________________
દરેક ભવમાં જે જન્મ થતાંની સાથે જ મળ્યું છે, જેના વગરના આપણા અસ્તિત્વની આપણે કલ્પના કરી શકતા નથી, જેના સુખે સુખી અને દુઃખે દુ:ખી છીએ, જેની સાથેની અનાદિકાળથી ગાઢ દોસ્તી – ગાઢ સહવાસ છે, એ શરીરની આસક્તિ ટળે શી રીતે ?
ઉપાધ્યાયજી મહારાજ કહે છે : એની વિરૂપતા, અસારતા વિચારો.
ગમે તેટલો રાગ હોય શરીર પર, પણ છતાંય આ શરીર એક દિવસે ઘરડું થવાનું, રોગથી ગ્રસ્ત બનવાનું ! સ્મશાનમાં રાખના ઢેરમાં ફેરવાઇ જવાનું ! ગમે તેટલા સેન્ટ-અત્તરના લપેડા લગાવો, એ પસીનાથી લથપથ થવાનું જ ! ગમે તેટલું સુંદર ખવડાવો, આ શરીરના યોગે એ બધાની વિષ્ઠા થવાની જ ! ગમે તેટલું તેને નવડાવો, એ ગંદું થવાનું જ !
શરીરની આ જ વાસ્તવિકતા છે. વાસ્તવિકતા સ્વીકાર્યું જ છૂટકો ! વાસ્તવિકતાથી દૂર ભાગી શકાય નહિ. વાસ્તવિકતાથી દૂર ભાગો કે આંખ બંધ કરો... પણ તેથી કાંઇ ફરક પડવાનો નથી.
શરીર એ નશ્વર જ હોય તો એના દ્વારા અનશ્વર તત્ત્વની આરાધના શા માટે ન કરી લેવી ? શરીર જો અપવિત્ર જ હોય તો એનાથી પવિત્ર તત્ત્વ કેમ ન સાધી લેવું ? શરીર જો પરાધીન જ હોય તો એના દ્વારા સ્વાધીન વસ્તુ શા માટે હસ્તગત કરી ન લેવી ?
અને એમ થઇ શકે તેમ છે. શરીર ભલે નશ્વર હોય, પણ અનશ્વર પદની સાધનામાં એ જ પરમ સહાયક બની શકે છે. ભલે એ અપવિત્ર હોય, પણ પવિત્ર પદ એનાથી જ હાંસલ કરી શકાય તેમ છે. ભલે એ પરાધીન હોય, પણ સ્વાધીનતાનું સામ્રાજય અપાવી શકે તેમ છે.
આથી જ આ શરીરનું મૂલ્ય છે. આથી જ “શરીરમાદ્ય વસ્તુ ઘર્મસાધનમ્” શરીર ધર્મનું પહેલું સાધન છે.” એમ કહેવાયું છે. પણ આપણે એનો અર્થ એવો કરીએ છીએ : શરીરની આળ-પંપાળ જ
કર્યા કરો ! એને જરાય તકલીફ ન આપો. ધર્મના પ્રથમ સાધનને સાચવીને રખાય ! એને થોડી તકલીફ અપાય ?
કોલસો રસોઇનું પ્રથમ સાધન છે.... તો એની સદા આળપંપાળ કર્યા કરવાની ? એને સાચવી-સંભાળીને રાખવાનો ? નહિ, રસોઇ બનાવવાની હોય તો સૌ પ્રથમ તેને જ ચૂલામાં નાખવો પડે. શરીર પણ કોલસાના સ્થાને છે. આત્મ-શુદ્ધિ કરવી હોય તો સૌ પ્રથમ એને જ સાધનાની ભઠ્ઠીમાં નાખવો પડે. “શરીરમાં ન ધર્મસાધનમ્' એ સુત્રનો સાચો અર્થ આ સંદર્ભમાં ઘટે છે.
“શરીરને ચગદી નાખો. મસળી નાખો.’ એમ શાસ્ત્રકારો નથી કહેતા. દેહાદિની વિરુપતાનો વિચાર તેના પરથી આસક્તિ હટાવવા માટે જ છે. બાકી, આ શરીર તો આત્માને રહેવાનું મંદિર છે. ભલે, એ નશ્વર હોય, અપવિત્ર હોય કે પરાધીન હોય. છતાં જયારે પણ કેવળજ્ઞાન થવાનું ત્યારે માનવીય શરીર દ્વારા જ થવાનું. આવા શરીરની ઉપેક્ષા થઇ શકે નહિ. શરીર માંદું પડી જાય તો ૬-૬ મહિનાના ક્રમે દોઢ વર્ષ સુધી ઇલાજ કરવાની શાસ્ત્રમાં વાત આવે છે તે આ જ કારણે. આ શરીરનો જલ્દીથી ત્યાગ નથી કરવાનો. એને ચગદી નથી નાખવાનું ! એના દ્વારા ફાયદો ઊઠાવવાનો છે. એનો ફાયદો તો જ ઊઠાવી શકાય જો એના પરની આસક્તિ ઘટે. શરીરમાં આસક્ત બનેલ માણસ છૂર્તિપૂર્વક તપ કે ક્રિયા વગેરે કરી શકતો નથી. આત્મનિયંત્રણ-શક્તિ તેની પાસે હોતી નથી.
આસક્તિને દૂર કરવા અને આત્મ-નિયંત્રણ-શક્તિ વધારવા શરીરની વિરૂપતા વિચારવાની છે, એમ ઉપાધ્યાયજી મહારાજ કહે છે.
ઉપદેશધારા ૪ ૨૪૦
ઉપદેશધારા * ૨૪૧