________________
આકાશના રાજા ગરુડરાજ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હતા. આંખ ગમે ત્યારે બંધ થઈ જવાની શક્યતા એમને જણાતાં એમણે પોતાના વફાદાર મંત્રીશ્વર સુમન હંસ પાસે પોતાની એક અંતરેચ્છા વ્યક્ત કરી. ‘જીવન સમાપ્ત થઈ જાય એ પહેલાં મારી એક ઇચ્છા છે, માનવબાળો સમક્ષ એક વક્તવ્ય આપવાની. તમામ ધર્મનાં, તમામ રાષ્ટ્રનાં, તમામ કોમનાં, તમામ સમાજનાં, તમામ બાળકોને એક જ જગાએ એકઠા કરવાનું શક્ય ન જ બને એ હું સમજી શકું છું છતાં એ સહુના પ્રતિનિધિ બની શકે એટલાં બાળકોને તમે આમંત્રણ આપીને વિરાટ આકાશ નીચે એકઠાં કરો. મારે એમને કેટલીક વાતો કરવી છે.' ગરુડરાજની ઇચ્છા હોય અને હંસ એની અવગણના કરે એ તો બને જ શી રીતે ? યુદ્ધનાં ધોરણે એણે પોતાના પ્રધાન મંડળના સાથીઓને સાથે રાખીને આ પડકાર ઝીલી લીધો અને બરાબર નૂતન વરસના પ્રારંભે લગભગ પાંચ લાખ બાળકોને એણે ખુલ્લા વિશાળ મેદાનમાં એકઠા કરી દીધા. ગરુડરાજ માટે વિશાળ મંચ પર ખુરસીની વ્યવસ્થા એણે કરી હતી. સમયસર ગરુડરાજ આકાશમાંથી નીચે ધરતી પર આવ્યા અને મંચ પર ગોઠવાયેલ ખુરસી પર બેસીને એમણે વક્તવ્ય આપવાની શરૂઆત કરી. માઇકની વ્યવસ્થા વરસોના અનુભવી ચમન ચકલાના હાથમાં હતી એટલે ગરુડરાજનો ધીમો પણ અવાજ સર્વત્ર પહોંચવામાં કોઈ જ તકલીફ પડતી નહોતી.