________________
કલહ કારણ
૪. સ્વાર્થવૃત્તિ
કલહનું ચોથા નંબરનું કારણ છે ‘સ્વાર્થવૃત્તિ’. બધાય પાસેથી પોતાના સ્વાર્થનાં કાર્યો જ કરાવતા રહેવાનું. સંબંધો સ્વાર્થપુષ્ટિ માટે જ બાંધવાના અને સ્વાર્થ પુષ્ટ થઈ ગયા બાદ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવાનું. સ્વાર્થ ઘવાતો દેખાય એ જ પળે કોઈની ય સાથે તડાફડી કરી દેવાની તૈયારી રાખવાની.
આવી સ્વાર્થવૃત્તિ ન તો સંબંધને સ્થિર થવા દે કે ન તો સબંધને વિશુદ્ધ બનવા દે. ન તો આપણને લોકપ્રિય બનવા દે કે ન તો આપણને શાંતપ્રિય બનવા દે. ન તો આપણને વિશ્વાસપાત્ર બનવા
| દે કે ન તો આપણને પ્રેમપાત્ર બનવા દે.
તપાસતા રહેજો જીવનશૈલીને. કામ પતી જતાંની સાથે જ ઓળખાણ-પિછાણનો સંબંધ ખતમ કરી દેતી જીવનશૈલી જો આપણી પ્રકૃતિ બની ગઈ હોય તો નિશ્ચિત સમજી રાખવું કે કલહના ભડકાઓ આપણા જીવનમાં થતા જ રહેવાના છે. સાવધાન !
91
૮૯
કલહ કારણ ૫. ગેરસમજ
કલહનું પાંચમા નંબરનું કારણ છે, ‘ગેરસમજ’, વ્યક્તિના અમુક પ્રકારના વ્યવહારને જોઈને, એ વ્યવહારના આગળપાછળના સંદર્ભોને જોયા-જાણ્યા વિના, સમજ્યા-સાંભળ્યા વિના, એના ઊંડાણમાં ગયા વિના, એને બોલવાની કે ખુલાસો કરવાની તક આપ્યા વિના સીધી એની સાથે એ વ્યવહાર અંગે તડાફડી કરી દેવી એ કલહ ન સર્જે તો બીજું સર્જે પણ શું ?
મનની એક ખતરનાક પ્રકૃતિ ખ્યાલમાં છે ? જેના પ્રત્યે એ દ્વેષ કે દુર્ભાવ લઈને બેઠું છે, પૂર્વગ્રહ કે ગલત ધારણાઓ લઈને બેઠું છે એના પ્રત્યેક વ્યવહાર પર એ ગેરસમજ કરતું જ રહે છે. એની સાથે લડી લેવાની તક જાણે કે એ શોધતું જ હોય છે.
યાદ રાખજો, ખુલ્લી આંખે પણ જો ગલત દર્શન થઈ શકે છે તો સામી વ્યક્તિના ન દેખાતા મનને ન્યાય આપવાનું તો આપણું ગજુ જ ક્યાં છે ? સાવધાન !