________________
રામ-રાવણ વચ્ચેની લડાઈ કામચલાઉ હોય છે, કૌરવ-પાંડવ વચ્ચેની લડાઈ પણ કામચલાઉ હોય છે; પરંતુ મન અને અંતઃકરણ વચ્ચેની લડાઈનો તો કોઈ અંત જ નથી.
મન કહે છે, તે જગતને વશ કરી લે, રાજા છે. અંતઃકરણ એમ કહે છે, તે મનને વશ કરી લે, રાજા છે. મુશ્કેલી એ અનુભવાય છે કે સાચો અવાજ અંતઃકરણનો લાગે છે જ્યારે સારો અવાજ મનનો લાગે છે. કરવું શું?
*
પાણી જ્યાં સુધી અસ્થિર હોય છે ત્યાં સુધી એમાં પડી રહેલ પ્રતિબિંબને સ્પષ્ટ જોઈ શકાતું નથી. સ્પષ્ટ પ્રતિબિંબ ત્યારે જ દેખાય, છે કે જ્યારે પાણી સ્થિર હોય છે.
વરસોના અનુભવ પછી આજે મને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે હું જેને સત્ય માનતો હતો એ સત્ય નહોતું, માત્ર મારી માન્યતા જ હતી !