SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય માત્ર દુ:ખભીરૂ છે. એની તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્રબિંદુ દુ:ખમુક્તિ અને સુખ પ્રાપ્તિ છે. આશ્ચર્ય એ વાતનું છે કે માણસ જેમ જેમ દુ:ખમાંથી છૂટવા ને સુખ મેળવવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે ઉલ્ટો વધુ દુ:ખમાં ફસાતો જાય છે ને સુખ એનાથી દૂર જ ઠેલાતું રહે છે. માનવીને જયારે ચારેબાજુથી દુ:ખો ઘેરી વળે છે ત્યારે એ ખૂબ હતાશ બની જાય છે. એક બાજુ શેરમાં રોકેલા પૈસા કાગળિયા થઇ ગયા હોય, બીજી બાજુ બિલ્ડીંગ કે જમીનમાં રોકેલા પૈસા ડેડ થઇ ગયા હોય, ત્રીજી બાજુ બજારમાં મંદી હોય... આ બધું અધૂરું હોય તેમ ગુંડાઓના ખંડણી માટેના ફોન આવતા હોય... શરીર રોગોથી ઘેરાયેલું હોય, ઘરમાં છોકરાઓ કહ્યું ન માનતા હોય, પત્ની કર્કશા હોય... ત્યારે ભલભલો માણસ હિંમત હારી જાય અને ડિપ્રેશનમાં સરકી પડે. અત્યારે ઘણા માણસોની આવી હાલત જોવા મળે છે. આવા અવસરે માણસે સ્વસ્થ (જરા પણ દિમાગની સમતુલા ગુમાવ્યા વિના) થઇને આત્મનિરીક્ષણ કરવું જોઇએ. આમાંથી કેટલા દુઃખો દૂર થઇ શકે તેમ છે ? જે દૂર થઇ શકે તેમ ન જ હોય તેના માટે અફસોસ કરવાનો શો અર્થ ? પરિસ્થિતિ જયારે બદલી શકાય તેમ ન હોય ત્યારે શાણો માણસ મનઃસ્થિતિ બદલી નાખે છે. પરિસ્થિતિ આપણા હાથમાં નથી, મનઃસ્થિતિ આપણા હાથમાં છે. જે આપણા હાથમાં છે એને જ બદલી નાખીને સુખી શા માટે ન બનવું ? જયારે આપણે મનઃસ્થિતિ બદલાવી નાખીએ છીએ, દુ:ખનો સંપૂર્ણ સ્વીકાર કરીએ છીએ, ત્યારે પરિસ્થિતિ આપોઆપ બદલાવા લાગે છે. દુઃખ પોતાની મેળે સુખમાં બદલાવા લાગે છે. જીવનમાં માણસ બીજી ઘણી કલા શીખે પણ જો દુ:ખ સ્વીકારવાની કળા ન શીખે તો એનું જીવન શિક્ષણ અધૂરું છે. જે દુ:ખનું નામ સાંભળતાં જ આપણે બેબાકળા બની જઈએ છીએ, જેને આપણે અત્યંત બિહામણું ગણીએ છીએ, એને સોહામણું કઈ રીતે બનાવી શકાય ? દુ:ખનું સ્વાગત શી રીતે કરી શકાય ? એ શીખવા ચાલો... પૂર્વજોની આંખે દુ:ખને જાણીએ, દુ:ખને વધાવીએ, દુઃખને વહાલ કરીએ. સામાન્ય રીતે માણસ ભગવાન પાસે સુખની પ્રાર્થના કરે છે : હે ભગવનું ! અમારું સુખ અખંડ હો ! દુઃખ અમને કદી ન મળે, પણ કોઇ દુ:ખની પ્રાર્થના કરે ત્યારે શું સમજવું ? સાચે જ આવા ભક્તને ધન્યવાદ આપવા ઘટે. જીવનને એ સાચા અર્થમાં સમજયો છે, એમ કહેવું પડે. જીવનના અખંડ દર્શન કરનાર જ દુ:ખને પ્રેમ કરી શકે. પ્રભુ પાસે પ્રાર્થના કરી શકે. કુંતીએ ભગવાન પાસે પ્રાર્થના કરતાં કહ્યું છે : विपदः सन्तु नः शश्वत् तत्र तत्र जगद्गुरो । भवतो दर्शनं यत्स्यादपुनर्भव-दर्शनम् ॥ ‘હે પ્રભુ ! અમને બધે સ્થળે દુ:ખો મળ્યા કરો ! જેથી પુનર્ભવનાશક આપનું દર્શન અમને મળ્યા કરે.' - ભાગવતપુરાણ (૧/૮/૨૫) ઉપદેશધારા * ૮૪ ઉપદેશધારા + ૮૫
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy