોના સ્થાનો “આદિ' શબ્દથી સમજી લેવા એમ કહ્યું છે. જેમ કે કેટલાક ગ્રહો બુધની જેટલી ઊંચાઈ છે તેટલી ઊંચાઇમાં હોવાથી બુધ વગેરે ગ્રહો સમજવા. કેટલાક ગ્રહો શુક્રની જેટલી ઊંચાઈ છે તેટલી ઊંચાઈમાં હોવાથી શુક્ર વગેરે ગ્રહો સમજવા. એમ પછીના ગ્રહોમાં પણ આદિ શબ્દથી અન્ય ગ્રહો સમજી લેવા. તે આ પ્રમાણે–
સમભૂલા પુથ્વીથી ૮૮૮ યોજન ઊંચે બુધ આદિ ગ્રહો આવેલા છે. સમભૂલા પૃથ્વીથી ૮૯૧ યોજન ઊંચે શુક્ર આદિ ગ્રહો આવેલા છે. સમભૂલા પૃથ્વીથી ૮૯૪ યોજન ઊંચે ગુરુ આદિ ગ્રહો આવેલા છે. સમભૂલા પૃથ્વીથી ૮૯૭ યોજન ઊંચે મંગલ આદિ ગ્રહો આવેલા છે. સમભૂતલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઊંચે શનિ આદિ ગ્રહો આવેલા છે.
આ પ્રમાણે સંપૂર્ણ જ્યોતિષચક્ર ઊંચાઈમાં ૧૧૦ યોજન અને લંબાઇમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર પ્રમાણ છે.
સૂર્યાદિ દેવો તથા તેમનાં વિમાનો જયોતિષ=પ્રકાશ કરનારા હોવાથી તેમને જયોતિષ્ક કહેવામાં આવે છે. સૂર્ય આદિ તે તે જાતિના દેવોના મુકુટમાં પોતપોતાની જાતિ પ્રમાણે સૂર્ય આદિનું પ્રભાના મંડલ સમાન દેદીપ્યમાન ચિહ્ન હોય છે. અર્થાત સૂર્ય જાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન સૂર્ય આકારનું ચિહ્ન હોય છે. ચંદ્ર જાતિના દેવોના મુકુટમાં પ્રભામંડલ સમાન દેદીપ્યમાન ચંદ્રના આકારનું ચિહ્ન હોય છે. એ પ્રમાણે તારા આદિ વિષે પણ જાણવું. (૧૩)