________________
વર્ષોના વર્ષો લાગે, તે જ્ઞાન સહજ રીતે એક જ વાક્યમાં આપી દેવાની ક્ષમતા વૃદ્ધ પુરુષ પાસે હોય છે.
૬૫-૭૦ વર્ષનો અનુભવ ! એટલા વર્ષોનો જ્ઞાનનો સંગ્રહ ! એટલા વર્ષોની પરિપક્વતા ! આ બધાનો લાભ આપણે એમના અનુસરણ દ્વારા પામી શકીએ. એ અનુભવ જો જાતે જ મેળવવાનો આગ્રહ રાખીએ તો સ્મશાન ભેગા થઇ જવું પડે એટલો સમય લાગે !
કદાચ વિચાર આવશે : “ઘરડા ગાડા વાળે' એ કહેવત છે તેમ ‘સાઠે બુદ્ધિ નાઠી’ એ પણ કહેવત જ છે ને ? બેમાંથી કઇ સાચી ?
બંને સાચી છે.
જે માણસે મન, વચન, કાયા, બુદ્ધિને સત્કાર્યોમાં સદા પ્રવૃત્તિશીલ રાખી છે તે વય વધતાં વધુને વધુ પરિપક્વ, ઠરેલ અને સમજદાર થતો જવાનો. વગર પૂછુયે એ સલાહ પણ નહિ આપવાનો. કારણ કે એ સમજે છે : જેને બધા જ આપવા ઇચ્છે છે કે કોઇ જ લેવા ઇચ્છતું નથી તેવી એક ચીજનું નામ સલાહ છે. સલાહ આપીને અળખામણા થવા કરતાં તેમને પોતાની મેળે જ શીખવા દો, ગાડી સાવ જ અટકી જશે ત્યારે વાત ! સલાહ માંગવા આવશે ત્યારે આપીશ.
આવા વૃદ્ધ પુરુષો આદરણીય છે, અનુસરણીય છે. જ્યારે કેટલાક માણસોએ મન, વચન, કાયા અને બુદ્ધિને હંમેશા નિષ્ક્રિય જ રાખ્યા છે. પ્રવૃત્તિ કદાચ કરી છે તો પારકી પંચાતની ! નિંદાની, બોલ-બોલ કરવાની !
આવો માણસ ઉંમરમાં મોટો થઈ જાય એટલે બદલાઇ જશે, એમ નહિ માનતા. જેમ-જેમ એ મોટો થતો જાય તેમ તેમ તેનો સ્વભાવ વિચિત્ર થતો જાય ! એની કચ-કચ વધતી જાય ! એની પારકી પંચાત વધતી જાય ! કુટુંબ માટે ભારરૂપ બને, અપમાનનો ભોગ બને, છતાં પોતાની પ્રકૃતિનો દોષ સમજે નહિ, આવા
માણસને કારણે જ કદાચ “સાઠે બુદ્ધિ નાઠી' એ કહેવત પડી હશે ! બાકી વૃદ્ધ પુરુષ તો આદરણીય હોય, અનુસરણીય હોય, સ્વભાવે મીઠા-મધુર હોય.
જુવાન માણસ તો હજુ ખાટો હોય, તીખો હોય, પણ ઘરડો તો મીઠો જ હોય. કાચી કેરી ખાટી હોય છે, પણ પાકેલી કેરી કેવી મીઠી હોય છે ? માણસ પણ ઉંમર થાય તેમ મીઠો થાય. એમ થાય તો જ એ કુટુંબાદિમાં આદરણીય બને. એ મૌન રહે તો જ એની સલાહ લેવા બીજા આવે.
વૃદ્ધ પુરુષોને ખાસ સૂચના છે કે કદી વણમાંગી સલાહ આપશો નહિ. મૌન રહેશો તેમ તમારો મહિમા વધશે. કચ-કચ કરવાની આદતથી દૂર રહેજો . “ઘરડા ગાડા વાળે' એ કહેવતને યાદ કરીને “હું જ ગાડા વાળી શકે, મારી સલાહ જ કામ લાગવાની’ એમ માનશો નહિ. તમે મૌન રહો, નાની-નાની વાતમાં કચ-કચ ન કરો, સામેથી સલાહ ન આપો - એમાં તમારું ગૌરવ છે અને વડીલોનો આદર કરવાની, એમની સલાહ માંગવાની નાનાઓની ફરજ છે. બંને જો પોતાની ફરજ નિભાવે તો ઘરડાઓની છેલ્લી જિંદગી ઝેર ન બને, ઘરડાઓને આપઘાત કરવાની જરૂર ન પડે, ઘરડાઘરોની પણ જરૂર ન પડે.
‘આપે વિદ્વત્તા ક્યાંથી શીખી ? આંધળા પાસેથી, જે ક્યારેય ચોકસાઈ કયાં પહેલા પગ મૂકતો નથી અને ઘૂસ્યા પહેલા બહાર નીકળવાની તૈયારી રાખે છે. ” લુ કમાન પંડિતે કહ્યું.
ઉપદેશધારા * ૨૮૨
ઉપદેશધારા + ૨૮૩