________________
સર્પ અંગે આપણા મનમાં જે સત્ય ગોઠવાઈ ગયું છે, અર્થાત્ સર્પની ખતરનાકતા આપણા મનમાં જે રીતની પ્રતિષ્ઠિત થઈ ગઈ છે એ સત્યને આપણે જીવીએ જ છીએ ને ? એટલે કે સર્પનાં દર્શનમાત્રથી જ નહીં, નામસ્મરણ માત્રથી પણ આપણે ત્યાંથી ભાગી છૂટીએ જ છીએ ને?
દુઃખદ કરુણતા જીવનમાં એ સર્જાઈ છે કે “સાપ ભયંકર છે' એ સત્ય આપણે જીવીએ છીએ, “પાપ ભયંકર છે” એ સત્ય આપણે જીવતા નથી, માત્ર માનીએ જ છીએ.
વરસો પહેલાં ખંભાત તરફના વિહારમાં રસ્તામાં કેટલાંય ખેતરો એવા જોવા મળ્યા કે જે ખેતરોને કોઈ વાડ જ નહોતી. આશ્ચર્ય થયું મને. એક ખેડૂતને મેં પૂછી પણ લીધું. એણે મને હસતાં હસતાં જવાબ આપ્યો, “મહારાજ સાહેબ, આ તો તમાકુનાં ખેતરો' છે. એને વાડની જરૂર ન હોય કારણ કે ગધેડાઓ પણ તમાકુ ખાતા નથી !'